Abtak Media Google News

માતા-પિતા અને વરિષ્ટ નાગરિક કલ્યાણ અધિનિયમ હેઠળ ગુજરાતમાં સૌપ્રથમ ચુકાદો

માતા-પિતા અને વરિષ્ઠ નાગરિક કલ્યાણ અધિનિયમના નવા કાયદા હેઠળ જામનગરમાં ગુજરાતભરનો પ્રથમ ચૂકાદો ફરમાવવામાં આવ્યો છે. જેમાં માતાએ પુત્રો અને પુત્રવધુઓને રહેવા આપેલા મકાનમાં લાંબા સમય બાદ માતાને જ પ્રવેશ ન આપી મકાનનો પુત્રોએ કબ્જો કર્યાની ફરિયાદ નોંધાતા જામનગર સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટે પુત્રો તથા પુત્રવધુઓને 31 સુધીમાં મકાન ખાલી કરી માતાને સુપ્રત કરવા હુકમ ફરમાવ્યો છે.

આ કેસની હકિકત મુજબ કાલાવડમાં રહેતા મંજુલાબેન મનસુખભાઇ આણદાણીએ પોતાની માલિકીનું મકાન જામનગર શહેરમાં ગોકુલનગર, નારાયણનગરમાં ખરીદયુ હતું. અને તેઓ કાલાવડ મુકામે નોકરી કરતા હોય, પોતાની રીટાયડમેન્ટની જીંદગી જીવવા માટે ત્યાં રહેવા માટે મકાન લીધેલ હતું. કાલાવડમાં પોતે નોકરી કરતા હતા અને તેણીના જામનગરમાં તેના બન્ને પુત્રો ભાડે મકાનમાં રહેતા હતાં તેથી તેણીએ પોતાના મકાનમાં બન્ને પુત્રોને રહવા માટે આપ્યુ હતું.

ત્યારબાદ 2019ની સાલમાં તેઓ રીટાયર્ડ થતાં જામનગર મુકામે પોતાના ઘરે રહેવા આવ્યા હતાં પરંતુ તેના બન્ને પુત્રો તથા તેમની પુત્રવધુઓએ ઘરમાં પ્રવેશ કરવા ન દેતા ઘરની બહાર કાઢી મુકયા હતાં ત્યારબાદ પોલીસ ફરિયાદ કરવા છતાં તેણીને ઘરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. મકાન ખાલી કરાવવા અંગે મંજુલાબેને માતા-પિતા અને વરિષ્ઠ નાગરીકના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ-2007 તળેના નવા કાયદા મુજબ જામનગરના સબ-ડિવિઝન મેજીસ્ટ્રેટ જામનગર શહેર આસ્થાબેન ડાંગરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

કેસ ચાલી જતાં મોટો પુત્ર કેતનભાઇ મનસુખભાઇ અણદાણી તથા પુત્રવધુ ડીમ્પલબેન કેતનભાઇ અણદાણી તથા પુત્ર કિશનભાઇ મનસુખભાઇ અણદાણી તથા પુત્રવધુ રવિનાબેન કિશનભાઇ અણદાણીના માતા મંજુલાબેન મનસુખભાઇ અણદાણીનો મકાનનો ખાલી બજનશ કબજો મેળવવા અંગેની અરજી ગ્રાહ્ય રાખી રહેણાંકનું મકાન પુત્રો તથા પુત્રોવધુઓએ તા.31-7 સુધીમાં ખાલી કરી આપવા હુકમ કર્યો છે.

તારીખ મુજબ મકાનનો ખાલી કબજો સુપ્રત ન કરે તો શહેર મામલતદાર મિલ્કતનો કબજો પોલીસ ઇન્સ્પેકટર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન, પોલીસ બંદોબસ્ત સાથે રાખી મકાનનો ખાલી બજનશ કબજો માતાને પુત્રો તથા પુત્રોવધુઓ પાસેથી અપાવી સુપ્રત કરી આપવાનો ગુજરાત ખાતે આ અધિનિયમ હેઠળ જામનગરમાં પ્રથમ ચૂકાદો ફરમાવવામાં આવ્યો છે. આ કેસમાં મંજુલાબેન મનસુખભાઇ અણદાણી તરફે ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનીશા નીતલ ધ્રુવ, ધર્મેશ કનખરા, વિપુલ સી. ગંઢા, કલ્પેશ એ. ફલીયા, સિધ્ધાર્થ એસ. સાપરીયા તથા આશિષ પી. ફટાણીયા તથા ધ્વનિશ એમ. જોષી રોકાયેલ હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.