Abtak Media Google News

આતંકી સંગઠનો સાથે જોડાતા યુવાનોની સંખ્યા પાંચ વર્ષના તળીયે: પથ્થરમારા અને તોફાનોની ઘટનાઓ પર પણ રોક લાગી

દેશના અભિન્ન અંગ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરીને મોદી સરકારે એક કાંકરે અનેક પક્ષી માર્યા છે. કાશ્મીરમાં આતંકવાદ અને દેશ વિરોધી પ્રવૃતિને અટકાવવા કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય અસરકારક નિવડ્યો છે. છેલ્લા આંકડા મુજબ આતંકવાદી પ્રવૃતિમાં કાશ્મીરી યુવાનોની સંડોવણીનું પ્રમાણ છેલ્લા પાંચ વર્ષમાં ઘટી ગયું છે. પાંચ વર્ષ પહેલા દર મહિને ૧૪ યુવાનો આતંકી સંગઠનોમાં જોડાતા હતા. આ સંખ્યા વર્તમાન સમયે સરેરાશ પાંચની થઈ ચૂકી છે. એકંદરે કાશ્મીરમાં વિકાસના કારણે યુવાનો સાંપ્રદ પ્રવાહમાં ભળતા થયા છે.

કલમ ૩૭૦ અમલમાં હતી ત્યાં સુધીમાં જ્યારે જ્યારે આતંકીના મોત થયા ત્યારે તેમની અંતિમવિધિમાં અનેક લોકો ઉમટી પડતા હતા. આ ટોળામાંથી અનેક યુવાનો આતંકી સંગઠનોમાં જોડાઈ જતાં હતા. પરંતુ ૩૭૦ નાબૂદ થતાંની સાથે જ આતંકીઓના મૃત્યુ બાદ અંતિમવિધિમાં ઉમટી પડતા ટોળાનું પ્રમાણ પણ ખુબજ ઘટી ગયું છે. આ સાથે જ યુવાનોને રોજગારી અંગે આશા જાગી છે. વર્તમાન સમયે મોદી સરકાર કાશ્મીરમાં વિવિધ કંપનીઓ વ્યવસાય કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળશે અને કાશ્મીરમાં વિવિધ ક્ષેત્રે વિકાસ થશે તેવા ઉજળા સંજોગો છે. તાજેતરના આંકડા પરથી ફલીત થાય છે કે, કાશ્મીરમાં યુવાનોને ભડકાવવા પાછળ પાકિસ્તાનનો હાથ હતો.

કલમ ૩૭૦ નાબૂદ કરવાની સાથેજ કાશ્મીરમાં પથ્થરમારા સહિતની ઘટનાઓનો લગભગ અંત આવી ગયો છે. આ સાથે જ દર વર્ષે થતાં મોટા આતંકી હુમલાઓ ઉપર પણ રોક લાગી ગઈ હોવાનું સામે આવે છે. જ્યારથી કલમ ૩૭૦ નાબૂદ થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં કોઈ મોટી જાનહાની થાય તેવો આતંકી હુમલો દેશમાં થયો નથી. લાંબા સમયથી કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવામાં આવે તેવી માંગણી થઈ રહી હતી. ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં પણ કલમ ૩૭૦ નાબૂદીનો મુદ્દો હતો ત્યારે મોદી સરકારે આગોતરુ પ્લાનીંગ કરી કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય ઐતિહાસિક બની રહ્યો છે. કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા પાછળ જવાબદાર પાકિસ્તાનના પેટમાં કાશ્મીર મુદ્દે તેલ રેડાયું હતું.

7537D2F3 7

કાશ્મીર મુદ્દે ભારતને બદનામ કરવા પાકિસ્તાને તમામ હકંડા કર્યા હતા. યુએન અને અમેરિકા સાથે ભારતને ભીડવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ પાકિસ્તાનના આ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યાં છે. કાશ્મીર ભારતની આંતરીક બાબત હોવાથી કોઈપણ દેશ પાકિસ્તાનનો પક્ષ લેવાની હરકત કરતો નથી.

વર્ષોથી પાકિસ્તાને કાશ્મીરના માધ્યમથી સમગ્ર ભારતમાં ઠેક-ઠેકાણે આતંકી હુમલા કરાવ્યા હતા. પાકિસ્તાનના લોકોમાં આઝાદીના નામે ઝેર ફેલાવ્યું હતું. પાકિસ્તાનની આવી હરકતના કારણે કાશ્મીર વર્ષોથી અવિકસીત રહ્યું છે. કાશ્મીરમાં વિકાસની અઢળક તકો હોવા છતાં લોકો સુધી વિકાસ પહોંચી શક્યો નહોતો. ત્યારે હવે મોદી સરકારે કલમ ૩૭૦ હટાવીને કાશ્મીરમાં યુવાનોને નવા જીવનની તક આપી છે. આ સાથે મોદી સરકારના નિર્ણયના સકારાત્મક નિર્ણય જોવા મળ્યા છે. કાશ્મીરથી યુવાનો પથ્થરમારા કે તોફાનોમાં ભાગ લેવાના સ્થાને હવે રોજગારી તરફ વળ્યા છે. કાશ્મીરમાં હવે આતંકવાદીના મોત બાદ અંતિમવિધિમાં ટોળા ઉમટી પડતા હોય તેવી ઘટના જોવા મળતી નથી.

થોડા સમય પહેલા કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો હતો ત્યારે અનેક વસ્તુઓ સરકારની નજર સામે હોવા છતાં આંખ આડા કાન કરવા પડતા હતા.

જો કે, સરકારે કલમ ૩૭૦ હટાવીને આ દરજ્જો છીનવી તેના સને લદ્દાખ અને જમ્મુ તથા કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો હતો. આ દરજ્જો મળતા જ કાશ્મીરમાં પણ ભારતનો વિકાસ જોવા મળશે. કાશ્મીરમાં લોહીયાળ ઘટનાનો અંત આવશે. તેવી આશા સરકાર વ્યકત કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.