Abtak Media Google News

જી. જી. હોસ્પિટલ ખાતે પ્રતિ દિવસ અંદાજિત 150 થી 200 જેટલી સગર્ભા સ્ત્રીઓની અને વાર્ષિક 50 હજારથી વધુ સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી કરવામાં આવે છે. આ સમયે કોરોના મહામારી દરમ્યાન પણ સગર્ભા સ્ત્રીઓ અને ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યની કાળજી અર્થે સગર્ભાઓને કોઈ તકલીફના રહે તેવા હેતુ સાથે જૂની કેન્ટીન ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયોલોજી દ્વારા અલાયદા સોનોગ્રાફી વિભાગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અલાયદા સોનોગ્રાફી વિભાગનો ડેપ્યુટી ડાયરેકટર મેડિકલ સર્વિસીસ ડો. તૃપ્તિ નાયક તથા સગર્ભા મહિલાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

જી.જી. હોસ્પિટલ ખાતે જામનગર શહેર ઉપરાંત જિલ્લાના સિક્કા, ફલ્લા, પડાણા, અલીયાબાડા, ધ્રોલ, વસઈ, લાલપુર, ધુતારપર, મોડપર વગેરે પી.એચ.સીથી પણ સગર્ભા સ્ત્રીઓને વાહનની સુવિધા દ્વારા સોનોગ્રાફી માટે અહીં લાવવામાં આવે છે. વધુમાં વધુ સગર્ભાઓને આ લાભ મળી શકે અને હાલ કોરોના મહામારીમાં હોસ્પિટલના સંભવત: સંક્રમિત વિસ્તારથી દૂર સુરક્ષિત જગ્યામાં તપાસ થઈ શકે તે માટે આ અલગ વ્યવસ્થા નિર્મિત કરવામાં આવી છે. મા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સચવાય શકે તે માટે સગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભમાંના શિશુના વિકાસ અને સ્વાસ્થ્યની કાળજી અર્થે સોનોગ્રાફી કરવી ખૂબ આવશ્યક છે.

આ વિભાગમાં વેઇટીંગ એરીયા, હવા-ઉજાસ સાથેનું વાતાવરણ, પીવાના ઠંડા પાણી તેમજ નાસ્તાની સુવિધાઓ નિર્મિત કરવામાં આવી છે જેથી સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી સલામતીપૂર્વક, સમયસર અને અનુકૂળ વાતાવરણમાં કરી શકાય. આ સાથે જ વિભાગમાં સગર્ભાઓ માટે હકારાત્મક વાતાવરણના નિર્માણ હેતુ વાંચન માટે ઉમદા પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે જે તેઓ ત્યાં વાંચી શકે છે અને સાથે જ પોતાના ઘરે પણ લઈ જઈ શકે છે.

આમ સ્વસ્થ ભારતના નિર્માણ હેતુ તંદુરસ્ત બાળક અને તંદુરસ્ત માતાની અભિલાષાને પરિપૂર્ણ કરવા આ નવી વ્યવસ્થાઓનો જામનગર જિલ્લાની સગર્ભાઓને આજથી લાભ મળશે.આ તકે, જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દિપક તિવારી, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઇ, એડીશનલ સુપ્રિટેન્ડંટ ધર્મેશ વસાવડા, રેડિયોલોજી વિભાગના વડા હિરલ વસાવડા તથા હોસ્પિટલના અન્ય કર્મચારીઓ અને સગર્ભાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

જી.જી.હોસ્પિટલના અલગ-અલગ વિભાગોનું નિરીક્ષણ કરતા નવનિયુક્ત કલેકટર અને કમિશનર

Screenshot 3 2

જિલ્લાના નવનિયુક્ત કલેકટર અને મનપા કમિશનરે જી જી હોસ્પિટલની મુલાકાત લઈ અલગ અલગ વિભાગનું નિરીક્ષણ કર્યું હતું. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જીજી હોસ્પિટલમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સામે લડવા માટે કેવી તૈયારીઓ છે તેની પણ સમીક્ષા કરી હતી.કલેકટર ડો. સૌરભ પારઘી અને મનપા કમિશરન વિજય ખરાડી ગઈકાલે જી જી હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં આવેલા અલગ અલગ વિભાગોની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું. સાથે હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે ઉપલબ્ધ સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી.

કલેકટર ડો. સૌરભ પારધી અને મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી સૌરાષ્ટ્રની મોટી ગણાતી જી.જી હોસ્પિટલના અલગ અલગ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા જી જી હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ હોવાનો કલેકટર દ્વારા દાવો કરાયો હતો. કલેકટર અને કમિશનરની મુલાકાત દરમિયાન ડેપ્યુટી કમિશનર એ.કે. વસતાણી, ચીફ ફાયર ઓફિસર, આરોગ્ય અધિકારી, જી જી હોસ્પિટલના ડીન ડો. નંદિની દેસાઈ, ડો. તિવારી, ડો. ભૂપેન્દ્ર ગોસ્વામી, ડો. વસાવડા સહિતની ટીમ હાજર રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.