Abtak Media Google News

તહેવાર પ્રધાન ભારતમાં દીવાળીના તહેવારો ધાર્મિક અભિગમથી વધુ સામાજીક અને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવાની પરંપરામાં આપણા દેશની વિવિધતામાં એકતાની સંસ્કૃતિ પ્રતિબિંબીત થઈ રહી છે. દીવાળીના તહેવારો નવા વર્ષના આગમનને આવકારવાનો અને જીવનમાં પ્રકાશ અને ઉર્જાના સંચાર માટેના અવસર તરીકે ઉજવવામાં આવે છે ત્યારે તહેવારોની ઉજવણીની ખરી પરંપરામાં આતશબાજી અને ફટાકડાની રોનક તહેવારોનું અભિન્ન અંગ બની ગઈ છે અને દેશના દરેક વર્ગના લોકો ધર્મ, સમાજ, પરંપરા, સંપ્રદાય અને પ્રાદેશીક વૈવિધ્યતા ભુલીને દીવાળીની ઉજવણી ફટાકડા ફોડીને જ થાય તેવી એક જ પ્રકારની પરંપરાથી દીવાળીની ઉજવણી કરતા હોવાથી દીવાળી અને ફટાકડા એકબીજાના પર્યાય બની ગયા છે ત્યારે કોરોના સંક્રમણના આ કાળમાં લગભગ ગયા વર્ષના મોટાભાગના ધાર્મિક, સામાજીક અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના અમલવારીના કારણે તમામ તહેવારો સાદગીપૂર્વક ઉજવવામાં આવ્યા છે ત્યારે હવે જ્યારે કોરોનાનું સંક્રમણ પ્રમાણમાં ધીમુ પડ્યું છે ત્યારે દેશભરમાં દીવાળીના તહેવારો ધામધુમથી ઉજવાશે તેવો સામાજીક ‘આશાવાદ’ ઉભો થયો છે. પરંતુ દીવાળીની ઉજવણીમાં ફટાકડા ફોડવાની પરંપરાની જાળવણી આ વખતે જળવાશે કે કેમ ? તે પ્રશ્ર્ન ચર્ચા અને સામાજીક અસમંજસ અને સરકાર માટે એક મહત્વના નિર્ણયનો બની રહ્યો છે ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતાં સંક્રમણ અને વાયુ પ્રદુષણની સાથે સાથે ફટાકડાથી જાહેરમાં લોકોના ટોળા ભેગા થવાની સંભાવનાને પગલે ફટાકડાના વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે ત્યારે ગુજરાત સહિત દેશના જે ભાગોમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવ્યું છે અને લોકડાઉન પુરો થયા બાદ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે લોકોમાં દીવાળીએ ફટાકડા ફૂટશે કે કેમ તેનો પ્રશ્ર્ન ચર્ચાઈ રહ્યો છે ત્યારે દિવાળીના તહેવારોની ઉજવણી અને ફટાકડાના વેંચાણની પરવાનગી માટે હા કે ના નો નિર્ણય વહેલાસર લેવાવો જોઈએ. જો કે, ફટાકડાની મંજૂરીનો નિર્ણય હજુ લેવાયો નથી પરંતુ ફટાકડાના દુકાનદારોએ સારા સંજોગોના અણસાર પામીને ફટાકડાની ખરીદી અને વેચાણની તૈયારી કરી લીધી છે. જ્યારે મોટા પ્રમાણમાં દીવાળીની જરૂરીયાતોના ફટાકડાઓ ફેકટરીમાંથી મંગાવવાની પ્રક્રિયા હજુ અસમંજસમાં છે ત્યારે ગુજરાત સહિત જે રાજ્યોમાં કોરોનાની પરિસ્થિતિ કાબુમાં છે ત્યાં જો ફટાકડાની મંજૂરી આપવાનો નિર્ણય લેવાનો હોય તો આ નિર્ણય સમયસર લઈ લેવો જોઈએ. સરકારની હા અને ના ના અભિગમનો વેપારીઓમાં ઈંતેજાર પ્રવર્તી રહ્યો છે. હવે દીવાળીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ફટાકડાના પ્રતિબંધ અંગેનો અંતિમ નિર્ણય હવે વહેલાસર લેવો જોઈએ. તંત્ર દ્વારા સત્તાવાર રીતે આ અંગેનો અભિગમ સ્પષ્ટ કર્યા બાદ પણ મોટાભાગે શિવાકાસી સહિતના ગુજરાત બહારના રાજ્યોમાંથી ફટાકડાની આયાત કરવામાં આવે છે ત્યારે આ વર્ષનો માલ આ નિર્ણય બાદ મંગાવવાનો હોવાથી દીવાળીના તહેવારની ઉજવણી અને ખાસ કરીને ફટાકડાની મંજૂરીનો નિર્ણય સમયસર લેવો હિતાવહ છે. છેલ્લી ઘડીએ ફટાકડાની મંજૂરી આપવાથી બજારમાં માલની અછત કાળાબજારની શકયતા, વધારે ભાવ જેવા પરિબળો ઉભા થાય, વળી ઝડપથી માલ મંગાવવાની કોશીષમાં પરિવહન દરમિયાન મોટા આકસ્મીક હોનારતની આશંકાની શકયતાને પગલે જો દીવાળીના તહેવારોની ઉજવણી સામાન્ય રીતે કરવાની અને ફટાકડા ફોડવાની છુટ આપવાની હોય તો તે વહેલાસર આપવી જોઈએ. કોરોના વર્તમાન પરિસ્થિતિમાં આ રોગ ઉથલો મારે તેવી શકયતા સેવાઈ રહી છે. જો કે અત્યારે સંક્રમણ કાબુમાં આવ્યું છે, રીકવરી રેટ વધ્યો છે અને મૃત્યુદર પણ નીચો આવ્યો છે તેવા સંજોગામાં તહેવારોની ઉજવણીનો માહોલ ઉભો થયો છે ત્યારે દીવાળીની સામાજીક પરંપરાની ઉજવણી અને ફટાકડાની મંજૂરીનો નિર્ણય સમયસર લેવો હિતાવહ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.