Abtak Media Google News

ફિકકીના ૯૩મા વાર્ષિક સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

કૃષિ ક્ષેત્રમાં વધુ રોકાણ માટે ઉદ્યોગ જગતને વડાપ્રધાનનું આહવાન

દેશભરમાં માર્કેટ યાર્ડોનું આધુનિકરણ થઈ રહ્યું છે ખેડુતોને ખેત ઉપજ વેચવા ડિજિટલ પ્લેટફોર્મ મળ્યું છે

નવા કૃષિ કાયદાથી ખેડુતોને નવા વિકલ્પો મળશે, નવા બજાર મળશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિકકીના ૯૩માં સંમેલનનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરતા જણાવ્યું હતુ. દેશના અમુક વિસ્તારોમાં હાલ ખેડુતો દ્વારા નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવાય છે. ત્યારે વડાપ્રધાન નવા કૃષિ કાયદા અંગે ખાસ ઉલ્લેખ કરી જણાવ્યું હતુ કે દેશના ખેડુતોને પોતાની ખેત ઉપજ માર્કેટ યાર્ડમાં વેચવા સાથે અન્યત્ર વેચવાનો વિકલ્પ પણ મળે છે. હાલમાં દેશભરમાં યાર્ડોનું આધુનિકરણ થઈ રહ્યું છે. અને ખેડુતોને પોતાની ઉપજ વેચવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પણ મળી રહ્યું છે. ખેડૂતો આ ડિજીટલ પ્લેટફોર્મ મારફત ખરીદી પણ કરી શકશે. તેનાથી ખેડુતોને નવો વિકલ્પ અને નવી બજાર મળશે.

તેમણે જણાવ્યું કે ખેતી ક્ષેત્રમાં ખાનગી રોકાણ વધ્યું છે. પણ હજુ જોઈએ તેટલું વધ્યું નથી. એથી વધારે રોકાણની જરૂર છે. ઉદ્યોગ સંસ્થાઓએ આ ક્ષેત્રમાં વધુ રોકાણ કરવાની જરૂર છે. કૃષીક્ષેત્રમાં ખાનગી કંપનીઓ સારૂ કામ કરી રહી છે. પણ હજુ વધારે સારૂ કામ કરવાની જરૂર છે. વડાપ્રધાને જણાવ્યું કે છેલ્લા છ વર્ષમાં દૂનિયાભરમાંથી ભારતમાં વિશ્ર્વાસ સાથે ગજબનું રોકાણ થયું છે. પછી તેએફડીઆઈ હોય કે એફપીઆઈનું અને હજુ પણ રોકાણ વધી રહ્યું છે. કૃષિ કાયદાના સુધારા અંગે તેમણે જણાવ્યું કે કૃષિ સુધારાથી ખેડુતોને ફાયદો થઈ રહ્યો છે. ખેતી માટે નડતી તમામ દિવાલો અમે દૂર કરી છે. નવા કાયદાથી ખેડુતોની આવક વધશે અને આ ક્ષેત્રમાં રોકાણ વધતા ખેડુતોને વધુ ફાયદો થશે અને નવા વિકલ્પ મળશે નવા બજાર મળશે. કોરોના રોગચાળાના સમયમાં ભારતે નાગરિકોના જીવનને જ પ્રાથમિકતા આપી હતી કોરોના કાળમાં ભારતે જે નિર્ણય લીધા તેની આખી દૂનિયામાં પ્રશંસા થઈ રહી છે. કોરોના કાળમાં જેટલી ઝડપથી સ્થિતિ બગડી એટલી જ ઝડપથી સ્થિતિ સુધરી છે. આત્મનિર્ભર ભારતમાં તમામ દેશવાસીઓનો સહયોગ મળી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ. વડાપ્રધાને પ્રેરિત ભારત બનાવવામાં ઉદ્યોગ જગતની ભૂમિકા અંગે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિઓ, નેતાઓ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો અને અન્ય નામાંકિતો જોડાયા છે.

ફિકકીના આ વાર્ષિક પ્રદર્શનનો આજથી પ્રારંભ થયો છે. જેએક વર્ષ સુધી ચાલશે આ સંમેલનમાં સામેલ થનારા વિવિધ હિતધરાવનારા કોરોના ૧૯ રોગચાળાનો ભારતીય અર્થ તંત્ર પર પ્રભાવ, સરકારે અર્થતંત્રમાં સુધારા માટે લીધેલા પગલા અંગે ચર્ચા વિચારણા કરશે. આ કાર્યક્રમમાં દુનિયાભરમાંથી ૧૦ હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ત્રણ દિવસ ચાલનારી આ વર્ચ્યુઅલ બેઠકમાં કેટલાય કેન્દ્રીય મંત્રીઓ, અધિકારીઓ, ઉદ્યોગજગતના આગેવાનો, રાજદૂતો અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો ભાગ લઈ રહ્યા છે.

દેશમાં ચારે તરફ થઈ રહ્યો છે વિકાસ: વડાપ્રધાન

વડાપ્રધાને જણાવ્યું હતુ કો ભારતની ‘બજારો’નું આધુનિકરણ થઈ રહ્યું છે. કૃષિ ઉપજને ‘મંડી’ સાથે સાથે બજારમાં વેચવાનો વિકલ્પ મળી રહ્યો છે. દેશમાં ચારે તરફ સુધારા થઈ રહ્યા છે. કોઈ એક ક્ષેત્રમાં થતા સુધારાની અસર બીજા ક્ષેત્ર ઉપર પણ થાય છે. તેમણે જણાવ્યું કે વિશ્ર્વમાં ભારતમાં સૌથી ઓછો કોર્પોરેટ ટેક્ષ છે. ઈન્સ્પેકટર રાજ અને કરની માયાજાળને પાછળ રાખીને ભારત ઉધમીઓ પર ભરોસો રાખી આગળ વધી રહ્યો છે.

કૃષિ કાયદા પરત નહીં ખેંચાય: મોદી

ભાષણ દરમિયાન વડાપ્રધાને દેશમાં ચાલતા કૃષિ આંદોલન વચ્ચે એવો નિર્દેશ આપ્યો હતો કે સરકાર કૃષિ કાયદાને પાછા ખેંચવાની નથી વડાપ્રધાને કોરોના વેકિસન, કૃષિ સુધારા, ગ્રામીણ ભારત અને ઉદ્યોગ પતિઓના કૃષિ રોકાણ વિશે વાતચીત કરી હતી.

૬ માસમાં વિદેશનો વિશ્વાસ મજબુત બન્યો

વડાપ્રધાને જણાવ્યું કે છેલ્લા છ વર્ષમાં આખી દુનિયાયે ભારતમાં ગજબનો વિશ્વાસ બતાવ્યો છે. આ વિશ્ર્વાસ છેલ્લા છ માસમાં વધુમજબુત બન્યો છે. એફડીઆઈ હોય કે એફપીઆઈ વિદેશી રોકાણકારોએ ભારતમાં રેકોર્ડ રોકાણ કર્યું છે. અને આગામી સમયમાં પણ ચાલુ રાખશે. એ નકકી છે કે ૨૧મી સદીમાં ભારતના વિકાસમાં ગામડા અને નાના શહેરોનો ટેકો ખૂબ જ મળશે. ધંધાર્થીઓએ ગામડા અને નાના શહેરોમાં રોકાણ કરવાની તક ચૂકવી ન જોઈએ તેમ તેમણે અંતમાં જણાવ્યું હતુ.

‘પ્રેરણાત્મક ભારત’ થીમ

કોરોના રોગચાળા વચ્ચે ફિકકીના આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં દુનિયાભરની જાણીતી કંપનીઓ ભાગ લઈ રહી છે અને પોતાના વિવિધ ઉત્પાદન, સેવાઓ પ્રદર્શિત કરી રહી છે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યામુજબ ફિકકીના આ કાર્યક્રમની મુખ્ય થીમ- ‘પ્રેરણાત્મક ભારત’ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.