Abtak Media Google News

વર્ષ-2022-23માં બાગાયત વિભાગની યોજનામાં 3751 ખેડૂતોને રૂા.265.46 લાખની સહાય ચૂકવાઇ

“ખેતી મારો વારસાગત વ્યવસાય છે. અત્યાર સુધી મેં કપાસ, તલ વગેરે પાકોની ચીલાચાલુ ઢબે ખેતી કરી છે. પરંતુ આ પાકોમાં ભાવ બહુ ઓછો મળતા હું થોડો ચિંતામાં રહેતો હતો. મને ખેતીમાં નવતર પ્રયોગો કરવાનો શોખ એટલે મેં 1 હેક્ટર જમીનમાં અંજીરની ખેતી શરૂ કરી છે” આ શબ્દો છે સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ મકવાણાના. પ્રવીણભાઈ આ વિશે વધુ વાત કરતા જણાવે છે કે સરકારના બાગાયત વિભાગની  યોજના અંતર્ગત સરકાર તરફથી પ્રથમ વર્ષે રૂ.16, 578ની સહાય મળી હતી. આ ઉપરાંત, અંજીરની ખેતી મૂલ્યવર્ધક બને તે માટે મને સહકાર અને ટેકનીકલ માર્ગદર્શન પણ મળ્યું છે. પ્રવીણભાઈ મકવાણા તેમની 150  વીઘા જમીનમાં છેલ્લા ઘણા વર્ષથી કપાસ, તલ, તુવેર, શાકભાજી, ટેટી વગેરે જેવા પાકોની ખેતી કરે છે. આ ઉપરાંત ખેતી ક્ષેત્રે નવતર પ્રયોગના આગ્રહી પ્રવીણભાઈએ  આ વર્ષથી  અંજીરની ખેતી શરૂ કરી છે.

Advertisement

અંજીરની ખેતી વિશે વાત કરતા પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, મને ખેતીક્ષેત્રે કઈક નવું કરવાનો વિચાર અને ઉત્સાહ પહેલેથી જ હતો. આથી મેં સોશિયલ મીડિયાના માધ્યમથી અંજીરની ખેતી વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી. માહિતી મેળવ્યા બાદ મેં રોપા દીઠ રૂ.85 થી 100 ના ભાવ  વાળા ડાયના વેરાયટી – ટીશ્યુ કલ્ચરના  1000 અંજીરના  રોપા હૈદરાબાદથી  મંગાવ્યા હતા.

1 હેક્ટર જમીનમાં 10સ10 ના ગાળે આ 1000 રોપા વાવ્યા છે. રોપા વાવ્યા બાદ તેના ઉછેર માટે 10 થી 20 દિવસના અંતરે  ડ્રિપ ઇરીગેશન, છાણીયું ખાતર, જીવામૃત, વેસ્ટી કમ્પોઝ વગેરેનો છંટકાવ કર્યો હતો. અંદાજીત 10 મહિના સમયગાળા બાદ હવે અંજીરના ફળો આવવા લાગ્યા છે. થોડા સમય બાદ અંજીરના ફળોની અંદાજીત 8 કલાક સુધી સૂકવણી કરીશ અને ત્યાર બાદ મૂલ્યવર્ધન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મારા માટે અંજીરની ખેતી પ્રથમ વાર છે. અગાઉના અલગ-અલગ પાકોની ખેતી માટેના ખર્ચની સામે મને પૂરતું વળતર મળ્યું ન હતું. પરંતુ મને આશા છે કે,  આ અંજીરના પાકના કારણે મને વધુ વળતર મળશે.

અંજીરની ખેતી અને વેચાણ અંગે માહિતી આપતા પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, અંજીરની ખેતી ઓછી માવજતથી થતો રોકડીયો પાક છે. વળી, અંજીરના વેચાણમાં પણ તકલીફ પડતી નથી કારણ કે, વેપારીઓ- લોકો  સીધા ખેતર પરથી જ  લઈ જાય છે તેથી બહાર વેચવા પણ જવું પડતું નથી. અને અંજીરનો 1 કિલોનો અંદાજીત ભાવ રૂ.900 થી રૂ.1200 જેટલો આસાનીથી મળી રહે છે.

ગ્રામ વિકાસ એજન્સીની મદદથી મે  “ગોબર ગેસ પ્લાન્ટ” માટે અરજી કરી હતી. અરજી મંજૂર થતાં હાલ 3000 લીટરની  ગોબર ગેસ ટાંકી મારા ખેતર માં બનાવી છે અને આ માટે મને સરકારશ્રી તરફથી મળવાપાત્ર રૂ.24,000ની સહાય પૈકી રૂ.6,000 મળી ગયા છે. ગોબર ગેસ પ્લાન્ટ થકી મને પાક વાવણી સમયે ખુબ ફાયદો થઈ રહ્યો છે.

બાગાયત અધિકારી મયુરગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, પ્રવીણભાઈ મકવાણા સંપૂર્ણ પ્રાકૃતિક રીતે અંજીરની ખેતી કરતા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રથમ ખેડૂત છે. તેઓને સરકારશ્રી તરફથી મળતી સહાય ત્રણ હપ્તે ચુકવવામાં આવશે. પ્રથમ હપ્તામાં 60% લેખે રૂ.16578, બીજા હપ્તામાં 20% લેખે રૂ.5525 અને ત્રીજા હપ્તામાં 20% લેખે રૂ.5525 એમ કુલ મળીને પ્રવીણભાઈને બાગાયત વિભાગ દ્વારા સરકારની યોજના અંતર્ગત રૂ.27628 ની સહાય ચુકવવામાં આવશે. ઉપરાંત બાગાયત ટીમ દ્વારા સમયાંતરે ખેતરની મુલાકાત લેવામાં આવે છે અને તેમને પાકના સંરક્ષણ માટે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે. નોંધનીય છે કે, બાગાયત વિભાગની બાગાયતની ખેતી માટેની યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2022-23 દરમિયાન 3751 ખેડૂતોને રૂ. 265.46 લાખની સહાય ચૂકવાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.