Abtak Media Google News

કોરોના મહામારીના કારણે વૈશ્વિક અર્થતંત્ર ઉંધુ પડ્યું પણ ભારતીય અર્થતંત્ર સ્થિર રહેવામાં કામયાબ: રાજકોષીય ખાધ પણ અન્યની સરખામણીઓ નહીંવત

કોરોના મહામારી એ વૈશ્વિક અર્થતંત્રને મરણતોલ ફટકો પડયો હતો. ભારતમાં પણ વ્યાપાર ઉધોગને મહદ અંશે અસર થઈ હતી. જો કે, ભારતને થયેલી અસર અમેરિકા સહિતના દેશના અર્થતંત્રને પડેલા ફટકા કરતા નહિવત છે. આંકડા મુજબ એપ્રિલથી નવેમ્બર મહિના સુધીમાં રાજકોષીય ખાધ ૧૩૫ ટકા રહી છે. ગત વર્ષે રાજકોષીય ખાધ ૧૧૪ ટકા હતી એકંદરે મહામારી હોવા છતાં પણ રાજકોષીય ખાધને સંતુલિત રાખવામાં સરકારે અસરકારક ભૂમિકા ભજવી છે.

વર્તમાન સમયે વધેલી રાજકોષીય ખાધ પાછળ મહામારી જવાબદાર છે. મહામારી દરમિયાન પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં સરકારની મોટી રકમ વપરાઈ ગઈ હતી. સરકારે મોટી રાહતની જાહેરાતો પણ કરી હતી. છતાં પણ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રાજકોષીય ખાધમાં ગંભીર વધારો નથી. અધૂરામાં પૂરું આગામી વર્ષમાં ખાધને સરભર કરી લેવાશે તેવું નિષ્ણાતોનું માનવું છે.

ભારતીય અર્થતંત્ર અન્ય દેશોની ઇકોનોમી કરતાં જુદુ છે, તે મહામારીના કારણે ફલિત થઈ ચૂકયું છે. આગામી બજેટમાં ફિસ્કલ ડેફિસિટ ૧૦.૭૫ લાખ કરોડ રહેશે તેવી ધારણા છે. આવક અને જાવક વચ્ચે પડેલો ભેદ બજેટમાં સરભર થઇ શકે તેમ છે. એકંદરે સરકાર બજેટમાં રાજકોષીય ખાધને લઈને લાંબા ગાળાનું પ્લાનિંગ કરતી હોય છે. કોઇ એક સ્થળે ફાળવવામાં આવેલી રકમ બાદ તેનું તુરંત વળતર મળતું નથી. આવી સ્થિતિમાં લાંબા ગાળે વળતર હોય ટૂંકાગાળામાં બજેટમાં રાજકોષીય ખાધ વધે છે. ઉપર-ઉપરથી આ ખાધ વધુ લાગતી હોય છે પરંતુ તેના પોઝિટિવ પરિણામ લાંબા ગાળે જોવા મળે છે. અત્યારે પણ આવું જ થયું છે સરકારની આવક વધી છે અને આવક ઘટી છે. જોકે આ વર્ષે મોટાભાગની રકમ લોક કલ્યાણ માટે વપરાઇ છે આંકડા મુજબ સરકારની આવકમાં રૂ. ૬,૮૮,૪૩૦ કરવેરાના માધ્યમથી ઠલવાયા હતા ઉપરાંત રૂ. ૧.૨૪ લાખ કરોડ ની રેવન્યુ એક સિવાયની આવકમાંથી થઈ હતી જેની સામે ખર્ચ વધ્યો છે ખર્ચમાં મોટાભાગે  ઉદ્યોગોને અપાયેલી આ રાહતો અને લોકોના કલ્યાણ માટે લેવાયેલા પગલાં પાછળ વપરાયેલી રકમ જવાબદાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.