Abtak Media Google News

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામે લોક ભાગીદારીથી બનનાર તળાવના કામનું મુખ્યમંત્રીના વરદ્ હસ્તે થયેલ ખાત મુહૂર્ત

આજે બપોરે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આકાશગંગા જલધારા ટ્રસ્ટની લોકભાગીદારીથી બનનાર ‘સરદાર સરોવર’ તળાવનું ખાત મુહૂર્ત અને તકતીનું અનાવરણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી ૩ વર્ષ સુધી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ચલાવવામાં આવશે. સૌરાષ્ટ્રે પીવા તથા વાપરવાના પાણીની તકલીફો સહન કરેલ છે. આ પાણીની સમસ્યા કાયમી ધોરણે નિવારવા માટે વ્યાપક સ્વરૂપે અભિયાન ઉપાડેલ છે. પાણીની સંગ્રહ શક્તિ વધારવા ૧૧૦૦૦ લાખ ઘનફુટ પાણી વધારવું છે અને એ દિશામાં લક્ષ્યાંક મુજબ આગળ વધી રહ્યા છીએ.

12 5 18 Man Sarovar Visit Lathi 1મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ‘સૌની યોજના’ અંતર્ગત ૧૧૫ જેટલા ડેમોને નર્મદાની લાઇનો સાથે જોડીને કનેક્ટ કરવામાં આવશે અને વરસાદ અપૂરતો પડે તો નર્મદાના નીરથી ભરવામાં આવશે. પીવાના પાણીની અછત-દુષ્કાળ ભૂતકાળ બને તે રીતે રાજય સરકાર કામ કરી રહી છે. જમીનમાં પાણીના તળ ૨૦ ફુટે નીકળે તેવું આપણું લક્ષ્યાંક છે.

આ જળ સંચય અભિયાન દ્વારા સર્વાંગી ફાયદો થશે. આપણે વિકાસમાં પાણીને પ્રાથમિક અગ્રતા આપીને પર્યાપ્ત માત્રામાં પાણીનું સર્જન કરવા માંગીએ છીએ. ગુજરાતને પાણીદાર ગુજરાત બનાવવું છે.

12 5 18 Man Sarovar Visit Lathi 2મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના દરિયા કાંઠામાં દરિયાના ખારા પાણીને મીઠા પાણી બનાવવા માટે ૧૦ પ્લાન્ટ નાખવામાં આવશે. ઇઝરાઇલ સહિતના અન્ય દેશોમાં ખારા પાણીને મીઠા બનાવવામાં આવે છે. જામનગર જિલ્લાના જોડીયા ખાતે રૂ. ૮૦૦ કરોડના ખર્ચે દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાનો પ્લાન્ટનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. આપણે પાણીના સ્ત્રોત વધારવા અને પાણીને રીચાર્જ કરવા આગળ વધી રહ્યા છીએ.

મુખ્યમંત્રીશ્રી વધુમાં જણાવયું હતું કે, શહેરોમાં વપરાયેલ લાખો ક્યુસેક પાણી ગટરમાં છોડવામાં આવે છે. આ પાણીને રીસાયક્લીંગ કરીને શુદ્ધ કરીને ઉદ્યોગો, બાગ-બગીચાઓ અને પાણી વપરાશ માટે અપાશે. આ માટે સરકાર ટૂંક સમયમાં નીતિ લાવી રહી છે.

12 5 18 Man Sarovar Visit Lathi 3શ્રી વિજયભાઇ રૂપણીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ રાજયમાં ચાલતા જળ અભિયાનને ઠેર-ઠેર પ્રતિસાદ મળી રહ્યો છે. ૧૩ હજારથી વધુ તળાવો ઉંડા કરાશે. આ ઇશ્વરીય કાર્ય છે અને પાણીએ પ્રભુનો પ્રસાદ છે. આ ગામમાં ૨૪ કલાક ચાલતા જળ અભિયાનના કાર્ય માટે વતનપ્રેમી દાતાઓ સ્વૈચ્છિક સંસ્થા અને ગ્રામજનોને અભિનંદન આપ્યા હતા. આ જળ અભિયાનને જનતાએ પોતે જન અભિયાન બનાવી લીધેલ છે.

લાઠી તાલુકાના આ ઝરખીયા ગામે મનરેગા દ્વારા તળાવ ઉંડુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. અંદાજે ૨૫૦ શ્રમિકો દ્વારા કામ શરૂ કરાયેલ છે. ૧૫૦ ચોકડીઓ ગાળવાનું ૬૦૦ માનવ દિવસોનું કામ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મંજૂર થયેલ ૪૯૧ કામો પૈકી ૧૧૧ કામો શરૂ કરવામાં આવ્યા છે અને ૧૯ કામો પૂર્ણ થયેલ છે. જયારે તા.૧૦ મે સુધીમાં સિંચાઇના તળાવ, વોટર શેડ, ચેકડેમ સહિત ૭૨ કામો, નગરપાલિકાઓના ૩૯ કામો અને મનરેગાના ૪૭ કામો મળી કુલ ૧૫૮ કામો શરૂ કરવામાં આવેલ છે. આ કામગીરી ૧૦૫ જેસીબી, ૨૫૬ ટ્રેક્ટર્સ અને ૬ હિટાચી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહેલી છે.

12 5 18 Man Sarovar Visit Lathi 4પ્રારંભમાં, આકાશગંગા સંસ્થાના ચેરમેનશ્રી મનુભાઇ કાકડીયાએ જણાવ્યું હતું કે, ઝરખીયા ગામમાં અગાઉ સરદાર પટેલ સહભાગી સિંચાઇ યોજના અંતર્ગત ૧૫૦ જેટલા ચેક ડેમો આ વિસ્તારમાં કરવામાં આવેલ છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ગામમાં દાતાઓના સહયોગથી ૬૫ વીઘા જમીનમાં ૧૦ ફુટ તળાવ ઉંડુ કરવામાં આવેલ છે અને હજુ ૫ ફુટ ઉંડુ કરાશે. જયારે આજે ગામના ૨૦ થી ૨૫ વીઘા જમીનમાં તળાવ કરવામાં આવનાર છે. જેમનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાશે. તેમણે આ તકે જિલ્લામાં ગામે ગામ ચેક ડેમ કરવા જણાવ્યું હતું.

ગામના વતની અને રખિયાલના ધારાસભ્યશ્રી વલ્લભભાઇ કાકડીયાએ જણાવ્યું હતું કે, ગ્રામજનોએ ગત તા.૧૯ માર્ચ થી ડમ્પર, ટ્રેક્ટરો અને જેસીબી જેવા સાધનો દ્વારા ૨૪ કલાક જળ સંચય અંગેની કામગીરી હાથ ધરેલ છે. ગ્રામજનો દ્વારા આગામી પાંચ વર્ષ સુધી જળ સંચય અંગેના ચેકડેમોનું કામ હાથ ધરવામાં આવશે. તેમણે આ તકે ખેડૂતોને સરકારશ્રીની સૌર ઉર્જાની યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

12 5 18 Man Sarovar Visit Lathi 5પૂર્વમંત્રીશ્રી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતને પાણીની અછત-દુષ્કાળમાંથી મુક્ત કરવા રાજ્ય સરકારે જનભાગીદારીથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં જળ સંચય અભિયાન હાથ ધરેલ છે. આ જળ અભિયાન એક યજ્ઞ છે. વરસાદના એક-એક ટીપાના પાણીને જમીનમાં ઉતારવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ. જીવનનો મંત્ર બનાવીને દર વર્ષે જળ સંચય કરીએ.

તેમણે ઉમેર્યું કે, સૌરાષ્ટ્રમાં અગાઉ દાતાઓના સહયોગથી ચેકડેમો બનાવવામાં આવેલ છે. તેમણે સરકારશ્રીની વીજ ઉત્પાદનની સૌર યોજનાનો ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, દુષ્કાળને ભૂતકાળ બનાવવાનું કાર્ય રાજ્ય સરકારે હાથ ધર્યું છે. જળ સંગ્રહના વિકાસકાર્યો થકી અમરેલી જિલ્લો નોખો-અનોખો બન્યો છે. લાઠી તાલુકામાં થયેલ જળ સંગ્રહના કાર્યોનું ઋણ સ્વીકાર કરવાનો પ્રસંગ છે. આફતને અવસરમાં પલટાવવાનો પ્રસંગ એટલે સુજલામ સુફલામ જળ અભિયાન છે. ગામડાને ધબકતું કરવા માટે દાતાશ્રીનો સહકાર સરાહનીય છે. ધોમધખતા તાપમાં પણ આ જળસંચય માટેની પ્રવૃતિ વંદનીય છે. આવનારી પેઢી માટે આશીર્વાદ સમા જળ અભિયાનને હજુ વધુ ગતિશીલ કરવા સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

પૂર્વ કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું કે, દાતાશ્રી ધોળકીયા પરિવારના પ્રયત્નો લાઠી તાલુકામાં જળ સંગ્રહના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ‘જળ એ જ જીવન’ સૂત્ર લાઠી તાલુકામાં સાર્થક થયું છે. સૌરાષ્ટ્રમાં નર્મદાના નીર આવતા કાયાપલટ થવાની તકોનું નિર્માણ થયું છે. રાજ્ય સરકારે પાણી માટેના કાર્યો હાથ ધરી જનતાની સમૃદ્ધિ અને સલામતી સુનિશ્ચિત કરી છે. ઇઝરાયેલ જેવા રાષ્ટ્રનો જળ સિંચન- ખેતી માટેની પદ્ધતિને આદર્શ બનાવી ક્રાંતિ લાવવા આહવાન કર્યું હતુ. કૃષિ યુનિવર્સિટી દ્વારા આપાવામાં આવતું માર્ગદર્શન અનુસરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી કૃષિક્રાંતિ લાવવા પ્રયત્નશીલ થઇએ તે જરૂરી છે.

કલેક્ટરશ્રી આયુષકુમાર ઓકે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા તા.૧ લી મે થી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળ સંગ્રહ માટેના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લામાં ૧૭૮ કામો શરૂ થયા છે અને મહિનાના અંતમાં ૩૮૪ કામો પૂર્ણ કરાશે. ૬,૫૦૦ શ્રમિકો કામ કરે છે અને ૧.૫૦ લાખ માનવ દિન રોજગારી ઉત્પન્ન કરવાનો અભિગમ છે. જિલ્લામાં રોજગારીનું સર્જન થયું છે. શ્રમિકોને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત થયા છે. લોક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ અમરેલી જિલ્લાએ પૂરૂ પાડ્યું છે.

આ તકે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત દાતાશ્રીઓએ વૃક્ષારોપણ તથા જળસંગ્રહની કામગીરી માટે અનુક્રમે રૂ.૫૧ હજાર તથા રૂ.૨૧ હજારના ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરેલ હતા. તેમજ કન્યા કેળવણી નિધિ માટે રૂ. ૨૧ હજારનો ચેક અર્પણ કરાયો હતો.

આ તકે ફોરવર્ડ કન્યા શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે વહીવટી તંત્ર, જિલ્લા ભાજપ તથા ગ્રામ પંચાયતોના સભ્યો, ગ્રામજનો, દાતાશ્રીઓ તથા ખેડૂતો અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લાના પ્રભારી અને કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, પૂર્વ ધારાસભ્યશ્રી વાલજીભાઇ ખોખરીયા, પૂર્વ ધારાસભ્યશ્રી બાવકુભાઇ ઉંધાડ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરા, ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, પૂર્વ મંત્રીશ્રી વી.વી.વઘાસીયા, અગ્રણીઓ સર્વશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા, ડૉ.કાનાબાર, શ્રી કૌશિક વેકરીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી પી.પી.સોજીત્રા, દાતાઓશ્રી મનજીભાઇ ધોળકીયા, શ્રી સવજીભાઇ ધોળકીયા, શ્રી દાસભાઇ ધામી, શ્રી પેથાણીભાઇ સહિતના અન્ય દાતાઓ-ઉદ્યોગપતિઓ જિલ્લાના અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.