Abtak Media Google News

13 કરોડ લોકોને આધાર-પાન લિંક કરવાના બાકી છે, 13 હજાર કરોડ રૂિ5યા સરકાર જનતાના ખીસ્સામાંથી લઇ લેશે: હેમાંગ રાવલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાનો વિષય ખૂબ જ પેચીદો છે, ગંભીર છે. આ સિસ્ટમ ફ્રોડ લોકોને પકડવા માટે છે. પરંતુ તેની માટે થઈને સામાન્ય માણસો પણ હેરાન થઈ રહ્યા છે. જે પ્રમાણે નોટબંધીમાં કહેવામાં આવ્યું હતું કે કાળા નાણાં બહાર આવશે પરંતુ પરિણામમાં માત્ર જનતાને હેરાનગતિ જ મળી. વાહન ખરીદતી વખતે, બેંકમાં ખાતું ખોલાવતી, વિધવા પેન્શન માટે, ગેસની બાટલો લેતી વખતે બધે જ પાન કાર્ડ – આધાર કાર્ડ આપવું પડે છે.

શું સરકાર જાતે આધાર – પાન લિંક કરવાનું કામ નથી કરી શકતી ? આશરે 13 કરોડ લોકોને આધાર – પાન લિંક કરવાના બાકી છે. જો ગણતરી કરીએ તો 13 હજાર કરોડ રૂપિયા સરકાર જનતા જોડેથી લઈ લેશે. અને પાછું આધાર – પાન લિંક કરવું ધારીએ એટલું સહેલું પણ નથી. સૌથી પહેલા તો ગામડામાં રહેનાર ઘણાં એવા લોકો છે. જેમને મોબાઈલ નંબર આધાર કાર્ડ જોડે લિંક નથી. જેમની પાસે મોબાઈલ છે. એમના નંબર બદલાઈ ગયા છે કે બીજી તકલીફ છે. જો મોબાઈલમાં એસ.એમ.એસ. નહિ આવે તો પણ લિંક નહિ થાય.

જો આધાર કાર્ડમાં નામ તમારું ખોટું છે તો પાછું તમારે આધાર ઓફિસે જઈને રીન્યુ કરવા જવાનું. તેમાં ઘણાં દિવસો પસાર થાય તેવી સ્થિતિ છે. જો પાન કાર્ડમાં નામ, જન્મ તારીખ કે કઈ ખોટું છે તો તમારે એ સુધારાવા જવું પડશે. તેમાં પાછા 1000/- ભરાવશે. તે સિવાય સુધારો નહિ થાય. લિંક કરાવતી વખતે અસેસમેન્ટ યર સિલેક્ટ કરવાનું હોય છે જો ભૂલથી પણ તેમાં 2022-23 નાખ્યું તો તમારા 1000/- ગયા… એટલે 2023-24 પસંદ કરવાનું રહેશે.પેમેન્ટ કરવામાં ભણેલા ગણેલા લોકો પણ મૂંઝવણમાં મુકાઇ જાય છે. તેની અંદર નેટ બેન્કિંગમાં અમુક સિલેક્ટેડ બેંક જ આપેલી છે. બાકી તમારે ડેબિટ કાર્ડ અને યુ.પી.આઇ. મારફતે પે કરવું પડે. અને જો તેના મારફતે કરો તો એનો પણ પાછો વધારાનો સર્વિસ ચાર્જ તમારે આપવાનો હોય છે. 13 કરોડ વ્યક્તિઓ પાસેથી 1,000/- રૂપિયા 31 માર્ચ પહેલા અને પછી 10,000/- રૂપિયાની વસુલાત કરવાની જાહેરાત પછી લાગે છે કે, સરકાર માટે “આધાર – પાન લિંક કરાવવાના ચસકા એ ધન કમાવાના નુસ્ખા” બની ગયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.