Abtak Media Google News

અરજણ ભુવો અગાઉ ઈંગ્લીશ દારૂમાં પકડાયો હતો: કુવાડવા પોલીસની પ્રશંસનીય કામગીરી: જાથાનો ૧૧૬૧મો પર્દાફાશ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામમાં છેલ્લા ૧૦ વર્ષથી દોરા-ધાગા, વિધિ-વિધાન, મનગમતા દાણા આપવા, પિતૃ નડતર, ઉતાર કાઢવો, જોવાનું કામ કરી ૭૦૦ લોકો સાથે યેનકેન છેતરપિંડી આચરનાર ભુવા અરજણ ભીખાભાઈનો માલીયાસણ ગામમાં માતાજીના મઢે રંગે હાથે ઝડપી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની મદદથી ૧૧૬૧મો સફળ પર્દાફાશ કર્યો હતો.

પોતાની ભાભીના મૃત્યુના દિવસે સ્મશાનેથી પરત આવી રૂ.૨૦ હજારની લાલચમાં, જોવાનું કામ કરતા રંગે હાથે ઝડપી પર્દાફાશ કર્યો હતો. ભુવાએ કાયમી દાણા આપી જોવાનું, બિમાર લોકોને સાજા કરવાનું, ધતિંગલીલા બંધની જાહેરાત કરી કબુલાતનામું આપી મામલો થાળે પડયો હતો. પોલીસે સલામતીના ભાગરૂપે ભુવાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

બનાવની વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ધીયાવડના ભુવા અરજણ ભીખા રાજકોટ-વાંકાનેર, ચોટીલા બે ઈકો વાહનો રાખી મુસાફરો સગવડતા મુજબ ભાડુ લઈ ગુજરાન ચલાવતો હતો. ઘરમાં ખોડિયાર-ગાત્રાળ માંનું સ્થાનક મઢ બનાવી પોતાના કુટુંબનો ભુવા પ્રસ્થાપિત કરી લોકોના દુ:ખદર્દ મટાડવા માટે જુવારના દાણા આપી માનતા ટેક રખાવી રૂપિયા વસુલવાનું કામ કરતો હતો.

દાણા આપવા, ધુણવામાં ભુવાની આવડતના કારણે ત્રણ-ચાર જિલ્લામાં ભુવાએ નામના મેળવી હતી. બિમાર લોકોને સાજા કરવાનું કામ માથે લીધું, પીડીતાની મજબુરીનો ફાયદો ઉઠાવી ‚પિયા મેળવતો હતો. પોતાના મઢમાં અમુક જ્ઞાતિ માટે પાબંધી ફરમાવી હતી. માતાજીના નામે ભય-ડર ઉભો કરી માનતા ઉતારવા એક હજારથી ૩૧૦૦૦ રૂપિયાના નાણા વસુલતો હતો. ભુવો બોલવામાં હોશિયારીના કારણે ગમે તેને શીશામાં ઉતારવામાં માહિર થઈ ગયો હતો. દસ વર્ષમાં ભુવાથી અનેક લોકો નારાજ, છેતરાયાનું અનુભવતા હતા.

ભુવા અરજણે માલીયાસણ માતાજીના મઢમાં ૨૧૦૦૦ લેવા આવવાના હતા પરંતુ પોતાની સગી ભાભીનું અવસાન થવાથી બપોર પછી વિધિ-વિધાનનું નકકી થયું હતું. ‚પિયાની લાલચમાં ભુવાએ માેતનો મોલાજો પાળવામાં ચુક કરી હતી. માતાના મઢે આવી ધુણીને માતાજી પાસે રૂ.૨૦ હજાર રકમ રખાવી હતી.

અગાઉ રકમ સંબંધી બોલેલ રેકોર્ડ જાથા પાસે હોય અન્ય પુરાવા મળી ગયા હતા. શ્રીફળ, ખેસ પહેરી જુવારના દાણા કાઢી વારંવાર પાડી ટાઈમ પસાર કરતો હતો. ભુવાની વિધિ પુરી થવાથી સીગ્નલ મળતા જાથાની ટીમ પોલીસ સ્ટાફ સાથે ત્રાટકી હતી.જાથાના જયંત પંડયાએ જીવા અરજણને પોતાના કરતુતોની ગંભીરતા બતાવી વિવિધ ગુન્હા દાખલ થશે તેવી વાત કરી હતી.

કુટુંબમાં મોત થયું છે તો શા માટે વિધિ માટે આવ્યો, ભુવો ભાંગી પડયો હતો. ભુવાએ ૧૦ વર્ષમાં ૭૦૦ લોકો સાથે યેનકેન છેતરપિંડી આચર્યાની કબુલાત આપી હતી. માતાજીના મઢમાં દલિતોને પ્રવેશબંધી વગેરે જાહેરમાં કબુલાત આપી ગુન્દો દાખલની તૈયારી હોય ભુવા અરજણ જાથાને ઘુંટણીયે પડી એકવાર માફી આપવા, કાયમી દોરા-ધાગા, ધતિંગલીલા બંધની જાહેરાત કરી દીધી. જાથાએ પુરાવા સંબંધી રેકોર્ડની વાત કરતા ભુવાએ શરણાગતી સ્વીકારી લીધી હતી.

જાથાના ૧૧૬૧માં સફળ પપર્દાફાશમાં મહેશ પટેલ, અંકલેશ ગોહિલ, મનસુખભાઈ મુર્તિકાર, રોમિત રાજદેવ, બીપીનભાઈ રાજદેવ, રવિ સાકરીયા, ભાનુબેન ગોહિલે તથા પો.કોન્સ્ટેબલ સંજયભાઈ, જીવણભાઈ, યોગેશભાઈ કાન્તીભાઈ, ગોપીરાય, શીશપાલ સ્ટાફે ઉતમ કામગીરી બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.