Abtak Media Google News

જામરાજવી દ્વારા સ્થપાયેલી ખાંભીનું પૂજન; પૂર્વ રાજવીઓની પ્રતિમાને ફૂલહાર કરાયા

જામરાવળે સ્થાપેલા જામનગર શહેરનો ગઈકાલે 482મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. જામનગર મનપા પદાધિકારીઓ અને રાજપૂત સમાજ દ્વારા શહેરની સ્થાપના સમયે જામરાજવી દ્વારા સ્થાપવામા આવેલી ખાંભીનું પૂજન કરી શહેરીજનોને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છથી પોતાના લશ્કર સાથે આવેલા જામરાવળે જામનગરના દરબારગઢ નજીક શહેરની સ્થાપનાનો પાયો નાખ્યો હતો.

સ્થાપના સમયે રોપવામા આવેલી ખાંભી આજે પણ દરબારગઢ નજીક દિલાવર સાયકલ સ્ટોર્સમાં જોવા મળે છે. જ્યાં મનપાના પદાધિકારીઓ અને રાજપૂત સમાજના લોકો દ્વારા ખાંભીનું પૂજન કરવામા આવ્યું હતું. આ ઉપરાંત લાખોટા તળાવ પર આવેલી જામ રણજીતસિંહ, જામ દિગ્વિજયસિંહજી અને જામ રાવળજીની પ્રતિમાને ફૂલહાર કરાયા હતા.

શહેરમાં આજે પણ લાખોટા તળાવ, રણજીતસાગર ડેમ, ભૂજીયો કોઠો, ખંભાળિયા ગેટ, સર્કિટ હાઉસ જેવી ઈમારતો અને રાજેન્દ્ર રોડ, રણજીત રોડ જેવા રસ્તાઓ છે કે જેનું નિર્માણ જામરાજવીઓના સમયમાં થયું હતું. તેના વર્ષો બાદ પણ શહેરીજનો આજે લાભ લઈ રહ્યા છે અને રાજવીઓને યાદ કરી રહ્યા છે. ક્રિકેટ ક્ષેત્રે જામનગરના ક્રિકેટરનું મહત્વનું યોગદાન ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટ માટે જે રણજી ટ્રોફી રમાય છે તે જામનગરના જામ રણજીત સિંહજીના નામ પરથી જ રમાય છે. જામનગરના પૂર્વ રાજવી એવા જામ રણજીતસિંહની વિશ્વભરમાં એક સારા ક્રિકેટર તરીકેની ઓળખ હતી. આ ઉપરાંત વિનુ માંકડ, સલીમ દુરાની, રવીન્દ્ર જાડેજાએ પણ ક્રિકેટ ક્ષેત્રે નામના મેળવી શહેરને ગૌરવ અપાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.