Abtak Media Google News

 શિક્ષકો, નિવૃત્ત અધિકારીઓ, સહકારી આગેવાનો, ખેડૂત આગેવાનો વિવિધ સમાજના અગ્રણી સ્વૈચ્છીક સંગઠનોના પ્રતિનિધિ, ડોક્ટર, સીએ, વકીલ, ઇજનેરો, વેપારીઓ બિલ્ડરો અને સંઘ પરિવારના આગેવાનો સાથે પણ બેઠક કરશે

વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ગઇકાલથી રાજકોટ જિલ્લાની મૂલાકાતે છે. તેઓએ ગઇકાલે સાંજ ગોંડલમાં વિશાળ રોડ-શો યોજ્યો હતો અને પેજ સમિતિના 50 હજારથી વધુ સભ્યોનું એક વિશાળ સંમેલન યોજ્યું હતું. સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજી હતી. દરમિયાન આજ સવારથી પ્રદેશ ભાજપ પ્રમુખે રાજકોટ શહેરમાં પડાવ નાંખ્યો છે. દિવસભર તેઓનો ભરચક્ક કાર્યક્રમ છે. અલગ-અલગ સાત કાર્યક્રમો યોજાશે. વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ પાટીલ સંગઠનને વધુ મજબૂત બનાવવા સક્રિય બન્યા છે.

વિધાનસભાની ચૂંટણી પૂર્વ રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં સંગઠાત્મક પ્રવાસ ખેડવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ગઇકાલે ગુરૂવારે સવારે તેઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ સંગઠાત્મક કાર્યક્રમો યોજ્યા બાદ સાંજે રાજકોટ જિલ્લાના ગોંડલમાં રોડ-શો, પેજ સમિતિના સભ્યોનું સંમેલન અને સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. દરમિયાન આજે સવારથી તેઓનો રાજકોટમાં મૂકામ છે. સવારે સૌપ્રથમ સર્કિટ હાઉસ ખાતે ભાજપના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે મૂલાકાત કરી હતી. ત્યારબાદ શહેરના ટાગોર રોડ સ્થિત હેમુ ગઢવી હોલના મિની થિયેટર ખાતે સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાઓના વડા, સાહિત્યકારો, કલાકારો સાથે બેઠક યોજી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ તેઓએ દિવ્યાંગો, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ, વિધવા બહેનો અને શ્રમિકો સાથે બેઠક યોજી હતી.

Untitled 1 448

કાર્યકર્તાઓ-શુભેચ્છકો સાથે મૂલાકાત: સાધુ-સંતો, સંસ્થાઓ, સાહિત્યકારો કલાકારો, દિવ્યાંગો, સરકારી યોજનાના લાભાર્થીઓ, વિધવા બહેનો, શ્રમિકો સાથે બેઠક

ત્યારબાદ કાલાવાડ રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરના હોલ ખાતે શિક્ષકો, નિવૃત્ત અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક, સહકારી ક્ષેત્રના આગેવાનો, ખેડૂત આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, વિવિધ સ્વૈચ્છીક સંગઠનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે.

ત્યારબાદ બપોરે ફરી હેમુ ગઢવી હોલ ખાતે ડોક્ટરો, સીએ, વકીલો, એન્જિનીયરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ તથા બિલ્ડરો સાથે અને સૌથી છેલ્લે સંઘ પરિવારના આગેવાનો સાથે બેઠક યોજશે.

વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત સી.આર.પાટીલ દ્વારા દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. 33 જિલ્લામાં આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્યના આઠ મહાનગરોમાં પણ સંગઠાત્મક કાર્યક્રમ શરૂ કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. આજે સવારથી પ્રદેશ ભાજપ અધ્યક્ષને મળવા માટે સર્કિટ હાઉસ સહિતના સ્થળોએ કાર્યકર્તાઓ તથા શુભેચ્છકોની લાંબી કતારો લાગી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.