Abtak Media Google News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં અડાલજ ત્રિમંદિર ખાતે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા ઋણ સ્વીકાર અને અભિવાદન સમારોહ યોજાયો હતો. આ સમારોહને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વીજકર્મીઓ પ્રત્યે સહાનુભૂતિ અને હકારાત્મક અભિગમ દાખવીને વીજકર્મીઓના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે, પરંતુ એ રાજ્ય સરકારની તેના કર્મયોગી પ્રત્યેની જવાબદારી છે, ઋણ નહીં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ”નો મંત્ર આપ્યો છે, જેને અનુસરીને જ ગુજરાતે સૌને સાથે લઈને ચાલવાની આ કાર્યપદ્ધતિ અપનાવી છે.

વીજ વિતરણ ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મયોગીઓને જનજીવનમાં ઉજાસ પાથરનારા મશાલચી ગણાવતા મુખ્યમંત્રી

અડાલજ ત્રિમંદિર ખાતે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીનો ઋણ સ્વીકાર અને અભિવાદન સમારોહ યોજાયો

વીજ વિતરણ ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મયોગીઓને જનજીવનમાં ઉજાસ પાથરનારા મશાલચી ગણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના વીજકર્મીઓ ટાઢ-તાપ, વરસાદ કે વાવાઝોડા કોઈપણ કપરાં સમયે વીજ પુરવઠો જળવાઈ રહે તેનું સેવા દાયિત્વ સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવે છે અને દિવસ રાત ખડે પગે રહે છે. વીજકર્મીઓના જીવના જોખમે આપણા સૌના ઘર રોશન થાય છે ત્યારે તેમની સેફ્ટી અને કામના સમયે યોગ્ય પ્રિકોશન લેવા એ ખૂબ જ જરૂરી છે.મુખ્યમંત્રીએ ઉદાહરણ આપતા સમજાવ્યું હતું કે, ઘણીવાર કોઈ ફોલ્ટમાં વીજળી જાય ત્યારે આપણે સૌ નાગરિકો તેને પૂર્વવત કરાવવા ઉતાવળા થતા હોય છે. ત્યારે કોઈપણ એમ નથી વિચારતું કે જે વીજકર્મી તેનું કામ કરી રહ્યો છે, તેના જીવ સામે કેટલું જોખમ છે. એટલા માટે જ, જેમ નાગરિકોના ઘરનો વીજ પુરવઠો પૂર્વવત કરવા મથતા વીજકર્મીના કેન્દ્રસ્થાને સામાન્ય નાગરિક હોય છે, તેવી જ રીતે એક નાગરિકના કેન્દ્ર સ્થાને પણ હંમેશા એક વીજકર્મી અને તેનો પરિવાર જ હોવો જોઇએ. કારણ કે, તેમના કામમાં ભૂલ માટે કોઈ અવકાશ નથી.મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત અત્યારે રીન્યુએબલ ઊર્જા ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે, અને આગામી સમયમાં ગ્રીન હાઇડ્રોજન ઊર્જાની દિશામાં પણ ગુજરાતે પગ માંડી દીધા છે. ગ્લોબલ વોર્મિંગના યુગમાં પર્યાવરણની સુરક્ષા માટે કુદરતને નુકશાન પહોંચાડ્યા વિના કેવી રીતે ઊર્જા પ્રાપ્ત કરી શકાય તે દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી લીડરશીપથી ગુજરાત આજે દરેક ક્ષેત્રે અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે અને પરિણામે ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. દેશમાં સતત આગળ રહીને અન્ય રાજ્યોને પ્રેરણા આપવાની પરંપરાને ટીમ ગુજરાતે જાળવી રાખી છે. 24 કલાક વીજળી, પાકા રોડ રસ્તા, ઘરે ઘરે પીવા લાયક શુદ્ધ પાણી, સહિતની તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ ગુજરાતમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થાય છે.આ પ્રસંગે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સિનિયર કાર્યકારી પ્રમુખ  વાસણભાઇ આહિર, કાર્યકારી પ્રમુખ  મનુભાઈ પટેલ, ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના પ્રમુખ ભરતભાઈ પંડ્યા, સિનિયર સેક્રેટરી જનરલ  બળદેવભાઈ પટેલ, સેક્રેટરી જનરલ બિપીનભાઈ શાહ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી સૌ કર્મચારીઓ વતી રાજ્ય સરકાર, મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીનું અભિવાદન કર્યું હતું.આ ઉપરાંત મોટી સંખ્યામાં રાજ્યના વીજ કર્મચારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

બીપરજોય વાવાઝોડા માં વીજકર્મીઓએ કરેલી કામગીરી કાબીલેદાદ : ઉર્જામંત્રી

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વીજકર્મીઓના હિતમાં લીધેલા નિર્ણયો એ કોઈ ઋણ નહીં પરંતુ રાજ્ય સરકાર અને ઊર્જા વિભાગની ફરજ છે. ઊર્જા વિભાગ હેઠળની વિવિધ કંપનીઓના કર્મચારીઓ એ ઊર્જા વિભાગનો જ એક પરિવાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આ વર્ષે જી 20 માટે “વન અર્થ, વન ફેમિલી” નો મંત્ર આપ્યો હતો. જેને અનુસરીને જ આજે ઊર્જા વિભાગ ઉત્સાહભેર કાર્ય કરી રહ્યો છે.

મંત્રી દેસાઈએ વીજકર્મીઓની સરાહના કરતા જણાવ્યું હતું કે, જેમ રાજ્ય સરકાર હરહંમેશ વીજકર્મીઓની પડખે રહે છે તેવી જ રીતે વીજકર્મીઓ પણ દિવસ-રાત સતત નાગરિકોની સેવામાં ખડેપગે રહે છે. તાજેતરમાં જ આવેલા બિપરજોય વાવાઝોડામાં વીજકર્મીઓએ કરેલી કામગીરી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

સરકારે વીજકર્મીઓના હિતમાં નિર્ણયો લેતા ઉત્સાહ બેવડાયો  : ગોરધન ઝડફિયા

આ પ્રસંગે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના અધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસરથ આજે જે ઝડપથી આગળ વધી રહ્યો છે તેનું સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમની વિઝનરી લીડરશીપ ને જાય છે.  મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીનું અભિવાદન કરતા તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની આ વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને તેમની ટીમ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે.

મુખ્યમંત્રીના માર્ગદર્શનથી જ આજે ગુજરાતના વીજકર્મીઓના હિતમાં આટલા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. વીજકર્મીઓને પણ કામ કરવાનો ઉત્સાહ ત્યારે જ આવે જ્યારે પાછળથી ખભે હાથ મૂકવા વાળું કોઈ હોય. ગુજરાત સરકારે હંમેશથી વીજકર્મીઓના ખભે ટેકો આપીને તેમને સતત પ્રોત્સાહિત કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.