Abtak Media Google News

દેશની કુલ વસતીની ત્રીજા ભાગની મહિલાઓ કે જેને સોનાની ખરીદી નથી કરી તે હવે સોનાને ચમકાવશે લોકોનો સોના તરફનો વિશ્વાસ વધશે: ૩૭ ટકા મહિલા સોનાની ખરીદી કરે તેવી આશા

કોઈપણ વ્યકિતનાં સૌંદર્યમાં વધારો ત્યારે જ થાય જયારે તેમનાં પર આભુષણો સજયા હોય એવી જ રીતે સ્ત્રીઓના સૌંદર્ય માટે આભુષણ અનેકઅંશે  જરૂરી છે પરંતુ દેશની ૩૭ ટકા મહિલા કે જે દેશની કુલ વસ્તીનો ત્રીજો ભાગ હોય તેને સોનાની ખરીદી કરી નથી પરંતુ હાલની સ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, તેઓ હવે સોનાને ચમકાવશે. કોરોના બાદ લોકડાઉન દરમિયાન લોકોનો સોના તરફનો વિશ્ર્વાસ વઘ્યો છે. પહેલા સોનું લકઝરી તરીકે ઓળખવામાં આવતું હતું પરંતુ તે હવે લોકોની જરૂરીયાત પણ બની ગઈ છે. પહેલા પણ સોનું સ્ત્રીધન તરીકે જ ઓળખાતું હતું પણ જેમ-જેમ દિવસ પસાર થઈ રહ્યા છે તેનાથી સોનાની ખરીદીમાં અનેકઅંશે ઘટાડો પણ જોવા મળ્યો છે. દેશની ૬૦ ટકા મહિલાઓ સુશોભિત છે ત્યારે આવનારા સમયમાં બાકી રહેતી મહિલાઓ કે જેને સોનાની ખરીદી નથી કરી તે પણ હવે સોનું ખરીદી શકશે. દેશની સંસ્કૃતિ સોનાથી અનેકવિધ રીતે જોડાયેલી છે અને સોનાનું મહત્વ દેશનાં ગ્રંથોમાં પણ જોવા મળી રહ્યું છે. સોનું અતિ પવિત્ર ધાતુ પણ માનવામાં આવે છે.

લાઈફ સ્ટાઈલ પ્રોડકટ અથવા ફેશનની જયારે વાત કરવામાં આવે તો લોકોની બીજી મોટી પસંદગી સોના ઉપર નિર્ભર રહેતી હોય છે. ડિઝાઈનર કપડાઓ બાદ દેશની ૬૦ ટકા જેટલી મહિલાઓ સોનાના દાગીનાની ખરીદી કરતી હોય છે. જેમાં ગત એક વર્ષમાં ૪૦ ટકા મહિલાઓએ સોનાની ખરીદી કરી હતી.પ્લેટીનીયમ હોય કે ડાયમંડ સોનાનું મહત્વ અનેરું રહ્યું છે. અન્ય દેશોમાં સોનું લકઝરી માનવામાં આવે છે જયારે ભારત દેશની વાત કરીએ તો સોનું જરૂરીયાત બને છે. મહિલાઓ તેમની સુરક્ષા અને સલામતી માટે સોનાની ખરીદી મહદઅંશે કરતી હોય છે જેથી તેને સ્ત્રીધન તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલાના સમયમાં માતા-પિતા પરિણીત પુત્રીને સોનું ભેટમાં આપતા હતા જેનું એકમાત્ર કારણ એ છે કે કોઈપણ આફતનાં સમયમાં નાણા પુરતા ન હોય તો તે સમયગાળા દરમિયાન તેમની પાસે રહેલું સોનું તેમને ઉપયોગી સાબિત થઈ શકશે. બીજી તરફ દેશની ૩૩ ટકા મહિલાઓ કે જેની વયમર્યાદા ૧૮ થી ૨૪ વર્ષ વચ્ચેની છે તેઓએ સોનાની ખરીદી ગત એક માસમાં સૌથી ઓછી કરી છે જે આવનારા સમયમાં તે આંકડો વધુ બનશે તેવી હવે આશા સેવાઈ છે.

શહેરી વિસ્તારોમાં સોનાની ખરીદીનું પ્રમાણ અનેકઅંશે ઓછું જોવા મળે છે તો બીજી તરફ સોનાની ખરીદી જરૂરીયાતની સાથો સાથ રોકાણ કરવા માટે પણ કરવામાં આવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ ઈન્ડિયાનાં મેનેજીંગ ડાયરેકટર સોમસુંદરમે જણાવ્યું હતું કે, ભારતની જવેલરી બજાર વિશ્વમાં અત્યંત નામાંકિત છે અને દેશનાં સોનાનાં વેપારીઓ દ્વારા કરવામાં આવતી ડિઝાઈન પણ અત્યંત અસરકારક જોવા મળી રહી છે. આવનારા સમયમાં સોનાનાં ભાવમાં ઘટાડો થતા મહિલાઓ સોનાની ખરીદી પુરતા પ્રમાણમાં કરી શકશે પરંતુ સોનુ હાલ જે રીતે લોકોને સ્પર્શવું જોઈએ તે હજુ સુધી સ્પર્શી શકયું નથી. બીજી તરફ યુવા મહિલાઓ પણ સોનાની ખરીદીમાં અનેકઅંશે પીછેહઠ કરી રહી હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ કોરોનાની મહામારી વચ્ચે અનેકવિધ ક્ષેત્રમાં ઘણી માઠી અસર જોવા મળી રહી છે ત્યારે સોનાનાં ભાવમાં પણ ઘટાડો થવાની શકયતા જોતા ગોલ્ડ બજાર ફરી ધમધમશે તેવું ચિત્ર પણ સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.