Abtak Media Google News

કોરોનાના ઈલાજ અને વિદાયની આશાઓ અત્યારે અસમંજસની પરિસ્થિતિમાં પહોંચી ચુકી હોય તેમ વિશ્ર્વભરમાં હજુ કોવિડ-૧૯ વાયરસજન્ય આ રોગચાળાના કેવા પરીણામો આવશે તેની કોઈપણ આગાહી કરવી અત્યારે અશકય બની ગઈ છે. ચીનના વુહાનમાંથી શરૂ થયેલી આ મહામારીરૂપે ભારત સહિતનાં વિશ્વનાં મોટાભાગના દેશોમાં પ્રારંભિક રીતે કોરોના ફેલાવવાની ઝડપ ધીમી પડી છે. રીકવરી રેટ અને મૃત્યુદર પણ નીચો આવ્યો છે. કોરોના હવે વિદાય લઈ રહ્યો હોવાની એક આશા ઉભી થઈ છે પરંતુ દેખાય છે તેવી આ હકિકત વાસ્તવિકતાથી ઘણી દુર હોય તેમ નિષ્ણાંત તજજ્ઞોનું માનવું છે કે, કોરોના જલ્દીથી માનવ સમાજનો પીછો છોડે તેવો રોગ નથી. રોગ અંગે એવું કહેવાય છે કે આવે ઘોડા વેગે અને જાય કીડી વેગે. કોરોનાની વિદાયની આ ઝડપ અત્યારે તો કીડીથી પણ ઓછી છે. બીજી તરફ શિયાળાની આબોહવામાં હવાની ઘનતા વધુ હોવાથી કોરોના સંક્રમણની વર્તમાન ઝડપમાં પણ મોટો ફેરફાર આવે તેવું દેખાય રહ્યું છે. વળી કોરોનાના વાયરસ કાંકિડાની જેમ રંગ બદલતા હોય અને નવા-નવા લક્ષણોથી સંક્રમણ ફેલાવતા હોવાની વાત પણ પ્રયોગ સિઘ્ધ બની છે. કોરોનાની અસર હૃદયરોગના રૂપમાં વધુ ઘાતક નિવડી રહી છે. કોરોનાના લક્ષણો અને સાઈડ ઈફેકટમાં સૌથી વધુ ડેમેજ હૃદયને થઈ રહ્યું છે. લોહીના હલણ-ચલણ હૃદયને ઓકિસજન ઓછુ મળવું અને બ્લોકેજ જેવી સમસ્યા અત્યાર સુધી ઓળખાય હતી હવે તબીબોને કોરોનાના વાયરસ હૃદયની સપાટી ઉપર પણ ખોટુ જોખમ અને આડ અસર ઉભી કરનારા બનતા હોવાનું બહાર આવ્યું છે. કોરોના અંગેની નકારાત્મક બાબતમાં સ્પ્યુટનીક વી રસી કે જે કોરોનાના ઈલાજ માટે અકસીર સિઘ્ધ થવાની છે તે દર્દીઓ સુધી પહોંચવામાં હજુ ઘણો લાંબો સમય લે તેવી શકયતા છે. ભારત સહિત વિશ્ર્વભરમાં સ્પ્યુટનીક વી રસીને લેબોરેટરીથી ઈન્જેકશનની સીરીનજ સુધી પહોંચાડવા માટે જરૂરી તાપમાન નિયમનની કોઈ વ્યવસ્થા નથી. ઘણી હોસ્પિટલોમાં ફ્રીજ નથી. ઝડપથી પહોંચે તેવી પરીવહન સુવિધા નથી. કોઈપણ રસી તબકકાવાર પરીક્ષણમાંથી પ્રસાર કરવાની હોય છે. સ્પ્યુટનીક વીનો આ પરીક્ષણગાળો ૬ થી લઈ ૩૬ મહિના સુધી લાંબો હોય શકે ત્યારે કોરોનાના દર્દીઓ માટેની દવાની આશા પણ અત્યારે દિલ્હી દુર જેવી બની રહી છે. કોરોના ચાલ્યો ગયો છે તેમ સમજીને બિન્દાસ બની જવું એ પણ તમામ માટે ઘાતક પુરવાર થઈ શકે તેમ છે ત્યારે કોરોનાની કાળજીમાં કોઈપણ પ્રકારની બેદરકારી પાલવે તેમ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.