Abtak Media Google News

 

રવિવારની રજા 10 જૂન 1890 થી શરૂ થઇ હતી: મોટાભાગના લોકો હવે 26મી જાન્યુઆરીને 15 ઓગષ્ટ જેવા બે રાષ્ટ્રીય તહેવારોની રજા રાખવાની તરફેણ કરી રહ્યા છે

અ….ધ…..ધ……રજાઓ છતાં અમુક કર્મચારી યુનિયનો ફાઇવ ડે વીકની માંગ કરે છે: જીવન વિમા અને સામાન્ય વિમા નિગમ જેવામાં ફાઇવ ડે વીક ચાલુ જ છે: બેંકને સરકારી કચેરી બીજા-ચોથા શનિવારે બંધ હોય છે: આ ઉપરાંત કર્મચારીને 15 પરચુરણ રજા (સી.એલ) વાપરવા મળે છે

‘રજા પડી ભય મઝા પડી’ રજા શબ્દ સાંભળીને સૌ કોઇ આનંદમાં આવી જાય છે, પણ ક્યારેક રજાઓની પણ રજા રાખવી જોઇએ. રજાઓને કારણે દેશનાં અર્થતંત્રને કેવડું મોટું નુકશાન થાય છે

આપણાં જીવન સાથે રજા શબ્દ એવો વણાઇ ગયો છે કે જેને આપણે આનંદ-પ્રમોદ સાથે જોડી દઇએ છીએ. નાના બાળકોને શાળાનો બેલ પડેને રજા પડે એટલે સ્વર્ગનો આનંદ મળી જતો હોય છે. સતત છ દિવસ કામ કર્યા બાદ સન્ડે ફન ડે ઉજવણીનો હક્ક બધાને મળવો જ જોઇએ. અંગ્રેજી હકુમત વખતે પણ મજૂરોએ આંદોલન કરીને રવિવારની રજા 10 જૂન 1890 થી શરૂ થઇ હતી. આ વર્ષ 2022માં પણ ગત વર્ષ જેટલી 95 રજા એટલે કે વર્ષનો 26 ટકા ભાગ રજાનો છે.

આપણી ભારતીય સંસ્કૃતિમાં કાર્યપાલન એટલે કે ફરજ નિષ્ઠા કે તેના પાલનને સવિશેષ મહત્વ અપાયું છે, અને ‘કામ એજ પૂજા’ એવું કહેવાયું છે. પરંતુ સરકારી કચેરીઓમાં રજાઓનો જે અતિરેક જોવા મળી રહ્યો છે તે જોતા ફરજ પાલનનો આદર્શ જાહેર રજાઓના અતિરેકમાં ધોવાઇ ગયો છે. કામના દિવસો સરકારી દફ્તરોમાં સતત ઘટતા જાય છે. દર વર્ષે એકાદ-બે નવી રજા જાહેર થતાં તેનો આંક સતત વધતો રહે છે. આખા વર્ષમાં શિક્ષણ કાર્ય માંડ 200 દિવસ ચાલે છે. અર્થાત વર્ષનાં 5 મહિના રજામાં જ ચાલ્યા જાય છે.

સરકારી રજાઓનું દર વર્ષે કેલેન્ડર બહાર પડે છે. આનો સર્વે કરતાં જાણવા મળ્યું કે 2021ના વર્ષમાં 52 રવિવાર, 24 બીજા-ચોથા શનીવાર અને 19 જાહેર રજાઓ મળી કુલ 95 રજાઓ જોવા મળે છે. આટલી રજા તો ફિક્સ છે, ટકાવારીની દ્રષ્ટિએ આપણાં વર્ષના 365 દિવસોમાંથી કુલ 95 રજાઓની ટકાવારી જોઇએ તો તેનું પ્રમાણ 26 ટકા જેટલું થવા જાય છે. એટલે સરકારી કચેરીનો વર્ષ કાર્યકાળનો સમય 26 ટકા જેટલો રજાઓમાં જ પસાર થાય છે. ક્યારેક તો સળંગ રજા આવતી હોય ત્યારે એક-બે રજા કર્મચારી મુકે તો એક વીકની રજા પણ થતી જોવા મળે છે.

આ ઉપરાંત સરકારી કર્મચારીને મળતી પરચૂરણ રજા, હક્ક રજા, માંદગીની રજા સહિતની વિવિધ રજાઓને ધ્યાને લઇએ તો આ ટકાવારી હજી પણ વધી શકે છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે સરકારી કર્મચારીઓને અધિકારીઓને આટલી અ….ધ…..ધ….રજાઓ છતાં કર્મચારીઓના યુનિયનો સરકાર સમક્ષ ‘ફાઇવ-ડે વીક’ અર્થાત સોમ થી શુક્રના પાંચ દિવસીય સપ્તાહની માંગણી વારંવાર કરી રહ્યા છે અને સરકાર તેઓને સાંભળીને આ બાબતે વિચારણાં કરી રહી છે.‘કહેતા ભી દિવાના…..સુનતા ભી દિવાના’ જેવો આ ઘાટ છે. પરંતુ જો આ માંગણી સ્વીકારાયને તેનો અમલ થાય તો વર્ષના 365 દિવસોમાં રજાઓનું કુલ પ્રમાણ હાલ જે 95 છે. તે વધીને 125 આસપાસ થઇ જાય છે. જેનો સાદો અર્થ વરસમાં ચાર મહિનાની રજાને 8 મહિના કામ કરવાનું. હાલમાં વર્ષના કુલ કાર્યકાળમાં રજાઓની ટકાવારી 26 ટકા છે તે વધીને 33 ટકા  થઇ જાય.

બાકી રહેતા 67 ટકા જેટલા કાર્યકાળમાંથી પ્રજાજનોનું ગ્રાહકોનું કેટલું અને કેવું કામ કેટલી ઝડપથી થાય તેનો વિચાર સરકારે ‘ફાઇવ-ડે વીક’ અંગે નિર્ણય કરતાં પહેલા કરવો પડશે. વારંવાર માંગણી દોહરાવતા યુનિયનોએ પણ આ મુદ્ા અંગે ઉંડુ અધ્યન-આત્મચિંતન કરીને વિચારણાં કરવી જોઇએ.

‘કર્મચારી’એ શબ્દમાં જ કર્મ સમાયેલ છે. જે વિસરવુંના જોઇએ. ચાલુ પગારે સત્તાવાર સરકારી રજાઓ ભોગવવાના અભરખા કાર્ય સંસ્કૃતિને લુણો લગાડી રહ્યા છે. એ ભૂલાવવુંના જોઇએ. રજાઓ ચોક્કસ હોવી જોઇએને કોઇનું શોષણના થવું જોઇએ. સતત કામ પછી રજા મળે તો કર્મચારી આરામ કરીને તાજામાજા થઇને ફરી કામે ચડે તો તેની કાર્યદક્ષતા અને ક્ષમતા જળવાઇ રહે છે એ વાત સાચી પણ સરકારી રજાઓનો અતિરેક અનેક અનર્થો પેદા કરે છે તે હકિકત પણ ભૂલાવી ન જોઇએ.

છેલ્લા ઘણા સમયથી આપણાં દેશમાં પણ પશ્ર્ચિમના દેશોની જેમ ‘ફાઇવ-ડે વીક’નો અમલ કરાવવાની માંગણીએ જોર પકડ્યું છે. પરંતુ આપણી અને વિદેશોની કાર્ય સંસ્કૃતિમાં ઘણો ફરક છે. વિદેશોમાં આપણા કરતાં કામના કલાકો વધુ છે. આપણી વિવિધ સરકારી કચેરીની વાત કરીએ તો શરૂ થવાનો સમય 10:30 છે, તો ક્યાંક 11:00 વાગ્યાનો જોવા મળે છે. હાજરી માટે ફેઇસ ડીવાઇઝ આવી ગયા છે. પણ વાસ્તવમાં 11:30 વાગે ઓફિસો શરૂ થતી જોવા મળે છે. બપોરે જમવા જવાને કારણે કચેરીઓ ખાલીખમ જોવા મળે છે જે ચાર વાગે ધમધમે છે.

સરકારી કચેરીના કામકાજ માટે મોટાભાગે તમામ લોકોને વારંવાર ધક્કા જ થાય છે એવું સામાન્ય જન પણ કહે છે. ઘણા લોકો, પ્રજાજનો, ગ્રાહકો કચેરીના આંટાફેરા કરવા પડે છે જો કે હવે ઘણું ઓનલાઇન થવાથી થોડી રાહત થઇ છે પણ અમુક કામ માટે તો રૂબરૂ ઓફિસે જવું જ પડે છે તેનું શું? રિસેષ પણ અધિકૃત અને અનઅધિકૃત એમ બે પ્રકારની જોવા મળે છે.આપણે જ્યારે કામ માટે જાય તો જવાબ મળે કે સાહેબ મીટીંગમાં ગયા છે કે આટલામાં જ છે હમણાં આવશે તેવા કોમન જવાબો મળે છે. વર્ક કલ્ચરની વચ્ચે કોરોના મહામારીને કારણે ‘વર્ક ફ્રોમ હોમ’નો નવો ક્ધસેપ્ટ અમલમાં આવ્યો પણ સરકારી કચેરીઓમાં આ ક્ધસેપ્ટ બહું ઉપયોગી થાય તેવું લાગતું નથી.કોરોનાની મહામારીને કારણે ઘણી સરકારી કચેરીઓ લોકડાઉન અંતર્ગત ઘણા દિવસો બંધ રહી. આ ધરાર મળેલી રજાઓને કારણે કર્મચારીઓની કાર્યદક્ષતા, ક્ષમતા પર અસર પડી. ધરાર ઘરમાં પૂરાઇ રહેવાને કારણે આળસ ઘર કરી ગઇ હતી. જો કે રજાઓ માટે માત્ર કર્મચારી જ જવાબદાર નથી. સરકાર પણ ઘણી વખત વિવિધ રજાઓ જાહેર કરતી હોય છે. આપણે ત્યાં જન્મજયંતિની ઘણી રજાઓ આવે છે. સરકારે કઠોર નિર્ણય કરીને માત્ર જરૂર પૂરતી જ રજાઓ રાખવી જોઇએ. ઘણાં લોકો તો 26મી જાન્યુઆરીને 15 ઓગષ્ટ સિવાય તમામ રજા કાઢી નાંખવાની વિચારણાંની તરફેણ કરે છે. બધા કર્મચારીઓ રજાપ્રેમી છે એવું નથી અમુક તો રજાઓમાં પણ કચેરી અથવા ઘેર કામ કરતાં હોય છે.

રવિવારની રજા ક્યારે શરૂ થઇ ?

આપણે સૌ બુધ-ગુરૂમાં જ રવિવારનું પ્લાનીંગ કરવા માંડીએ છીએ. મોટાભાગે આનંદ પ્રમોદ અને પરિવાર સાથે સમય વિતાવે છે. સતત 6 દિવસના કાર્ય બાદ રવિવાર આરામનો દિવસ ગણાય છે. આ રવિવારની રજા 10 જૂન 1890થી શરૂ થઇ હતી.

રવિવારની રજા માટે લડત કરનાર નારાયણ મેઘાજી લોખંડે હતા. ભારતવર્ષમાં મજૂર ચળવળના તેઓ નેતા હતાં. જ્યોતિરાવ ફૂલેજીના સત્ય શોધક ચળવળના સહકાર્યકર્તા હતા. ભારત દેશ જ્યારે અંગ્રેજીનો ગુલામ હતો ત્યારે તેની મજૂરીમાં લાગેલ મજૂરોને વીકના બધા જ દિવસ કાર્ય કરવું પડતું હતું. એક પણ રજા ન હતી. આની સામે અંગ્રેજો રવિવારે આરામ કરતાં.

અંગ્રેજોનું એવું માનવું હતું કે સમાજના લોકો સતત બધા દિવસો કામ કરે તો આઝાદીની ચળવળમાં જોડાય ન શકે. પરંતુ નારાયણ મેઘાજી લોખંડે મજૂરો માટે રવિવારની રજાનો પ્રસ્તાવ મુક્યો જે અંગ્રેજી હુકુમતે ફગાવી દીધો હતો, બાદમાં આ રજા માટે આંદોલન થયું ને અંગ્રેજોએ હાર માનીને 10 જૂન 1890માં રવિવારની રજા જાહેર કરાય હતી. આ સિસ્ટમ બાદ આપણે રવિવારે રજા રાખીએ છીએ. નારાયણ મેઘાજી લોખંડેએ તેમના પ્રસ્તાવમાં પાંચ મુદા રજૂ કર્યા હતાં. જેમાં રવિવારની એક દિવસ રજા, ભોજન માટેનો રિસેષ, કામના કલાકો નક્કી કરવા, કોઇ મજૂરને કામ સ્થળે દુર્ઘટના થાય તો ભર પગારે રજા આપવી અને કોઇ મજૂરનું મૃત્યુ થાય તો તેના પરિવારને પેન્શન આપવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.