Abtak Media Google News

એક જ નંબરની બે નોંધ હકકપત્રમાં દાખલ થયેલ હોવાથી ખેડુતો હેરાન થતા મામલતદારે સુઝબુઝથી પ્રશ્ન ઉકેલ્યો: ગ્રામજનોએ મામલતદારનું અભિવાદન કર્યું

અબતક, ઋષી મહેતા, મોરબી

મોરબી તાલુકાના વનાળીયા ગામનાં ખેડૂતોનો વર્ષોથી ચાલતો આવતો જૂનાં મહેસુલી પ્રશ્નનો આખરે નિવેડો આવ્યો છે. મામલતદાર દ્વારા આ અંગે જિલ્લા કલેકટર તેમજ પ્રાંત અધિકારી સાથે ચર્ચા વિચારણા કરી તેમના માર્ગદર્શન હેઠળ આગવી સુઝબુઝ દાખવી તાત્કાલિક અસરથી ખેડૂતોના પ્રશ્નનો નિરાકરણ લાવ્યો છે. જેને લઇ આજે વનાળીયા ગામનાં સરપંચ, ગ્રામપંચાયતનાં સદસ્યો તથા ગામનાં આગેવાનોએ મહેસુલી અધિકારીઓનાં અભિવાદનનો કાર્યક્રમ ગોઠવી વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના વનાળીયા ગામનાં હકકપત્રક વર્ષ 1981 થી 1983 સુધીમાં ગામ નમુના નં.6ની નોંધ નં 1130 થી 1182 દાખલ થયેલ અને ફરીથી વાર્ષ 2000 થી 2001 સુધીમાં નોંધ નં.1130 થી 1182 દાખલ કરવામાં આવી હતી.

Img 20220922 Wa0363

આમ,એક જ નંબરની બે હકકપત્રની નોંધો દાખલ થઈ હતી. પરંતુ આ બંને નોંધોના પ્રકાર, દાખલ તથા પ્રમાણિત તારીખ હિત ધરાવનારાઓ તથા અસરકર્તા સર્વે નંબરો તથા નિર્ણયો અલગ-અલગ હોવાથી ખેડુત ખાતેદારોને તેમની જમીનના ટાઈટલમાં પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી.વધુમાં, ગુજરાત સરકાર દ્વારા મેન્યુઅલ હકકપત્ર નોંધો સ્કેન કરાવી ઓનલાઈન કરવામાં આવી ત્યારે સોફ્ટવેરમાં એક ગામે એક નંબરની એક જ નોંધ અપલોડ થઈ શકતી હોવાથી બેવડાતી અન્ય નોંધો ઓનલાઈન થઈ ન શકતાં ખાતેદારોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જે બાબતે ગામનાં ખાતેદાર ખેડુતો, આગેવાનો અને સરપંચ દ્વારા મહેસુલી અધિકારીઓ, પદાધિકારીઓને ઘણા સમયથી રજુઆતો કરવામાં આવતી હતી. તેમજ મુખ્યમંત્રીનાં સ્વાગત કાર્યક્રમમાં પણ આ અંગે રજુઆતો કરવામાં આવી હતી. છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોએ આ પ્રશ્ન મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાને ધ્યાને મુક્યો હતો.

જેને લઈ તેમણે આ પ્રશ્નમાં અંગત રસ દાખવી મોરબીના કલેક્ટર  જે.બી.પટેલ તથા પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાનું માર્ગદર્શન મેળવી એક જ નંબરવાળી બંને નોંધોની અલગ-અલગ સ્કેન કોપીની એક જ સ્કેન કોપી બનાવી અપલોડ કરવાનું નક્કી કરેલ પરંતુ તેમ કરવા જતાં એક જ નોંધ નંબરમાં બે અલગ પ્રકારની નોંધોમાં ફેરફારનાં પ્રકારો તથા સર્વે નંબરો સમાવિષ્ટ થતાં હોઈ ભવિષ્યમાં ટાઈટલનો પ્રશ્ન ઉદ્દભવી શકે તેમ હોવાથી તેમણે મહેસુલી સુઝ દાખવી રેવન્યુ ઓથોરીટીએ એક સરખા નંબરવાળી બે નોંધમાંથી ટાઈટલ ચકાસણી સમયે જે સર્વે નંબરનું ટાઈટલ તપાસવાનું હોય તેને લાગુ પડતી નોંધ ધ્યાને લેઈ તે મતલબનો હુકમ કરવા વિગતવાર દરખાસ્ત પ્રાંત અધિકારીને મોકલતા તેઓએ પણ આ મામલે અંગત રસ દાખવી ખાતેદારોનાં હિતમાં હુકમ કરી હુકમી નોંધ દાખલ કરી આપતાં વર્ષો જુના મહેસુલી પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું છે. જેને લઈ આજે વનાળીયા ગામનાં સરપંચ,ગ્રામપંચાયતનાં સદસ્યો તથા ગામનાં આગેવાનોએ મહેસુલી અધિકારીઓનાં અભિવાદનનો કાર્યક્રમ ગોઠવી વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.