Abtak Media Google News
  • પોલીસ પર ફાયરીંંગની ઘટના અને ખાનગી વાહનના કરેલા ઉપયોગ અંગે પોલીસે શા માટે પંચનામું ન કર્યુ?
  • ખાનગી વાહન ચોરાઉ, ભાડે લીધેલું કે પછી મુદામાલનું? અનેક શંકાસ્પદ સવાલો સાથે વિસ્તૃત દલીલના અંતે નવનો છુટકારો કરતો હાઇકોર્ટનો શક્રવતી ચુકાદો

મુંબઇમાં 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટ માટે ગોસાબારા ખાતે લેન્ડ થયેલા આરડીએકસ જેવા વિસ્ફોટક સામગ્રી બાય રોડ અને દરિયાઇ માર્ગે મુંબઇ પહોચતું કરવા સહિતના અંગે ગંભીર ગુનામાં સંડોવાયેલા ધોરાજીના મંમુમીયા પંજુમીયા સામે 1993માં પોલીસ પર ફાયરિંગ કરવાના ગુનામાં પુરાવાના અભાવે હાઇકોર્ટ દ્વારા નવ શખ્સોનો છુટકારો કરતો શક્રવતી ચુકાદો આપ્યો છે. પોલીસે ઉપયોગ કરેલી ખાનગી કારનો ડ્રાઇવર કોણ??, શા માટે ખાનગી વાહનનો ઉપયોગ કર્યો? અને ખાનગી કાર મુદામાલની હતી કે, ભાડે લીધી હતી સહિતના મુદે પોલીસ દ્વારા પંચનામું જ કરવામાં આવ્યું ન હતું એટલું જ નહીં અંધારા કંઇ દિશામાંથી ફાયરિંગ થયું તે સાબીત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ રહ્યાનું અદાલત દ્વારા ટાકી મમુમીયા પંજુમીયા સહિત નવ શખ્સોનો છુટકારો કર્યો છે.

ગોસાબારા ખાતે પોલીસ હત્યા કેસની તપાસ કરી ખાનગી વાહનમાં પરત આવી રહી હતી ત્યારે તા.6-2-1993ના રોજ પોલીસના ધ્યાને ત્રણ ટ્રક શંકાસ્પદ જણાતા પોલીસે ટ્રકને અટકાવતા પોલીસ પર બંદુકમાંથી આડેધડ ફાયરિંગ થયું હતુ. ફાયરિંગ કરવામાં મમુમીયા પંજુમીયા હોવાનું પોલીસ ઓળખી લીધો હતો. પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરી બે શખ્સોને ઘટના સ્થળેથી પકડી લીધા હતા. ત્યાર બાદ પોલીસ પર ખૂની હુમલાના ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસની હત્યાના પ્રયાસનો પોરબંદર સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા અદાલતે 1998માં નિર્દોષ છુટકારો થયો હતો. ત્યારે મમુમીયા પંજુમીયા વોન્ટેડ હોવાથી તેની સામેની કાર્યવાહી પેન્ડીગ રહી હતી. દરમિયાન દુબઇ સરકારે મમુમીયા પંજુમીયાનો ભારતને કબ્જો સોપતા તેની સામે આરડીએકસ અને પોલીસ પર ખૂની હુમલા કરવા સહિતના ગુનામાં ધરપકડ કરી ટ્રાયલ ચલાવવામાં આવી હતી. જેમાં પોલીસ પર થયેલા ખૂની હુમલામાં 2008માં તેને તકસીરવાન ઠેરવી સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. પોરબંદર સેશન્સ કોર્ટના ચુકાદા સામે મમુમીયા પંજુમીયાએ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરતા રાજયની વડી અદાલતે 2013માં સજા રદ કરી હતી. આ ચુકાદા સામે રાજય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

રાજય સરકાર દ્વારા દાખલ થયેલી અપીલની સુનાવણી શરૂ થતા પોલીસે તપાસમાં પુરાવા અંગે ઘણી ગુનાહીત બેદરકારી દાખવ્યાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા ઉપયોગ કરવામાં આવેલી કાર શા માટે ખાનગી હતી. આ કારનો ડ્રાઇવર કોણ? તેને સાક્ષી કેમ ન બનાવ્યો? કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું પરંતુ આ ખાનગી કારનું પોલીસે કેવા સંજોગોમાં પંચનામું ન કર્યુ?

રાત્રે અંધારામાં કંઇ દિશામાંથી ફાયરિંગ કરવામાં આવ્યું તે પંચનામાના અભાવે સ્પષ્ટ કરવું મુશ્કેલ હોવાથી હોવાથી આ સમગ્ર ઘટના શંકાસ્પદ જણાય રહી છે. જો ખરેખર પોલીસ પર ફાયરિંગ થયું હોય તો કેમ પુરાવામાં બેદરકારી દાખવી સહિતના અનેક સવાલો ઉપસ્થિત થતા મમુમીયા પંજુમીયાનો નિર્દોષ છુટકારો કરતો હુકમ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.