Abtak Media Google News

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના યુવા સર્જન ડો. કેતન કે. પરમારે આજે 75 વર્ષના વૃદ્ધાના થાપાનો ભાંગેલો ગોળો માત્ર 7 મિનિટમાં બદલાવી જનરલ એનેસ્થેસિયા આપ્યા વગર માત્ર લોકલ એનેસ્થેસિયા કરીને સફળતાપૂર્વક સર્જરી કરતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલને મોટી સિદ્ધિ હાંસલ થઈ છે. તે સાથે તબીબ એ પણ જણાવે છે કે, ગુજરાતમાં આ પ્રકારનું પ્રથમ ઓપરેશન થયું છે.

અમદાવાદ શારદાબેન હોસ્પિટલ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએશન એમ. એસ. કરેલ જૂનાગઢના રહેવાસી 30 વર્ષીય તબીબ ડો. કેતન પરમાર હાલમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં આસિસ્ટંટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેઓએ ગઈકાલે જનરલ એનેસ્થેસિયા આપ્યા વગર માત્ર 7  મિનિટમાં 75 વર્ષના વૃદ્ધાનો તૂટેલો ગોળો બદલાવી ઓપરેશન કર્યું હતું.

ગુજરાતમાં લોકલ એનેસ્થેસિયા પર  પ્રથમ ઓપરેશન થયાનું જણાવતા તબીબ

બી.પી. અને ડાયાબિટીસ સહિત મલ્ટી ડિસીઝ ધરાવતા દર્દીઓને જૂનાગઢ સિવિલમાં આવા ઓપરેશનથી મોટી રાહત થશે

આ સફળ ઓપરેશન અંગે ડો. કેતન પરમારે જણાવ્યું હતું કે, થાપાના ગોળાનું ઓપરેશન કરવામાં સામાન્ય રીતે અડધો કલાક જેટલો સમય થતો હોય છે. એટલે તે લોકલ એનેસ્થેસિયા પર એટલે કે માત્ર એટલા ભાગ પૂરતી ચામડી ખોટી કરીને આ પ્રકારનું ઓપરેશન ક્યારેય થતું નથી. પરંતુ તેઓએ અગાઉ જનરલ એનેસ્થેસિયા આપીને 500 જેટલા ઓપરેશનો કર્યા હોય અને ગોળો બદલવવાની સર્જરીમાં ઓછામાં ઓછો સમય લાગે તેવી કુશળતા હાંસલ કરતા અને 7 મિનિટમાં આ ઓપરેશન તેઓ કરી નાખતા હોવાથી આજે પ્રથમ વખત તેઓએ માત્ર લોકલ એનેસ્ટથેસિયા આપીને 75 વર્ષના વૃદ્ધાના ભાંગેલા થાપાના ગોળાને બદલાવી બાયો પોલાર હેમી અર્થો પ્લાસ્ટિની સફળ સર્જરી કરી હતી.

ડો. કેતન પરમારે વધુમાં જણાવ્યું હતું કે, જનરલ એનેસ્થેસિયા એટલે કે સ્પીનલ એનેસ્થેસિયા આપીને જ્યારે ઓપરેશન કરવામાં આવે છે ત્યારે દર્દીને છ કલાક પહેલા અને ઓપરેશન પછી છ કલાક સુધી સામાન્ય રીતે ભૂખ્યા પેટે રહેવું પડે છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હાયપરટેન્શન સહિતના મલ્ટી ડીસીઝ હોય તો કેટલીક કાળજી અને તકેદારી રાખવી પડે છે અને કેટલાક સંજોગોમાં જોખમ પણ રહેલું છે. કેટલાક પૂર્વ પરીક્ષણો પણ કરવા પડે છે. આ પ્રકારના ઓપરેશનમાં માત્ર ચોક્કસ ભાગની ચામડીને જ લોકલ એનીસ્થેસિયાથી ખોટી કરવાની હોવાથી કોઈ મોટું જોખમ રહેલું નથી અને કોમ્પ્લિકેશન ખૂબ ઘટાડી શકાય છે.

તેઓએ જણાવ્યું હતું કે, જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આ પ્રકારના ઓપરેશનથી મોટી રાહત થશે. હાલ જે 75 વર્ષના વૃદ્ધાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે તેમની તબિયત સંપૂર્ણ સ્વસ્થ છે.

ડો. કેતન પરમારની આ સિદ્ધિ બદલ ઓર્થોપેડિક વિભાગના વડા ડો. પાલા, ડો. હિમાંશુ લાડાણી, મેડિકલ કોલેજના ડીન, હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તેમજ તબીબોએ અભિનંદન આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.