Abtak Media Google News

માનવ જીવનમાં સંબંધનું અતિ મહત્વ

મૈત્રીના રસાયણમાં હજારો કિલોમીટર ઓગળી જાય છે: માતા-પિતા, પુત્ર-પુત્રી, દાદા-દાદી, નાના-નાની સાથે મિત્રતા જેવા વિવિધ સંબંધો થકી જ માનવ જીવન ધબકતું રહે છે: પારિવારિક સંબંધોનું જીવનમાં ઘણુ મહત્વ હોય છે

પ્રેમ, હૂંફ અને લાગણી આ ત્રણ શબ્દો સંબંધોના પાયા છે, જો એક પણ પાયો નબળો પડે તો સંબંધોમાં તિરાડ પડવા લાગે અને અંતે બ્રેકઅપ થાય છે

માનવ જીવનમાં સંબંધનું અતિ મહત્વ છે. જીવનમાં આવતા સારા-નરસા પ્રસંગે સંબંધની પરીક્ષાઓ થતી જોવા મળે છે. સાચવવો પડે તેવો સંબંધ ક્યારેય ન હોય શકે સચવાય તે જ સંબંધ કહેવાય છે. કૃષ્ણ-સુદામાનો સખાપણાને અમરત્વ પ્રાપ્ત થયું છે. આપણા જીવનમાં પણ બાળપણની ગોઠડી જ વિશેષ મહત્વ ધરાવે છે. માનવ જન્મથી માતૃત્વના સંબંધે બંધાય છે અને મોટા થતા પિતા, ભાઇ-બેન, દાદા-દાદી, કાકા-કાકી, નાના-નાની, મામા-મામી જેવા વિવિધ કૌટુંબિક સંબંધોના તાતણે બંધાય છે. જેની સાથે બેસવું, ઉઠવું, રમવું કે વાતો કરવી ગમે તેવા સંબંધો આપમેળે નિર્માણ થઇ જાય છે. આજે તો સંબંધોમાં પણ સ્વાર્થવૃત્તિનો પ્રવેશ થઇ ગયો છે.

એક વાત નક્કી છે કે સંબંધ ક્યારે ‘બંધ’ ન થાય તે તો અનંત છે. ગમે તેવો સંબંધ હોય તે 100 ટચના સોના જેવો શુધ્ધ જ હોય છે. તેને આપણે જ વધુ પડતી અપેક્ષાને કારણે નષ્ટ કરીએ છીએ. પારિવારિક સંબંધોની પણ એક મજા છે. ‘ગમતાનો ગુલાલ’ સાથે ઉજવાતા ઉત્સવે આપણાં સંબંધો ચોમેર દિશાએ ખીલી ઉઠે છે. આપણું જીવન જ આવા સંબંધો થકી ધબકતું રહે છે. સુખ કરતાં દુ:ખમાં સંબંધોની કસોટી થાય છે. તેને ટકાવવો સહેલો પણ સાથે અઘરો પણ છે કારણ કે એકબીજાને જતુ કરવાની ભાવના સાથે સધિયારાનો ભાવ હોવો જરૂરી છે.પ્રેમ, હૂંફ, લાગણી આ ત્રણ શબ્દો સંબંધોના પાયા છે જો એકપણ પાયો નબળો પડે તો સંબંધમાં તિરાડો પડવા લાગે છે અને અંતે બ્રેકઅપ થાય છે. આજના યુગમાં તો પરિવારમાં ભાઇઓ એકબીજા બોલતા નથી ત્યાં તેના મહત્વની વાત ક્યાં કરવી. સંબંધો આપણને નિર્ભયતા બક્ષે છે ને જીવન જીવવાની પ્રેરણાને પ્રોત્સાહન આપે છે. આજે તો સંબંધોમાં નૈતિકતા જોવાય છે અને અનૈતિક સંબંધોને ટીકાનો વરસાદ વરસાવે છે. એકબીજાના ઇચ્છાથી બંધાતા બંધન, સંબંધોને ક્યારેય કશુ જ નડતું નથી હા સંબંધ નિર્દોષતાસભર હોય છે તો પુખ્યવયે સંબંધમાં આકર્ષણ કે છળ કપટ હોય છે. સંસાર યાત્રામાં આપણી આસપાસના વાતાવરણમાં બંધાતા સંબંધોની અલગ વ્યાખ્યા છે જેમ કે પાડોશી સાથે, કામના સ્થળે, જાહેર સ્થળો એ જે સંબંધો બંધાય કે રાખવા પડે તે એક કાર્યનો ભાગ હોય છે જે સમયાંતરે બદલાતા રહે છે. સૌથી મહત્વના સંબંધોમાં પારિવારિક સંબંધો સૌથી ટોચ ઉપરના ગણાય છે. આના સહયોગ, પ્રોત્સાહનથી તમો તમારો સંર્વાંગી વિકાસ કરો છો ત્યારે તેના મૂલ્યને ક્યારેય અવગણી ન શકાય આમ જોઇએ તો પણ એ જ સંબંધો આપણી સાચી મૂડી છે.

સંબંધ કે મિત્રતાને ખરાઅર્થમાં સમજવી હોય તો તમારે નાના બાળકોને રમતા જોવો તો સમગ્ર જીવનનાં તમામ ગુણોના દર્શન થઇ જશે. આપણા જીવનમાં ઘણા સંબંધો બંધાતા આપણી દુનિયા બદલાઇ જતી જોવા મળે છે. વ્યક્તિ બદલાય તેમ તેના અનુભવોને લાગણીઓ પણ બદલાતી જોવા મળે છે. ક્યારેક સમય, સંજોગો, વિચારો વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવે તેમ આપણાં સંબંધો ઉપર પણ અસર પડે છે. મેળવવા કરતા પામવાનું મહત્વ વધારે હોય તો જ સંબંધો લાંબુ ટકી શકે છે. એકલવાયુ જીવન જીવતો માનવી સંબંધોની મહત્તા સમજે તો તેનું જીવન પણ હરિયાળું બની શકે છે પણ સ્વભાવ તેમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે. આપણા સંબંધો સુગંધ જેવા હોવા જોઇએ જેને અનુભવાય પણ ક્યારેય પકડી ન શકાય.આજે સંસાર જીવનમાં વધતા છૂટા છેડાની ઘટનામાં સહનશિલતા સાથે એકબીજાને સમજવાની મુશ્કેલીમાં જ જીવન બરબાદ થઇ જાય છે. આજે જે વડિલો છે તેને પૂંછી જો કે તમે જીવનમાં સંબંધો ટકાવવા કેટલું જતુ કર્યું છે? પ્રશ્ર્નોનો જવાબ છે તેનો સ્વભાવ. સંબંધોની મીઠાશ હોય કે મીઠાશવાળા સંબંધો છેલ્લે તો એકમેકને મદદગારી કરી ફરી જીવતો કરો તે જ તેનું મૂલ્ય છે. આજના સંબંધોમાં અમીરી, ગરીબી જોવા મળે છે જો કે આ ભેદરેખા વર્ષોેથી ચાલી આવી છે. આપણી જીવનશૈલી જ આપણા મિત્રોને આપણી તરફ ખેંચે છે. જીવનમાં સંબંધો શ્ર્વાસ જેવા છે જેમાં વિશ્ર્વાસ ભળતા તે ચોમેર દિશાએ ખીલી ઉઠે છે. સંબંધમાં માત્ર પ્રેમ, લાગણી ભળે તો જાનવરો પણ તમારા માટે જીવ આપે છે.સંબંધો આકાશ જેવા છે તેને કોઇ ક્ષિતિજ નથી તે અનંત છે. આપણા સૌના જીવનનો સરવાળો એટલે જ આપણા સંબંધો, બંધન શબ્દ સંબંધમાં આવે ને એ બંધન પણ કરે પણ તે આપણા જીવનના સારા માટે છે. હું અને તું નહીં પણ આપણે આવું સંબંધોમાં બોલાય ત્યારે તેમાં સ્વાર્થ નિકળતા પવિત્રતા દાખલ થાય છે. જિંદગી, સમય અને સંબંધ આ ત્રણ વસ્તુ ક્યારેય કોઇના જીવનમાં એક સરખી હોતી જ નથી. સમજદારી સંબંધોની પાયાની બાબત છે. સ્નેહ-સંવેદનાનું મિશ્રણ થાય તો સંબંધો 16 કલાએ નિખરી ઉઠે છે, પછી તે દાંપત્યજીવન હોય કે દોસ્તી હોય.સમય અને સમજણ આ બે વસ્તુ સંબંધોમાં હોવી જોઇએ. જીવનનું સાચુ સંગીત જ સંબંધ છે જેના આરોહ, અવરોહ, લય, તાલ સાથે સતત જીવન ધબકતું રહે છે. સંબંધો ખુલ્લી કિતાબ જેવા ખુલ્લાને ચોખ્ખા હોવા જોઇએ. જેમાં વિશ્ર્વાસ હોવો જોઇએ કોઇપણ વાત જેનાથી છૂપાવી ન શકીએ તે જ સાચો સંબંધ કહેવાય. જરૂર હોય તે ગમે તે માંગણી એકબીજા કરી શકે તે ઉમદા સંબંધોની વાત છે. આજે તો પૈસાને કારણે વણસતા સંબંધો એ ઘણાના જીવા રોળી નાખ્યા છે. વિભક્ત કુટુંબો કરતા સંયુક્ત પરિવારના સંબંધોની તાકાત ઘણી મજબૂત હતી. પહેલાના જમાનાના સંબંધો મૃત્યુ સુધી ટકી રહેતા. આજે તો સંબંધો જરૂરિયાતના હોવાથી લાંબુ ટકતા જ નથી. સંબંધોની સાચી વાત પ્રેમ ભાવ, સાથ સહકાર અને મુશ્કેલીમાં હૂંફ આટલું જ કાફી છે. એમની સલાહ પણ આપણું જીવન પ્રોત્સાહિત કરે છે. આપણાં જીવનમાં આપણે અનંત લોકોને મળીએ છીએ પણ સંબંધો તો અમુક સાથે બંધાય છે. અરસ-પરસ બધુ સરસ હોય છે તેમ સંબંધોને વિશાળ વટવૃક્ષ બનાવો.

પારિવારિક સંબંધોની પણ એક મજા હોય

સંબંધ તો આકાશ છે, તેને ગમતે તે નામ આપો પણ તે 100 ટચના શુધ્ધ સોના જેવો હોવો જોઇએ. પરસ્પરની લાગણી, સથવારો જ તેને મજબૂત કરે છે. સંબંધોમાં ગાંઠ પડે ત્યારે તેને ઉકેલવામાં બન્ને પક્ષેથી કાર્ય થાય તે જરૂરી છે. પારિવારિક સંબંધોની પણ એક મજા છે. ગમતા ગુલાલ સાથે ઉજવાતા તહેવારોનો આનંદ ચોમેર દિશાએ ખીલી ઉઠે છે. સુખ કરતા દુ:ખમાં સંબંધોની કસોટી થાય છે. આપણે સંબંધો હોય તેને અમારા સંબંધી છે તેવું બોલીએ છીએ. સંબંધમાં ઋણાનુબંધનું પણ મહત્વ છે. એકબીજાને ગમે તેવી મુશ્કેલીમાં સનત સાથ મળતો રહે એ જ સાચો સંબંધ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.