Abtak Media Google News

ગિરનાર ભૂમિ પર રચાશે સમગ્ર જૈન સમાજનો એક અમીટ ઇતિહાસ

ક્ષત્રીય, પટેલ, બ્રાહ્મણ, લુહાણા, આહિર, સોની, વણિક સહિત દરેક સમાજના લોકો જૈન સાધ્વીના પારણા કરાવશે

ગરવી ગુજરાતના ગરવા ગિરનારની ભૂમિ પર સદીઓ પછી એક નવી દિશા અને નવી ચેતનાના સંચાર રૂપ વિરલ પ્રસંગ બની રહ્યો છે….. જેમાં ફક્ત 22 વર્ષની ઉંમરે ઇતિહાસ સર્જનાર મહા તપસ્વી વિશુદ્ધિજી મહાસતીજીએ 285 ઉપવાસ સાથે મુક્તાવલી મહાતપ કર્યા બાદ આ ઉગ્ર દીક્ષા તપ કરનાર જૈન મહા તપસ્વીજીને જૈન સમાજમાં 500 વર્ષ પછી સનાતન ધર્મના સંતો પારણા કરાવશે જે દેશનો વિરલ પ્રસંગ બની રહેશે.

વિજ્ઞાન, આયુર્વેદિક, દરેક ધર્મ અને શાસ્ત્રો, પુરાણો, સૌ કોઈ કહી રહ્યા છે કે, માનવ શરીર માટે ઉપવાસ જરૂરી છે. પરંતુ આજના ફાસ્ટ ફૂડના જમાનામાં યુવાનો ઉપવાસ તો દૂર રહ્યા પરંતુ એકટાણા કરવાથી પણ ભાગી રહ્યા છે. ત્યારે માત્ર 22 વર્ષની ઉંમરે 28 મહિનાનું ઉગ્ર દીક્ષા તપ કરવું એ એક વિરલ અને ઐતિહાસિક બાબત છે. જેની સાથે જૈનેતર સંપ્રદાયની પરંપરા પણ જોડાયેલી છે. ત્યારે અહીં આપણે વાત કરવી છે, જૂનાગઢની ગીરી તળેટી સ્થિત જૈન ધર્મસ્થાનમાં બિરાજતા વિશુદ્ધિજી મહાસતીએ કરેલ ઉગ્ર તપસ્યાની… કારણ કે, છેલ્લા 500 વર્ષ અને તે પછીની સદીમાં જૈનેતર ધર્મમાં કદાચ સૌથી ઉગ્ર તપસ્યા મહા તપસ્વી વિશુદ્ધિજી મહાસતીજી કરી રહ્યા છે, અને તેમના મંગળવારે ગીરી તળેટીમાં પારણા કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે જૈન સમાજમાં એક હર્ષોલ્લાસ છે, ઉમંગ છે અને આ પ્રસંગે જૈન સમાજના અનેક સાધુ અને મહાસતીજીની સાથે જૈન સમાજના અગ્રણીઓ તથા વિવિધ રાજકીય, સામાજિક અગ્રણીઓ અહીં ઉપસ્થિત રહેવાના છે.

સમગ્ર જૈન સમાજને નતમસ્તક કરી દેનારી તપસ્યા કરનાર રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના શિષ્યા અને ગોંડલ સંપ્રદાયના સૌથી નાના સાધ્વીરત્ના પરમ વિશુદ્ધિજી મહાસતિજીએ માત્ર 22 વર્ષની નાની વયમાં માત્ર 18 મહિનાની દીક્ષા પર્યાયમાં સમગ્ર સ્થાનકવાસી સમાજમાં 285 ઉપવાસ સાથેની મુક્તાવલી મહાતપની અતિ ઉગ્ર આરાધના નિર્વિઘ્ને પરિપૂર્ણ કરી છે. ત્યારે એમના પારણા અવસરે ભવ્ય તપોત્સવનું ભવ્ય આયોજન જૂનાગઢ ખાતે થઈ રહ્યું છે, આ તપોત્સવની અનુમોદના સ્વરૂપે આજથી ત્રણ દિવસ એટલે કે, તા. 28 ઓગસ્ટ સુધી ઉપવાસ સાથેની તપ મૌન સાધના શિબિરનું વિશિષ્ટ આયોજન ગુરૂદેવ નમ્રમુનિ મહારાજના સાંનિધ્યે ગિરનાર તળેટી સ્થિત પારસધામના પ્રાંગણે કરવામાં આવ્યું છે.

મહાતપસ્વી વિશિદ્ધીજી મહાસતીએ 18 મહિના પહેલા દીક્ષા અંગીકાર કર્યો હતો. અને દીક્ષાના દિવસે જ 14 વિહાર ઉપવાસ સાથે સળંગ 30 દિવસના ઉપવાસની માસ ક્ષમણ તપની આરાધના કરી હતી, અને 31 માં દિવસે પ્રથમવાર સયમી સ્વરૂપે ગૌચર ગ્રહણ કર્યા બાદ દીક્ષા જીવનના પાંચમા મહિને મહાસતીજીએ ફરીથી 31 ઉપવાસની ઉગ્ર આરાધના કરી પોતાના આત્માને તપથી પ્રભાવિત કર્યા હતા. બાદમાં વિશુદ્ધિ મહાસતીએ દીક્ષા જીવનના સાતમા મહિનાથી ફરીને 285 ઉપવાસ સાથેની મુક્તાવલી મહા તપનો પ્રારંભ કર્યો હતો. જે નિર્વિઘ્ને પરિપૂર્ણતા કરી રહી છે. ત્યારે તેમના પારણા અવશરે જૂનાગઢના ગિરનાર તળેટી સ્થિત પારસધામ ખાતે ત્રિ દિવસીય તપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ત્રિદિવસીય કાર્યક્રમમાં જુનાગઢના સનાતન ધર્મના ગિરનાર મંડળના વરિષ્ઠ સંત અને ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદજી મહારાજ, ઇન્દ્રભારતી બાપુ, શેરનાથ બાપુ, ધનસુખગીરી બાપુ સહિતના વરિષ્ઠ સંતો તપસ્વી મહાસતીજીને મધની ચમચી પીવડાવડીને પારણા કરાવશે. જે જૈન સમાજમાં 500 વર્ષ પછી જૈન સાધવીને સનાતન ધર્મના સંતો પારણા કરાવતા હોય તેવી વિરલ ઘટના બનશે

રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજના શિષ્યા વિશુદ્ધિજી મહાસતીજીના પારણા અવશરે જુનાગઢમાં ચતુર્માસ બિરાજમાન તપસ્વી કલ્પનાબાઈ મહાસતીજી, પુનિતાબાઈ મહાસતીજી, આદિઠાણા 7ની સાથે જૂનાગઢ સ્થિત દરેક ફિરકાઓના સંતો, સતીજીઓ તેમજ સંઘો અને દેશભરોના સંઘ પદાધિકારીઓ અને ભાવિકો પારસધામ ખાતે ઉપસ્થિત રહી મહાશક્તિજીની અનુમોદના કરશે. તેમ જૂનાગઢના પ્રો. વી.એસ. દામાણી અને ધારાશાસ્ત્રી કે.બી. સંઘવી એ જણાવ્યું છે. તે સાથે આ વિરલ પ્રસંગનો ધર્મપ્રેમી ભાવિકોને લાભ લેવા પારસધામ ગિરનાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

કઠણ હૃદયને પણ ક્ષણભર કંપાવી દે તેવી ઉગ્ર તપસ્યા એટલે મુક્તાવલી મહાતપ…

આ તપસ્યામાં એક ઉપવાસથી ચડતા ક્રમે 16 ઉપવાસ અને 16 ઉપવાસથી ઉતરતા ક્રમે એક ઉપવાસ કરતા 60 દિવસે પારણા સાથે આ ઉપવાસ 28 દિવસે પહોંચે છે. અને આ ઉપવાસ દરમિયાન માત્ર ગરમ પાણી પીવાનું હોય છે, એ પણ સૂર્યાસ્ત પછી પાણી પીવાતું નથી. આ ઉપવાસ તપસ્યાને મુકતાવલી મહાતપ કહેવામાં આવે છ

મુક્તાવલી તપ એક નવી દિશા અને નવી ચેતનાના સંચારરૂપ બનશે: નમ્રમુનિ મહારાજ

આ અંગે જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ચાતુર્માસ સગાળતા જૈન ધર્મના વરિષ્ઠ સંત નમ્રમુનિ મહારાજે જણાવ્યું હતું કે,  તપથી તન અને મનની સુધી બધા જ ધર્મ માટે ખૂબ સાત્વિક બાબત બને છે. ત્યારે  ફક્ત 22 વર્ષની ઉંમરના જૈન ધર્મ પરંપરાના ઉગ્ર તપસ્વી મહાસતીજી એ કરેલ મુક્તાવલી તપ તથા સનાતન ધર્મ પરંપરાના વરિષ્ઠ સંતો પારણા કરાવતા હોય તેવી ઘટના ગુજરાતના પુરાણ પવિત્ર ધર્મસ્થાન ગીરી તળેટીમાં સદીઓ પછી બની રહી છે. તે વાત આગામી દિવસોમાં એક નવી દિશા અને નવી ચેતનાના સંચાર રૂપ બનશે. એક ચિરંજીવી બની રહેશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.