Abtak Media Google News

બસ ભાડામા 75 ટકા સુધીની સહાય, 3 દિવસ લાભ મળશે: હવે એસટીની સુપર બસ (નોન એસી) ઉપરાંત એસટીની મિનિ બસ (નોન એસી), એસી કોચ, સ્લીપર કોચનું ભાડું અથવા ખાનગી બસનું ભાડું બંનેમાંથી જે ઓછું હોય તેની 75 ટકા કે તેથી વધુ રકમની સહાય અપાશે

ગુજરાત સરકારે વડીલોની વંદના માટે અમલી શ્રવણતીર્થ દર્શન યોજનાના ધોરણોમાં ફેરફાર કર્યા છે. પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આ યોજનાનો વધુને વધુ વડીલો લાભ લઈ શકે તે આશયથી રાજ્ય સરકારે યોજનાના ધારા-ધોરણોમાં નોંધપાત્ર ફેરફારો કર્યાં છે, તેના પરિણામે વધુને વધુ વડીલો આ યોજનાનો લાભ લઈ શકશે. જેમાં આ યોજના હેઠળ હાલ એસટીની સુપર બસ (નોન એસી) ઉપરાંત એસટીની મિનિ બસ (નોન એસી)નું ભાડું અથવા ખાનગી બસનું ભાડું બંનેમાંથી જે ઓછું હોય તેની 50% રકમ સહાય આપવામાં આવતી હતી, તેના બદલે હવે એસટીની સુપર બસ (નોન એસી) ઉપરાંત એસટીની મિનિ બસ (નોન એસી), એસી કોચ, સ્લીપર કોચનું ભાડું અથવા ખાનગી બસનું ભાડું બંનેમાંથી જે ઓછું હોય તેની 75% કે તેથી વધુ રકમની સહાય અપાશે.

ગુજરાતના યાત્રાધામોના 2 રાત્રિ અને 3 દિવસ (60 કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ આપવામાં આવતો હતો, જેના બદલે હવે 3 રાત્રિ અને 3 દિવસ (72 કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. આ ઉપરાંત 75 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેમની સાથે એક અટેન્ડન્ટ (સહાયક)ને તે 60 વર્ષથી નીચેની ઉંમરના હોય તો પણ લઈ શકતા હતાં, તેમાં સુધારો કરીને હવે 70 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેઓની સાથે એક 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના અટેન્ડન્ટ (સહાયક)ને લઈ જઈ શકશે.

Somnath3

વડીલો અરજીમાં યાત્રા ક્યારે કરવા માગે છે તે સ્પષ્ટ દર્શાવવાનું હતું અને મંજૂરી મળ્યા બાદ અરજીમાં દર્શાવેલા સમયગાળા દરમ્યાન અથવા મંજૂરી મળ્યા બાદ 2 માસમાં યાત્રા કરવાની જોગવાઈ હતી અન્યથા મંજૂરી આપોઆપ રદ ગણાતી હતી અને તે પછી યાત્રા કરવાની હોય તો નવેસરથી મંજૂરી મેળવવાની રહેતી હતી તથા આવી મંજૂરી મેળવ્યા વિના કરેલી યાત્રા માટે સહાય મળવાપાત્ર થતી નહોતી. જેના સ્થાને હવે યાત્રાની તારીખના એક અઠવાડિયા પૂર્વે અરજી કરવાની રહેશે અને મંજૂરી મળ્યા બાદ અરજીમાં દર્શાવેલા સમયગાળા દરમિયાન અથવા મંજૂરી મળ્યા બાદ 2 માસમાં યાત્રા કરવાની રહેશે અન્યથા મંજૂરી આપોઆપ રદ થયેલી ગણાશે અને તે પછી યાત્રા કરવાની હોય તો નવેસરથી મંજૂરી મેળવવાની રહેશે. આ મંજૂરી મેળવ્યા વિના કરેલી યાત્રા માટે સહાય મળવાપાત્ર થશે નહીં.

આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 30 વરિષ્ઠ નાગરિકોના સમૂહની અરજી માન્ય ગણાતી હતી તેના સ્થાને હવે ઓછામાં ઓછા 27 વરિષ્ઠ નાગરિકોના સમૂહની અરજી માન્ય ગણી લાભ આપવામાં આવશે. તેમજ એસટીની સુપર બસ (નોન એસી)/એસટીની મિનિ બસ (નોન એસી) અથવા ખાનગી બસનું ભાડુ બંનેમાંથી જે ઓછું હોય તેની 50% રકમની સહાય મળતી હતી, જે હવે બસના ભાડાની સહાય ઉપરાંત અન્ય સગવડો જેવી કે, ભોજન તેમજ રોકાણની સુવિધા માટે યાત્રાના દિવસ મુજબ વ્યક્તિદીઠ અમુક ઉચ્ચક રકમની સહાય આપવાનો નિર્ણય કરાયો છે. જો વ્યક્તિ આધારકાર્ડની સ્વયં પ્રમાણિત નકલ રજુ કરેલી હોય તો તેને બે પાસપોર્ટ સાઈઝના ફોટા રજુ કરવાની જરૂરીયાત રહેશે નહીં તેમ અગાઉ ઠરાવવામાં આવ્યું હતું પરંતુ હવે લાભાર્થીએ આધારકાર્ડ ફરજિયાત રજૂ કરવાનું રહેશે.

16 વિભાગીય કચેરીઓમાં બોર્ડના એક-એક પ્રોજેક્ટ આસિસ્ટન્ટની નિમણૂંક કરાશે

ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના તમામ એસટી ડેપો ખાતેથી શ્રવણ તીર્થ દર્શન યોજના અંગેની એસટી નિગમ અથવા માન્ય ખાનગી ટ્રાવેલ્સની બસો મારફતે અરજી એસટી ડેપો ખાતેથી સ્વીકારવામાં આવતી હતી, જેમાં ડેપો મેનેજરે આ અરજીઓની ચકાસણી કરતા હતા અને પ્રવાસ પૂર્ણ થયા બાદ આ અંગેની દરખાસ્ત સંપૂર્ણ વિગત સાથે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને મોકલતા હતાં, જેના પેટે એસટીના ડેપો મેનેજરને એસટીની કે ખાનગી ટ્રાવેલ્સની બસ હોય તે પ્રત્યેક બસ દીઠ 500ની પ્રોત્સાહક રકમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચૂકવવામાં આવતી હતી. જેના બદલે હવે ગુજરાત વાહન વ્યવહાર નિગમની 16 વિભાગીય કચેરીઓમાં બોર્ડના એક-એક પ્રોજેક્ટ આસિસ્ટન્ટની નિમણૂંક કરવામાં આવશે, જે એસટી/ખાનગી બસ મારફતે પ્રવાસની અરજીઓ સ્વીકારશે તેને મંજૂરી માટે બોર્ડ ખાતે મોકલાવશે. પ્રત્યેક બસ દીઠ રૂપિયા 500ની પ્રોત્સાહક રકમ ગ્રુપ લીડર/કો-ઓર્ડીનેટર/તલાટી/સરપંચ/પ્રોજેક્ટ આસિસ્ટન્ટને ચૂકવવામાં આવશે, આમ રોજગારની નવી તકો પૂરી પાડવાનો પણ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.