Abtak Media Google News

અષાઢ સુદ પુનમથી કારતક સુદ પુનમ પ્રભુ મહાવીરે પોતાની પ્રથમ ધર્મ દેશના શ્રી આચારાંગ સૂત્ર અધ્યયન 3 પ્રથમ ઉદ્દેશકમાં ફરમાવ્યું કે ચોમાસાના દિવસોમાં વરસાદને કારણે રસ્તાઓ ઉપર વનસ્પતિ – અંકુરાઓ સહિત અનેક જીવો વગેરે ઊગી નીકળે છે.ઘાસ આદિ લીલોતરીને કારણે રસ્તા ચાલવા યોગ્ય રહેતાં નથી જૈન દર્શન અનુસાર વનસ્પતિ કાય પણ જીવ છે,તેના ઉપર ચાલવાથી તે જીવોની વિરાધના – હિંસા થઇ જાય છે તેથી શ્રમણ અને શ્રમણીઓએ એક ગામથી બીજે ગામ વિહાર ન કરતાં ચાતુર્માસમાં એક સ્થાનકે સ્થિરતા કરવી.પ્રભુએ શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રના 36 માં અધ્યયનમાં પૃથ્વીકાયથી લઇને હાલતાં- ચાલતાં જીવો ત્રસ કાય સુધીનું વિસ્તૃત વર્ણન સમજાવી છકાયના  જીવોની દયા પાળવા માટે દિશા નિર્દેશ કરેલ છે.

જૈન દર્શન અહિંસાની ઈમારત પર ઊભેલો છે. શ્રી ભગવતી સૂત્ર શતક 9 ઉદ્દેશક 34 માં ઉલ્લેખ છે કે મુનિ અનંત જીવોના રક્ષક છે.પૂ.સાધુ – સાધ્વીજીઓના ઉપદેશથી છકાયના જીવોને અભયદાન મળે છે. છકાય જીવોની રક્ષા  કાજે ” અહિંસા પરમો ધર્મ ” અનુસાર અષાઢ સુદ પુનમથી લઇ કારતક સુદ પુનમ સુધી એક જ સ્થાનકે બીરાજમાન થઇ સ્વ – પરનું કલ્યાણ કરશે.અધિક માસના કારણે આ વર્ષે પાંચ મહિના પૂ.સંત – સતિજીઓનો લાભ મળશે.સ્થાનકવાસી સમાજના ચાતુર્માસનો શુભાંરભ 2/7/2023 થી થાય છે.

ચોમાસામાં ચતુર્વિધ સંઘ જ્ઞાન, દર્શન,ચારિત્ર તથા તપની વિશેષ પ્રમાણમાં ઉપાસના અને આરાધના કરે છે.શ્રાવક – શ્રાવિકાઓ દાન,શીલ,તપ અને ભાવમાં ઝૂલતાં રહે છે.જેવી રીતે ખેડૂત ચાર મહિના ખેતી કરી મબલખ પાક મેળવી બારે માસ સુખેથી જીવન પસાર કરે છે,તેવી જ રીતે ચોમાસાના દિવસો આત્માની ખેતી કરવાના શ્રેષ્ઠ દિવસો રહેલા છે.

જૈન આગમોમાં  તીથેઁકર પરમાત્માએ સાધુ માટે નવ કલ્પી તથા સાધ્વીજીઓ માટે પાંચ કલ્પનો ઉલ્લેખ કરેલ છે.વર્ષાકાળ સિવાય સાધુ મુનિરાજો એક જ સ્થાનકે 29 દિવસ તથા સાધ્વીજીઓ 59 દિવસ રહી શકે છે,વર્ષનો બાકીનો સમય ચાતુર્માસ કલ્પ ગણાય છે.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે ચાતુર્માસમાં જ લોકોત્તર પર્વો પર્વાધિરાજ પર્યુષણ પર્વ,સવંત્સરી,આસો માસની આયંબિલ ઓળી,મહાવીર નિર્વાણ દિવસ,વીર લોકાંશા જયંતિ,જ્ઞાન પંચમી વગેરે પર્વો આવતા હોવાથી ભાવિકો ઉમંગ અને ઉલ્લાસભેર ધર્મ ધ્યાનમાં ઓતપ્રોત રહે છે.જેવી રીતે ચોમાસામાં ચોતરફ હરીયાળુ અને લીલુંછમ આહલાદ્ક વાતાવરણ જોવા મળે છે તેમ દરેક શ્રાવક – શ્રાવિકાઓ પણ ધર્મથકી હર્યા- ભર્યા રહે છે.ચાતુર્માસના દિવસો એટલે ભગવાનના ભાવોનું ચિંતન, મનન,મનોમંથન કરવાના તથા આત્માને સ્વાધ્યાયમાં જોડવાના દિવસો.શ્રી આચારાંગ સૂત્ર કહે છે કે ચાતુર્માસ કલ્પ પૂર્ણ થાય અને કારતક વદ એકમ આવે એટલે પૂ.સાધુ – સંતો ભારંડ પંખીની જેમ  ” સાધુ તો વિચરતા ભલા ” એ ઉકિત અનુસાર   એક સ્થાનકેથી અન્ય સ્થાનકે પગપાળા વિહાર ચાલુ કરી દે છે.

સાધુુ ચાતુર્માસમાં એક ક્ષેત્રમાં સ્થિર રહે કે શેેેષકાળમાં વિહાર કરે તેઓનું લક્ષ માત્ર રત્નત્રયી એટલે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધર્મની આરાધના અર્થાત્ સંયમ રક્ષા જ રહેલી છે.

ચાતુર્માસ પ્રારંભ :

અષાઢ સુદ પૂનમ , 2/7/2023,રવિવાર

પર્વાધિરાજ પર્યુષણ પર્વ પ્રારંભ :

શ્રાવણ વદ તેરસ, 12/9/2023,મંગળવાર

સવંત્સરી મહા પર્વ :

ભાદરવા સુદ પાંચમ

19/9/2023, મંગળવાર

પ્રભુ મહાવીર નિર્વાણ કલ્યાણક મહોત્સવ

આસો વદ અમાસ,

12/11/2023, રવિવાર

ચાતુર્માસ પૂર્ણાહૂતિ

કારતક સુદ પૂનમ 26/11/2023,રવિવાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.