Abtak Media Google News

મકર સંક્રાંતિના પાવન અવસરે ભવ્ય શોભાયાત્રા નિકળશે, પરીવાર દીઠ એક મુઠી ખીચડી ઉઘરાવી મહાપ્રસાદ યોજાશે: પરસોતમ સોલંકી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે

મકરસંક્રાંતિના દિવસે કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા દેવનો પ્રાગટય દિવસ હોય કોળી સેના તથા માંધાતા ગ્રુપ-ગુજરાતના સંયુકત ઉપક્રમે માંધાતા પ્રાગટય મહોત્સવનું ભવ્ય આયોજન કોળી સેનાના સ્થાપક અને ગુજરાત રાજયમંત્રી પરસોતમભાઈ સોલંકી તથા કોળી સમાજના અગ્રણી અને કોળી વિકાસ નિગમના વાઈસ ચેરમેન તથા માંધાતા ગ્રુપ-ગુજરાતના સ્થાપક ભુપતભાઈ ડાભીના માર્ગદર્શન નીચે ભવ્ય રીતે ઉજવાશે. જેની વિગત આપવા હિરેનભાઈ ડાભી, મહેશભાઈ ગોહેલ, ભરત મકવાણા, સોમ સદાદીયા, મુકેશ મકવાણા, રમેશ મકવાણા, કિશોર મકવાણા, હરેશ સદાદીયા, પુના સાકરીયા, વિપુલ જાદવ, વિજય ગોહેલ, માવજી ઓળકીયા, રઘુ મેટારીયા, કિશોર જમોડ અને પરેશ મકવાણાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Advertisement

પ્રાગટય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિવિધ ધાર્મિક આયોજનો તેમજ શોભાયાત્રા અને એક સાથે પાત્રીસ હજાર જ્ઞાતીજનોનો ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મહામંડલેશ્ર્વર હરિચરણદાસજી મહારાજ તથા ભુવનેશ્ર્વરી પીઠના આચાર્ય ઘનશ્યામ મહારાજ તથા કાળાસર ઠાકરની જગ્યાના મહંત વાલજી ભગત તથા દેવકુબા આશ્રમ-અરડોઈના આચાર્ય સંત ઋષિબાપુ તથા અક્ષરમંદિર ગોંડલના કોઠારી સ્વામી, દિવ્ય પુરુષ સ્વામી ઉપસ્થિત રહી બધાને આશિર્વચન આપશે. મંત્રી પરસોતમભાઈ સોલંકી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે. તેમજ ગુજરાત રાજય કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ ડાભી, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, ધારાસભ્ય ગીતાબા જે.જાડેજા, માર્કેટયાર્ડના ચેરમેન જેન્તીભાઈ ઢોલ, ઉધોગપતિ રમેશભાઈ ધડુક તેમજ ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વોટર વર્કસ ચેરમેન ચંદુભાઈ ડાભી આગેવાનો તેમજ સંતો-મહંતો આ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમની પૂર્વ સંધ્યા એટલે આજરોજ દાંડીયા રાસનું આયોજન કરવામાં આવેલ છે. કાલે સવારે ૭:૦૦ કલાકે માંધાતા સર્કલનું ભુમી પૂજન તેમજ માંધાતા દેવની એક શોભાયાત્રા માંધાતા પાર્ટી પ્લોટ ભગવતપરા મેઈન રોડ, ગોંડલ ખાતેથી પ્રારંભ થઈને ધોધાવદર ચોક, પટેલવાડી, સેન્ટ્રલ ટોકીઝ, માંડવી ચોક, મોટી બજાર, પાંજરાપોળ, ફુલવાડી, માંધાતા પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણાહુતી થશે.

પૂર્ણાહુતી બાદ ૩૫ હજારથી વધુ જ્ઞાતિજનો અને આમંત્રિતો માટે સમુહ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. છેલ્લા ૧૧ વર્ષથી ગોંડલમાં કોળી સમાજના આગેવાન ભુપતભાઈ ડાભી અને પૂર્વ નગરપતિ ચંદુભાઈ ડાભી, મુકેશભાઈ મકવાણા, ગુજરાત રાજય સરકારના મંત્રી પરસોતમભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે ઉજવાતા આ પ્રાગટય મહોત્સવમાં આ વર્ષે યોજનારી આ ભવ્ય શોભાયાત્રામાં ૧૦૦૦ જેટલા બાઈક, ૩૦૦ જેટલી મોટરકાર અને માંધાતા દેવ, વેલનાથ, વિરાંગના જલકારી બાઈ, વિર તાનાજીના જીવન ચરિત્રને રજુ કરતા ૧૫ જેટલા ભવ્ય સુશોભીત રથ પણ આ શોભાયાત્રાની શોભા વધારશે.

આ શોભાયાત્રામાં રાજયભરમાંથી તેમજ ભારતભરમાંથી ૩૫ હજાર જેટલા કોળી સદસ્યો ઉપસ્થિત રહેનાર છે. આ અવસરે માંધાતા ગ્રુપ-ગુજરાતના સદસ્ય બનવા માટે નિ:શુલ્ક નંબર ૧૮૦૦ ૩૦૦૨ ૩૧૫૧ ઉપર ડાયલ કરવાથી આપ માંધાતા ગ્રુપના સદસ્ય બની શકશો તેમજ આ અવસરે મોબાઈલ એપ્લીકેશન તેમજ વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.