Abtak Media Google News

મર્યાદિત ઓવર્સમાં જ મેચ રમાડી લેવામાં આવે તેવી પણ પ્રબળ શક્યતા

ભારત અને શ્રીલંકા વચ્ચે થનારી લિમિટેડ ઓવર્સની સિરીઝ હવે પહેલાંથી નિર્ધારિત શિડ્યૂલ ૧૩ જુલાઈથી શરૂ નહીં થાય. શ્રીલંકાની ટીમના બેટિંગ-કોચ ગ્રાંટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન કોરોના પોઝિટિવ આવ્યા છે. એ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ક્રિકેટ શ્રીલંકાએ આ સિરીઝને થોડા દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવે છે કે આ સિરીઝ હવે ૧૭ જુલાઈથી શરૂ થઈ શકે છે.

Advertisement

પહેલા શિડ્યૂલ મુજબ, વનડે સિરીઝની પહેલી મેચ ૧૩ જુલાઈ, બીજી ૧૬ જુલાઈ અને ત્રીજી વનડે ૧૮ જુલાઈએ રમાવાની હતી, જે બાદ ટી-૨૦ સિરીઝ રમાવાની હતી. શ્રીલંકન ક્રિકેટ બોર્ડએ હવે બીસીસીઆઈની સામે ૧૭,૧૯ અને ૨૧ જુલાઈના રોજ ૩ મેચ રમાડવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તો ટી-૨૦ ટૂર્નામેન્ટ ૨૪,૨૫ અને ૨૭ જુલાઈના રોજ રમાઈ શકે છે. આ અંગે બીસીસીઆઈ નિર્ણય કરશે.

હાલના સમયમાં એવું પણ મનાઈ રહ્યું છે કે, ભારત-શ્રીલંકા વચ્ચેના વન-ડે મેચ મર્યાદિત ઓવર્સ સાથે રમાડી લેવામાં આવશે. સાથોસાથ બાયોબબલ સહિતની સુરક્ષા વ્યવસ્થામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

શ્રીલંકા માટે ચિંતાની વાત એ છે કે, બેટિંગ-કોચ ગ્રાંટ ફ્લાવર અને એનાલિસ્ટ જીટી નિરોશન બંને ડેલ્ટા વેરિયન્ટથી પોઝિટિવ થયા છે. કોરોનાનો આ વેરિયન્ટ સૌથી વધુ સંક્રમક અને ખતરનાક છે. શ્રીલંકાના ખેલાડીઓને શુક્રવારે જ આઈસોલેશનથી બહાર આવવાનું હતું, પરંતુ હવે ટીમને બે દિવસ વધુ રાહ જોવી પડશે.

આ વચ્ચે તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના વધુ એક વખત આરટી-પીસીઆર ટેસ્ટ થશે. એનાં પરિણામ આવ્યાં બાદ જ નિર્ણય લેવાશે કે ભારત વિરુદ્ધ સિરીઝમાં કયા કયા ખેલાડી ભાગ લેશે.

કોરોનાની આ સ્થિતિને જોતાં શ્રીલંકાના બોર્ડે પહેલાંથી વૈકલ્પિક પ્લાન તૈયાર કરી રાખ્યો છે. ખેલાડીઓનાં વધુ બે અલગ-અલગ જૂથ બાયો બબલમાં રાખવામાં આવ્યાં છે. એક ગ્રુપ કોલંબોમાં અને બીજો દાંબુલામાં હાજર છે. જરૂર પડશે તો આ ગ્રુપમાં હાજર ખેલાડીઓને ભારત વિરુદ્ધ સિરીઝમાં ઉતારવામાં આવી શકે છે.

શ્રીલંકાની ટીમ એક મેડિકલ સ્ટાફે જણાવ્યું હતું કે, હાલ એ કહેવું ઉતાવળિયું હશે કે ભારત વિરુદ્ધ કયા ખેલાડી રમશે. બોર્ડ અને મેડિકલ ટીમ સ્થિતિ પર ઓબ્ઝર્વ કરી રહ્યાં છે. આરટી-પીસીઆર ટેસ્ટના બીજા રાઉન્ડ બાદ કંઈ કહી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.