Abtak Media Google News

ધોનીનાં જન્મદિવસ પર વિરાટે ઈન્સ્ટાગ્રામ પર મુકયો એક વિશેષ મેસેજ

ભારતીય ટીમનાં ભૂતપૂર્વ સુકાની અને ટીમનાં આધારસ્તંભ મહેન્દ્રસિંહ ધોનીનાં જન્મદિવસ નિમિતે ટીમનાં સુકાની વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક વિશેષ મેસેજ મુકતા જણાવ્યું હતું કે, માહી આજીવન મારો સુકાની બની રહેશે. સુકાનીપદ છોડયા બાદ જયારથી વિરાટ કોહલી દ્વારા ટીમનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે તે સમયથી જો વાત કરવામાં આવે તો મહેન્દ્રસિંહ ધોની ટીમ માટે એક કરોડરજ બની ગયો છે. તેની ઉપસ્થિતિ જ ટીમમાં એક જોશનો સંચાર કરે છે ત્યારે વિરાટ કોહલી પણ માહીનાં જન્મદિવસ નિમિતે તેમનાં વખાણ કરતા થાકયો ન હતો.

આ તકે વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, જે લોકો પ્રત્યે આદરભાવ હોય છે તેમાં ધોનીનું નામ મોખરે છે અને ધોની એના મોટા ભાઈ તરીકે પણ તેની ફરજ નિભાવે છે ત્યારે ટીમનાં નવોદિત ખેલાડીઓ માટે ધોનીનું નેતૃત્વ ખુબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. ડગલેને પગલે તમામ ખેલાડીઓને તે ઉત્સાહિત કરતો પણ નજરે પડે છે. હાલ જે રીતે મહેન્દ્રસિંહ ધોનીની નિવૃતિને લઈ અટકળો સામે આવી રહી છે તે જોતાં કયાંક એવું પણ માનવામાં આવે છે કે, મહેન્દ્રસિંહ ધોની માટેનો આ છેલ્લો વિશ્વકપ છે પરંતુ હજી સુધી ધોની દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સેમી ફાઈનલમાં પહોંચવા માટે આડકતરી રીતે ધોનીનું મોટીવેશન ટીમનાં ખેલાડીઓ માટે અતિમહત્વપૂર્ણ બની રહ્યું હતું તેની નિશ્રામાં રહેતા અનેકવિધ ખેલાડીઓ પણ પોતાની આગવી ફરજ બજાવી ટીમને મજબુતાઈ આપવા માટે સફળ પણ નિવડયા છે. જેમાં હાર્દિક પંડયાનો પણ સમાવેશ થતો હોવાનું સામે આવે છે ત્યારે આવતીકાલે ભારત તેનો સેમીફાઈનલ મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે ત્યારે આ મેચ માટે માહીની જવાબદારી પણ એટલી જ વધુ પ્રબળ બનશે. તમામ ટીમનાં સભ્યો માટે મહેન્દ્રસિંહ ધોની એક બુસ્ટરડોઝ સમાન સાબિત થયો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.