Abtak Media Google News

બ્રિટિશ સરકારે  ઇમિગ્રેશન રેટ ઘટાડવા માટે કડક પગલાંની જાહેરાત કરી છે. જેમાં સ્કીલ્ડ વર્કર તેમના પરિવારજનોને ત્યાં આશ્રિત તરીકે લાવવા પર પ્રતિબંધ તેમજ ઉચ્ચ પગારની મર્યાદા નક્કી કરવા જેવો સમાવેશ થાય છે.

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે દેશમાં ઇમિગ્રેશનને રોકવા માટે તેમજ સ્કીલ્ડ વર્કરના ઉચ્ચ પગારની મર્યાદા નક્કી કરવા જેવા નવા પગલાંની જાહેરાત કરી હતી. તેમણે માઇક્રોબ્લોગિંગ સાઇટ એક્સ  પર લખ્યું હતું કે ઇમિગ્રેશન ખૂબ વધારે છે અને  સરકાર તેને ઘટાડવા માટે ક્રાંતિકારી પગલાં લઈ રહી છે. બ્રિટિશ સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયના પડઘા ઘણા દેશોમાં સંભળાઈ રહ્યા છે ખાસ કરીને આ નિર્ણયની ચર્ચા ભારતમાં વધુ છે.

સ્કીલ્ડ વર્કરને તેમના પરિવારજનોને ત્યાં આશ્રિત તરીકે લાવવા પર પ્રતિબંધ: વર્કરો માટે ઉચ્ચ પગારની મર્યાદા પણ નક્કી કરાય

બ્રિટિશ સરકારના આ નિર્ણયથી મોટી સંખ્યામાં ભારતીયોને પણ અસર થશે. સ્કીલ્ડ વર્કર વિઝા દ્વારા યુકે જવા માટે અરજી કરનારાઓ માટે વેતન મર્યાદા વર્તમાન 26,200 બ્રિટિશ પાઉન્ડથી વધારીને 38,700 બ્રિટિશ પાઉન્ડ કરવામાં આવશે. આ સિવાય ફેમિલી વિઝા કેટેગરીમાં અરજી કરનારાઓ માટે સમાન પગારની રકમ લાગુ પડશે, જે હાલમાં 18,600 બ્રિટિશ પાઉન્ડ છે. જો કે બ્રિટનના ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલીએ બ્રિટિશ સંસદના નીચલા ગૃહ ’હાઉસ ઓફ કોમન્સ’માં એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કાર્યવાહી હેઠળ સ્વાસ્થ્ય અને સંભાળ વિઝા પરના ડોક્ટરો હવે તેમના પરિવારના કોઈપણ સભ્યને તેમની સાથે બ્રિટેન લાવી શકશે નહીં.

બ્રિટનમાં ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલા એક અહેવાલ પ્રમાણે બ્રિટનમાં આવતા સ્કીલ્ડ વર્કરોમાં ભારતીયોનું વર્ચસ્વ છે. આ વર્કર ઉપરાંત મેડિકલ ક્ષેત્રે કામ કરતા ઘણા વિદ્યાર્થીઓને ગયા વર્ષે મોટા પાયે યુકેના વિઝા લીધા હતા. બ્રિટનમાં ગયા વર્ષે જૂદી-જૂદી કેટેગરીમાં વિઝા માટે અરજી કરનારાઓમાં ભારતીયો ટોચ પર હતા જેમાં સૌથી વધુ હિસ્સો સ્ટુડન્ટ વિઝા કેટેગરીમાં હતો. નવા નિયમો 2024ની શરૂઆતમાં અમલમાં આવશે. નવા ઈમિગ્રેશન નિયમો દર વર્ષે લાખો લોકો બ્રિટન જતા લોકોની સંખ્યામાં ઘટાડો કરશે. બ્રિટિશ ગૃહ મંત્રાલયે કહ્યું કે આ પગલાથી લગભગ 3 લાખ લોકોને અસર થશે. આ લોકો હવે નવા નિયમોના આધારે બ્રિટન આવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.