Abtak Media Google News

સાયબર ક્રાઈમનું પ્રમાણ વધતા અલગ પોલીસ મથક શરૂ કરવાનો નિર્ણય લેવાયો

સુરતમાં સાયબર ક્રાઇમના બનાવોનું પ્રમાણ છેલ્લા ઘણા સમયથી વધ્યું છે. આવા ગુનાઓની ઝીણવટપૂર્વક તપાસ થાય તે માટે સુરતમાં પણ આવતીકાલથી સાયબર ક્રાઇમ પોલીસ મથક કાર્યરત થશે. તે માટે બે પીએસઆઇ, બે એએસઆઇ, એક હેડ કોન્સ્ટેબલ અને એક લોકરક્ષકની નિમણૂંક કરાઇ છે. આ પોલીસ સ્ટેશનનો ચાર્જ એસીપી ક્રાઇમ સંભાળશે.

Advertisement

ઇન્ટરનેટના વધતા વ્યાપ તેમજ  સોશ્યલ મીડિયા ઉપર લોકો વધુ સમય ગાળતા થયાં તે સાથે છેલ્લા ઘણાં સમયથી સાયબર ક્રાઇમના બનાવોનું પ્રમાણ વધ્યું છે. ફીશીંગ મેઇલ દ્વારા છેતરપિંડી, વ્હોટ્સએપ- ફેસબુક- ઇન્સ્ટાગ્રામ દ્વારા થતી છેતરપિંડી, ઓનલાઇન બેન્કીંગ ફ્રોડના બનાવોનું પ્રમાણ સુરતમાં ખાસ્સું વધ્યું છે. અત્યાર સુધી સ્થાનિક પોલીસ કે ક્રાઇમ બ્રાંચ આવા બનાવોની તપાસ કરતી હતી પરંતુ ઝીણવટપૂર્વક તપાસ માટે હવે સુરતમાં અલગથી સાયબર ક્રાઇમ  પોલીસ સ્ટેશન શરૃ થઇ રહ્યું છે.

આવતીકાલથી જૂના પોલીસ હેડકવાર્ટરમાં કાર્યરત થનારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વાયરલેસ પી.એસ.આઇ. ડી.એમ. જલુ, ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ જે.બી. આહિર, અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ પૃથ્વીરાજસિંહ ટી. વાઘેલા, પાંડેસરા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. સંદિપસિંહ અશોકસિંહ ગોહિલ, અડાજણ પોલીસ મથકમાં ફરજ બજાવતા હે.કો. સુનિલભાઇ કિશોરભાઇ ચૌધરી અને રાંદેર પોલીસ મથકમાં ફરજ બજાવતા લોકરક્ષક પિયુષભાઇ અશોકભાઇની નિમણૂંક કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ચાર્જ એસીપી (ક્રાઇમ) આર.આર. સરવૈયા સંભાળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.