Abtak Media Google News

સાગર સંઘાણી

જામનગર જાણે ક્રાઈમ સીટી બની રહ્યું હોય તેવી ઘટનાઓ આજ કાલ સામે આવી રહી છે ત્યારે 24 કલાકમાં હત્યાનો બીજો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જામનગર જીલ્લામાં લાલપુર પંથકમાં એક યુવતી નો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના લાલપુર પંથકની છે જ્યાં નાની રાફૂદડ ગામમાંથી ચંગા ગામની અર્ચનાબેન મનસુખભાઈ કણજારીયા નામની ૨૩ વર્ષીય અપરણીત યુવતી કે જે ગઈ રાત્રે પોતાના ઘેરથી એકાએક લાપતા બની હતી, અને આજે સવારે નાની રાફૂદડ ગામની સીમમાં એક વાડીની ઓરડીમાંથી તેણીનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો. યુવતીની સાથે જ કારખાનામાં કામ કરતા શખ્સ દ્વારા યુવતીના ગળાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાંથી તિક્ષણ હથિયારના ઘા જીંકી દઈ હત્યા કર્યાનું સામે આવ્યું છે. પોલીસે હત્યા અંગે ગુનો નોંધી હત્યારા આરોપી ની શોધખોળ હાથ ધરી છે.

મૃતદેહની બાજુમાં છરી- લોહી વાળો પથ્થર સહિતના હથિયારો મળી આવ્યા હતા ઉપરાંત બનાવના સ્થળેથી દરેડ વિસ્તારમાં રહેતા ભાવેશ રણછોડભાઈ સોનગરા નામના ૨૩ વર્ષના શખ્સના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. તેથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. મૃતક યુવતી મોડી રાત્રે લાપતા બન્યા બાદ ૬ માર્ચના રોજ વહેલી સવારે ભાવેશ નામના શખ્સનો મૃતકના પિતાને સવારે ૮.૩૦ વાગ્યાના અરસામાં ફોન આવ્યો હતો, અને વોટ્સએપ ચાલુ કરવાનું જણાવતા મૃતક પિતાએ વોટ્સએપ ચાલુ કરતાં તેમાં એક વિડીયો ક્લિપ આવી હતી જે ભાવેશે મોકલાવી હતી, અને તેમાં તેની પુત્રી અર્ચના કાકલુદી કરી રહેલી જોવા મળી હતી.

વીડીયો કલીપ જોયા બાદ યુવતીના પરિવારે તાત્કાલિક અસરથી લાલપુર પોલીસ સ્ટેશને પહોંચી અને લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં ભાવેશના કાકા જયંતીભાઈ ની વાડી આવેલી છે, તે વાડીમાં તપાસ કરવાના અર્થે પહોંચ્યા હતા. જ્યાં વાડીની ઓરડીમાંથી અર્ચનાનો મૃતદેહ મળી આવતા પરિવારજનો ભાંગી પડ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી બંને કારખાના સાથે કામ કરતા હોવાથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા, જેના અનુસંધાને અર્ચનાબેન પરમદીને રાત્રે પોતાના ઘેરથી એકાએક ગુમ થઈ હતી અને ત્યારબાદ તેનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.ગઈકાલે તેનો જન્મદિવસ હતો અને મૃત્યુદીન સાબિત થયો છે. લાલપુર પોલીસે મનસુખભાઈ કણજારીયા ની ફરિયાદના આધારે ભાવેશ સોનગરા સામે હત્યા ની કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

આરોપીની ક્રાઈમ કુંડળી- ત્રિપાત્ર અંગે હત્યા સહિત ત્રણ ગુના નોંધાયા

હત્યારા આરોપી ભાવેશ રણછોડભાઈ સોનગરા કે જેની સામે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન, કલ્યાણપુર પોલીસ સ્ટેશન, અને રાજકોટ પોલીસ મથકમાં જુદા જુદા ત્રણ ગુનાઓ નોંધવામાં આવ્યા છે, અને ત્રણેય ગુનામાં સ્ત્રીપાત્ર કારણભૂત હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં તેણે એક યુવતીની હત્યા કરી નાખી હતી, અને તેમાં જેલવાસ ભોગવતો હતો. જ્યાંથી જામીન પર છૂટીને દરેડ પંથકમાં આવ્યો હતો, અને ફરીથી અન્ય એક યુવતીને પ્રેમઝાળમાં ફસાવી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત કલ્યાણપુર પંથકમાં એક યુવતી કે જેના ઈંસ્ટાગ્રામ માં વીડિયો વાયરલ કરવા અંગે તેની સામે ગુનો નોંધાયો હતો, અને તેમાં પણ ધરપકડ થઈ હતી. જયારે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પણ એક યુવતી સાથે મિત્રતા કેળવ્યા પછી તેનું ઘર સળગાવી નાખ્યાનો મામલો સામે આવ્યો હતો, અને જે અંગે પણ તેની સામે ગુનો નોંધાયો છે.ઉપરોક્ત આરોપીને શોધવા માટે એલસીબી એસઓજી અને લાલપુરની પોલીસ ટીમ કામે લાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.