Abtak Media Google News

સત્તામાં આવ્યા બાદ અયોઘ્યામાં રામમંદિર મુદ્દે સાડા ચાર વર્ષ મૈન રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિવાદને સુપ્રીમમાં ચાલી રહેલી સુનાવણીના વિલંબ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવીને પોતાનો બચાવ કરવાનો પ્રયત્નો કર્યો

મંદિર વહીં બનાયેંગે…

કરોડો હિન્દુઓના આસ્થાના પ્રતિક એવા ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોઘ્યામાં રામમંદિર બનાવવા મુદ્દે ગઇકાલે વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ દ્વારા ધર્મ સંસદ યોજાઇ હતી આ ધર્મસસંદનો રાજકીય લાભ પોતાને પણ મળે તે માટે મહારાષ્ટ્રની હિન્દુવાદી રાજકીય પાર્ટી શિવસેના પણ અયોઘ્યામાં કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. જેમાં ઉ૫સ્થિત શિવસેનાના પ્રમુખ ઉઘ્ધવ ઠાકરેએ બાબરી મસ્જીદ તોડવાનું શ્રેય શિવસૈનિકોને આપીને મંદિર નિર્માણમાં મોદી સરકાર દ્વારા થઇ રહેલી ઢીલ સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

જેથી ભાજપ દ્વારા આડકતરી રીતે રાજકીય લાભ ખાટવા એક અગ્રણી સંત મારફતે ૧૧ ડીસેમ્બર બાદ મોદી સરકાર આ મુદ્દે નિર્ણય લેશે જેવું નિવેદન કરાવ્યું હતું.ચિત્રકુટના મહંત રામ ભદ્રાચાર્ય ધર્મ સંસદમાં કરેલા નિવેદનમાં મુજબ આ મુદ્દે મોદી સરકાર સંસદમાં શિયાળુ સત્રમાં રામમંદીર નિર્માણ મુદ્દે ખાસ ખરડો પસાર કરશે તેવી તેમને એક કેબીનેટ મંત્રીએ ખાત્રી આપી હોવાનું જણાવ્યું હતું.

ગત લોકસભાની ચુંટણીમાં અયોઘ્યામાં રામમંદિર બનાવવાનું વચન આપીને સત્તામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સાડા ચાર વર્ષ સુધી મૌન બાદ આ મુદ્દે પહેલીવાર નિવેદન કર્યુ હતું કે રામમંદીરના ચૂકાદાને કોંગ્રેસ પોતાના રાજકીય લાભ ખાતર રોકી રાખી રહ્યું છે. જેથી હિન્દુ સંગઠ્ઠનો બાદ રાજકીય પક્ષોમાં પણ રામમંદીર મુદ્દે લાભ ખાટવા પડાપડી થઇ રહી હોય અયોઘ્યા રામમંદિર બનશે કે સ્વપ્ન રહી જશે અને રાજકીય પક્ષો માટે કાયમી ચુંટણીનો મુદ્દો બને જશે તેવી આશંકા ઉભી થવા પામી છે.

ધર્મસંસદને સંબોધતા મહંત રામ ભટ્ટાચાર્યે દાવો કર્યો હતો કે તાજેતરમાં રામમંદીરના મુદ્દે મોદી સરકારના એક વરીષ્ઠ કેન્દ્રીમંત્રી સાથે તેમણે ચર્ચા થઇ હતી. જેમાં તેમને ખાત્રી આપી હતી. કે રાજસ્થાન, મઘ્યપ્રદેશ સહીતના રાજયોમાં યોજાઇ રહેલી વિધાનસભાની ચુંટણીની આચારસહિતા ૧૧મી ડીસેમ્બરે પુર્ણ થઇ રહી છે. જે બાદ મળનારી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાશે આ મંત્રીએ હવે આ મુદ્દે સંતો અને હિન્દુઓ હવે કોઇ જ છેતરપીંડી નહી થાય તેની ખાત્રી આપી હતી.

તેમ જણાવીને મહંતે ઉમેર્યુ હતું કે કદાચ સંસદના શિયાળુ સત્રમાં અયોઘ્યામાં રામ મંદિર બનાવવા માટે મોદી સરકાર ખરડો પસાર કરશે.અનેકવાર અયોઘ્યામાં રામમંદિર બન્યા બાદ ભારત એક અધોષિત હિન્દુ રાષ્ટ્ર બની જશે તેવો દાવો પણ મહંતે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સંસદમાં શિયાળુ સત્રનો ૧૧મી ડીસેમ્બરથી પ્રારંભ થનારો છે.

જયારે સંસદના બન્ને ગૃહો કાર્યરત હોય મોદી સરકાર કોઇપણ ખરડો લાવી શકવા સર્મથ છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર વિધાનસભા અને ન્યાયતંત્રએ સમજવુ જોઇએ કે છઠ્ઠી ડીસેમ્બર ૧૯૯૨માં હિન્દુ ભાવનાઓને ઘ્યાનમાં રાખીને હિન્દુ લોકો દ્વારા બાબરી મસ્જીદ તોડી પાડવામાં આવી હતી. જે સ્થાને હજુ પણ રામમંદીર જીવંત સન્માનીત અને આસ્થાના પ્રતિક સમાન છે.

જો કે, ગત લોકસભાની ચુંટણીમાં અયોઘ્યામાં રામમંદિરનો બનાવવાનું વચન આપીને સત્તામાં આવેલી મોદી સરકારે સાડાચાર વર્ષ સુધી આ વિવાદ સુપ્રિમ કોર્ટમાં ચાલી રહ્યો હોવાનું જણાવીને આ મુદ્દે નિર્ણય તો ઠીક પણ નિવેદન કરવાનો પણ ઇન્કાર કરતું રહ્યું છે.

હિન્દુ સંગઠ્ઠનો દ્વારા ધર્મ સંસદ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે મૌન તોડીને રાજસ્થાનના અલબટની એક જાહેરસભામાં સુપ્રિમમાં ચાલી રહેલી આ કેસનો સુનાવણીમાં રાજયસભાના કોંગ્રેસી સાંસદ એવા સુપ્રિમ કોટના વરિષ્ઠ વકીલ સુપ્રિમ કોર્ટના જજોને ઇમ્પીયમેન્ટની ડરામણી બતાવીને સુનાવણીમાં વિક્ષેપ પાડી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.

સુપ્રિમ કોર્ટના જેને કોંગ્રેસના રાજકીય હેતુઓ અનુસાર અયોઘ્યા કેસની સુનાવણી માટે સમયપત્રક તૈયાર કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યાનું અને લોકસભાની ૨૦૧૯માં યોજાનારી ચુંટણી બાદ જ રામમંદિર મુદ્દે ચૂકાદો આપવાનું કહેવામાં આવ્યાનું મોદીએ આક્ષેપ કરીને ન્યાયતંત્રને કાયદેસર કાર્યવાહીને અટકાવીને કોંગ્રેસ ખતકનાક રમત રમી રહ્યાનું જણાવ્યું હતું.

મોદીએ આવી ધમકીઓની ડર્યા વગર જેને ન્યાયના માર્ગે ચાલીને યોગ્ય ચૂકાદો આપવો જોઇએ તેમ પણ જણાવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિરના  મુદ્દે ચૂકાદામાં થઇ રહેલા વિલંબ બદલ કોંગ્રેસને જવાબદાર ઠેરવીને આ મુદ્દે પોતાની સરકાર સામે ચીંધાઇ રહેલી આંગળીને કોંગ્રેસ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો હતો.

જો કે આગામી ચૂંટણીઓમાં ભાજપનો વિકાસના મુદ્દે મતો મળવવાની સંભાવના ઓછી હોય આગામી લોકસભાની ચુંટણી પહેલા રામમંદિર નો મુદ્દો હિન્દુ સંગઠ્ઠનોના માઘ્યમથી ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ, આ મુદ્દે વિવાદમાં સાડા ચાર વર્ષ સુધી મોટી સરકારે શું કર્યુ તેવા પ્રશ્નો શરુ થતા વડાપ્રધાન મોદીએ આ વિવાદમાં વિલંબ બદલ કોંગ્રેસને જવાબદાર ઠેરવી દીધી છે. જેથી કરોડો હિન્દુઓના આસ્થાના પ્રતિક એવું અયોઘ્યામાં રામ મંદિર નિમાર્ણય થશે કે અન્ય ચુંટણી વચનોની આ વિવાદ પણ કાયમને માટે ચુંટણી મુદ્દો બની રહેશે? તે તો માત્ર સમય કહી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.