Abtak Media Google News

સેકસકાંડમાં બીજાને ફસાવવા જતા પોતાના જ ચારિત્ર્યના લીરા ઉડયા: મહારાષ્ટ્રના પ્રોફેશનલ ક્લિર સાથે ધરોબો ધરાવતા પક્ષપલ્ટુએ પોતાના જ કર્યા પોતે ભોગવવા પડે તેવી શરમજનક સ્થિતી

કચ્છના રાજકીય હસ્તીઓના સેકસકાંડના પગલે રાજયભરમાં ગંભીર પડધા પડી રહ્યા છે ત્યારે સેકસકાંડમાં ફસાવી એક પછી એક રાજકીય નેતાઓની છબી ખરડી નાખવાના હીન પ્રયાસમાં અને રાજકીય ગંદકીની પોલ ખુલી જતાં છબીલ પટેલની શિકારી ખુદ શિકાર બની ગયા જેવી સ્થિતી સર્જાતા કચ્છ સહિત સમગ્ર રાજયમાં ચકચાર મચી ગઇ છે.

નલીયાકાંડ અને સુરતની યુવતીએ કચ્છના ભાજપના હાઇપ્રોફાઇલ નેતાને સેકસકાંડમાં સંડવવાની હીન ઘટના બાદ છબીલ પટેલની સેકસલીલા પ્રકાશમાં આવતા લોકસભાની ચૂંટણી પૂર્વે ક્ચ્છનું રાજકારણમાં ભૂકંપ આવ્યો છે.

કોંગ્રેસમાંથી માંડવી અને અબડાસા બેઠક પર વિજેતા બન્યા બાદ ભાજપમાં આવી અબડાસાની પેટા ચૂંટણીમાં પરાજયનો સ્વાદ ચાખનાર છબીલ પટેલ સામે ગત તા.૧૬ ઓકટોમ્બરે નડીયાદની વિધવાએ નોર્થ દિલ્હીના દ્વારકા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

દિલ્હીના એક ફલેટમાં વિધવાને એન.જી.ઓ. શરૂ કરાવવાની લાલચ દઇ ફસાવ્યા બાદ બેહોશીની દવા પીવડાવી દુષ્કર્મ આચરી વિધવાના અશ્ર્લિલ ફોટા પાડી સોશ્યલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી દઇ કચ્છના મોટા ગજાના વેપારીઓ અને હાઇ પ્રોફાઇલ રાજકીય નેતાઓને હની ટ્રેપમાં ફસાવી બ્લેક મેઇલીંગ કરવા ધમકી દીધા અંગેનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

છબીલ પટેલ સામે દુષ્કર્મ અંગેનો ગુનો નોંધાતા દિલ્હી પોલીસે છબીલ પટેલના ભૂજ અને અમદાવાદ ખાતેના નિવાસ સ્થાને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તેના બંને મકાને મળી ન આવતા દિલ્હી પોલીસે ગુજરાત પોલીસને છબીલ પટેલની તપાસ કરવા સુચના કરી હોવાથી હાલ છબીલ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો છે.છબીલ પટેલ પોતે દુધે ધોયેલા હોય તેમ પોતે નિદોર્ષ હોવાની ડંફાસ મારી પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી બતાવી હતી તો ભૂગર્ભમાં કેમ ઉતરી ગયા તેવો સવાલ થઇ રહ્યો છે.

નલીયાકાંડમાં ભાજપના કાઉન્સીલરની સંડોવણી અને ભાજપના મોટા ગજાના નેતા જયંતીભાઇ ભાનુશાળી સામે સુરતની યુવતીએ કરેલા દુષ્કર્મના આક્ષેપ પાછળ પણ છબીલ પટેલનો દોરી સંચાર હોવાની ચર્ચા સાથે અહીના કર્યા અહીં જ ભોગવવા પડે તેવી સ્થિતી સર્જાય છે.

ભાજપમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા પાર્ટીના જ હાઇપ્રોફાઇલ નેતાઓને સેકસકાંડમાં સંડોવી દેવાની ગંદી રાજકીય રમતનો કચ્છના અનેક નેતાઓ ભોગ બન્યા બાદ છબીલ પટેલની પોલ ખુલતા કચ્છમાં ચાલતી આંતરીક જુથબંધી ખુલ્લી પડી ગઇ છે.

છબીલ પટેલ મહારાષ્ટ્રના કેટલાક ભાડુતી મારાઓના સંપર્કમાં હોવાનું અને રાજકારણમાં પોતાની મનમાની કરાવવા હુમલા કરાવવા અને રાજકીય નેતાઓને હનીટ્રેપમાં ફસાવવા સહિતના ષડયંત્રનો સુત્રધાર છબીલ પટેલને માનવામાં આવી રહ્યો હોવાની ચર્ચાએ લોકસભાની ચૂંટણી પૂર્વે કચ્છના રાજકારણની ગંદકી દુર કરવાનો સમય આવી ગયો હોવાનું જાણકારો કહી રહ્યા છે.

કચ્છ ભાજપના નેતાઓની હુસાતુસી અને ગંદી રાજ રમતના કારણે ભાજપની છબી ખરડાતી હોવાથી ભાજપના મૌવડીઓએ કોંગ્રેસની ભાજપમાં આવેલી ગંદકી દુર કરવા માગ થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.