Abtak Media Google News

રાજય સરકારના ખેતી, વન અને સહકાર વિભાગની અધિસુચનાઓથી કચ્છના નાના રણ અને તેને લાગુ આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભયારણ્ય શિકાર પ્રતિબંધિત આશ્રય સ્થાન તરીકે જાહેર કરેલ છે. આ અભયારણ્યમાં ઘુડખર, ચિંકારા, કાળિયાર, નીલગાય, ઝરખ, નાર, ડેઝર્ટ ફોક્ષ, ઈન્ડીયન ફોક્ષ, લોકડી તેમજ સાંઢા વગેરે જેવા તૃણભક્ષી તથા નિશાચર વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. ચોમાસાની સીઝન દરમ્યાન આવા પ્રાણીઓની જીવનશૈલી તથા તેમના આવાસમાં ખલેલ ઉભી ન થાય તે માટે નાયબ સંરક્ષક અને સેન્ચ્યુરી સુપ્રિન્ટેન્ડન્ટ ઘુડખર અભયારણ્ય ધ્રાંગધ્રાએ એક જાહેરનામા દ્વારા આ ઘુડખર અભયારણ્યમાં તા.૧૫/૧૦/૨૦૧૯ સુધી વાહનો સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરાનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે ઘુડખર અભયારણ્યમાં વગર પરવાનગીએ વાહન પ્રવેશ કરવો તે ગુનાહિતકૃત્ય છે, જે વન્યપ્રાણી સંરક્ષણ ધારો-૧૯૭૨ની કલમ-૨૭(૧) હેઠળ ત્રણ વર્ષ સુધી કેદ અથવા અને રૂપિયા ૨૫,૦૦૦/- સુધીના દંડને પાત્ર ગુનો બને છે. જેથી કોઈએ વાહનો લઈ ઘુડખર અભયારણ્યમાં પ્રવેશ કરવો નહીં. જો અભયારણ્ય વિસ્તારમાં વાહનો દ્વારા ગેરકાયદેસર પ્રવેશ જોવા મળશે તો તેવા ઈસમો સામે વન્યપ્રાણી સંરક્ષણ ધારા-૧૯૭૨ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.