Abtak Media Google News

“તે સમયે રાજ્યની જેલોના વડા નિષ્ઠાવાન અને કડક ડીઆઈજી વાઘેલા હતા, જેમનું ચાલુ ટ્રેનમાં લુણીધાર અને કુંકાવાવ રેલવે સ્ટેશન વચ્ચે ખૂન થયેલુ

આમ જયદેવ કુંકાવાવના સુવિધાજનક વિશ્રામ ગૃહમાં આવી ગયો. કુંકાવાવ અમરેલી જિલ્લાનું છેવાડાનું સરહદ પરનું આઉટ પોસ્ટ હતુ. કુંકાવાવની સરહદો જેતપૂર, ગોંડલના વાસાવડ અને દેરડી કુંભાજી તથા બાબરાના મોટાદેવળીયા અને અમરેલીનાં ચિતલ આઉટ પોસ્ટ ને મળતી હતી તે સમયની સૌરાષ્ટ્રની મુખ્ય રેલવે લાઈન પૈકીની ભાવનગર અમદાવાદ તરફથી આવતી અને જૂનાગઢ વેરાવળ પોરબંદર રાજકોટ જતી મીટર ગેજ રેલવે લાઈન કુંકાવાવથી પસાર થતી હતી.

જયદેવને હવે કુંકાવાવમાં શાંતિથી આરામ કરવાનો અને વાંચન કરવાનું અને મોજમજા જ કરવાની હતી કેમકે વિશાળ વિશ્રામગૃહમાં કોઈ જ અગવડતા કે અસુવિધા ન હતી જયદેવને વિચાર આવ્યો કે કુંકાવાવ ગામ નથી તાલુકા મથક કે નથી પોલીસ સ્ટેશન છતા આવું વિશાળ વિશ્રામગૃહ કેમ બનાવ્યું હશે? પરંતુ પછી પોતાને જ યાદ આવ્યું કે જુના સમયમાં આ વિસ્તાર બહારવટીઓઓ, ચોર લૂંટારા અને ઠગોથી ત્રસ્હતો તેથી સરકારી બાબુઓની સુવિધા માટે આવું વિશ્રામ ગૃહ બનાવ્યું હશે.

આમ વિચાર કરતા કરતા જ જયદેવને તેના કોલેજ કાળનો એક કુંકાવાવનો પ્રસંગ જે તેણે તેના વતનમાં ગામ વરતેજમાં થતી ચર્ચાઓ અને તે સમયના છાપાઓમાં ખૂબજ ચર્ચા સ્પદ રીતે લાંબા સમય સુધી પ્રસિધ્ધ થયેલો તે યાદ આવી ગયો.

તે સમયે ભારતનાં વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ દેશમાં કટોકટી (ઈમરજન્સી) ઝીંકેલી તે સમયનો એ બનાવ હતો સિકકાને હંમેશા બે બાજુ હોય છે. તેમ કટોકટી લોકશાહીના મૂલ્યો હકકોને અપવિત્ર કરતી હતી પરંતુ ઈમરજન્સીને કારણે ધંધાદારી ગુનેગારો અને ડોન અને ગુંડાઓ મીંયાની મીંદડી જેવા થઈ ગયા હતા, કેમકે લગભગ કોઈ પણ કાયદો નવો આવે તેની અમલવારી તો પોલીસ ખાતાએજ કરવાનીહોય પછી પોલીસને તો મોસાળમાં જમવાનુ અને માં પીરસવા વાળી નીજેમ તેનોફાયદોજ લેવાનો હોયને? આમ જનતાને ગુનેગારોથી થોડી રાહત પણ થઈ હતી.

પરંતુ આઈમરજન્સીના મળેલ પરવાના તળેતંત્રએ વિરોધી રાજકારણીઓને તો જેલ ભેગા કરેલા સાથે સાથે તે સમયનાં ગુંડાઓ અને ગેંગલીડરોને પણ કોઈને ‘મીસા’માં તો કોઈને કોફેપોસામાં જેલમાં પૂરેલા અરે બાબરામાં તોએક પત્રકારને પણ લીમડાનું થડ પકડાવીને પોલીસે  માર મારેલો અને જેલ યોગ કરાવેલો પરંતુ કોના બાપની દેન કે કોઈ હરફ પણ ઉચ્ચારી શકે? તેથી દેશની જેમ ગુજરાતની જેલો પણ ખાસ કરીને રાષ્ટ્રવાદી પાર્ટીના નેતાઓ અને સમાજવાદી નેતાઓ પત્રકારોથી તો હાંફતી હતી પણ સાથે સાથે હાર્ડકોર ક્રિમીનલોથી પણ ભરાયેલી હતી.

આમ તો નિષ્ઠાવાન સિધ્ધાંતવાદી અને કડક સરકારી અધિકારીઓ  હોય એટલે જે તે ક્ષેત્રનાં બે નંબરીયા અને ગુનેગારો ત્રાહીમામ અને રાડ નાખી જતા હોય તો પછી ઈમરજન્સીમાં આવા અધિકારી હોય પછી શું બાકી રહે? આમ તો જેલની દુનિયા જ સાવ જુદી હોય છે એ તો જેણે જેલની જાત્રા કરી હોય તેને ખબર હોય પરંતુ આઝાદી પછી રાજકીય વગ અને ભ્રષ્ટાચારના ભોરીંગે જેલોને પણ ભરડો લઈ અભડાવી દીધેલી.

જેથી જેલોમાં માફીઆઓ, પૈસાદારો, સત્તાધારી પક્ષના ચમચાઓને શરાબ તો શું સુંદરીઓ પણ મળી જતી અને જેલોમાં બેઠા બેઠા જ પોતાના કાળા કારનામાઓનો કારોબાર ચલાવતા હતા. પરંતુ જેલનાં અધિકારીઓ જયારે નિષ્ઠાવાન, સિધ્ધાંતવાદી હોય અને વળી પાછી કટોકટીનો સમય હોય પછી આવા પેધી ગયેલા મુંઢીયા ગુમડા જેવા ગુનેગારો ને જેલમાં સાક્ષાત નર્ક નો જ અનુભવ થાયતે પણ સહજ બાબત હતી અને આવા સિધ્ધાંતવાદી જેલઅધિકારી પણ યમરાજા જ લાગે તેવી સ્થિતિ હતી.

તે સમયે ગુજરાત રાજયની જેલો ના વડા જિલ્લા પોલીસ વડાની રેન્કના મહેન્દ્રસિંહ વાઘેલા હતા. તે સમયે તેમની ગણના આવા નિષ્ઠાવાન સિધ્ધાંત વાદી અધિકારી તરીકે થતી હતી જેલોનાં વડા મહેન્દ્રસિંહ વાઘેલાએ આ કટોકટી દરમ્યાન રાજયની જેલોમાંથી તમામ પ્રકારની બદી દૂર કરી ગુનેગારોને ગેરકાયદેસર મળતી સુંવાળી સવલતો જડબેસલાક બંધ કરાવેલી તેથી જેલમાંના ગુનેગારો તો ત્રાહીમામ થઈ ગયેલા જ પરંતુ આ ગુનેગારોના મેળાપણા વાળા મધ્યસ્થી એવા નીચેની રેન્કના જેલનાં અધિકારીઓ પણ જેલવડા મહેન્દ્રસિંહ વાઘેલાથી નારાજ તો ઠીક પણ વિરોધી પણ થઈ ગયા હતા.

તેમ છતા વાઘેલાએ તો કાયદો અને અનુશાસનનો પૂરો ઉપયોગ કરી ગુનેગારો તથા આવા ગુનેગારો જેમને જેલનો ચાલુડો સ્ટાફ મદદ કરતો હતો તેમને બરાબરના રહકાવી નાખ્યા હતા. આવા રહકાયેલા ગુનેગારો પૈકી તે સમયના પોરબંદરના ડોન સરમણ મુંજા કેશોદ જૂનાગઢનો હાર્ડકોર ક્રીમીનલ જયંતી ખેરાજ વિગેરેની જેલવાસ દરમ્યાન ઈમરજન્સી બ્રાંડ સરભરાઓ કરેલ તથા તેજ પ્રમાણે જેલનાં અમુક તેના મળતીયા કર્મચારીઓ પણ ઝપટે ચડી ગયેલા તેમને યાતો ખાતાકીય તપાસનો સામનો કરવો પડેલ તો કેટલાક સસ્પેન્ડ પણ થયેલા.

સમય તો પાણીની જેમ વહેતો જ રહે છે. તેમ કટોકટીનો પણ અંત આવી ગયેલો મહેન્દ્રસિંહ વાઘેલા ને જેલોના ડીઆઈજીનું પ્રમોશન મળી ગયેલું ગુનેગારો જેલમાંથી છૂટીને પોત પોતાના વિસ્તારમાં ચારો ચરવા જતા રહેલા અને આવા ગુનેગારો સાથે વાઘેલાથી દાઝેલા એક ચાલુડા ઈન્સ્પેકટર રેંકના જેલ અધિકારીને જેલ સુપ્રીન્ટેન્ડેટનું પ્રમોશન મળી ગયેલું અને તેની નિમણુંક જૂનાગઢ જિલ્લા જેલમાં મુખ્ય જેલર તરીકે થયેલી.

વાઘેલાએ તો કટોકટી પુરી થયા પછી પણ પોતાની કડક અને કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખી જૂનાગઢ જિલ્લા જેલની સરપ્રાઈઝ વિજીટ કરી જેલમાં ગુનેગારોની ટણક ટોળકીઓ ને મળતી સુંવાળી સુવિધાઓની ખબર મળેલ તે અન્વયે તપાસ કરી જે જે ગેરરીતિઓ જણાયેલ તેનો જેલર વિરૂધ્ધ સરકારને રીપોર્ટ કરેલો વળી પાછો જેલોમાં મોજ મુજરા અને સુંવાળી સુવિધાઓનો દુષ્કાળ પડેલો.

તે સમયે હાલના સમયની માફક ગમે તે લાલ લેમ્પ વાળી ગાડી લઈને નિકળી પડે તેવી સ્થિતિ નહતી વાહનો પણ મર્યાદીત હતા. અને ઉપયોગ પણ મર્યાદામાં થતો અને નિષ્ઠાવાન અધિકારીઓ રેલવેમાં પણ મુસાફરી કરતા થોડા મહિનાઓ બાદ ફરીથી જૂનાગઢ જિલ્લા જેલની વિજીટ કરવા માટે ડીઆઈજી વાઘેલા અમદાવાદથી રેલવેમાં સૌરાષ્ટ્ર મેઈલ જે બોટાદ ધોળા ઢસા કુંકાવાવ જેતલસર જંકશન તરફ જતો તેમાં નિકળેલા તે સમયે આવી વીઆઈપી ટ્રેનોનો સમય રાત્રીનો જ રહેતો જે સાંજે ઉપડીને સવાર પડતા ગંતવ્ય સ્થાને પહોચાડી દેતી તે સમયે ફર્સ્ટ કલાસના ડબ્બામાં મુંબઈ બાજુના વેપારીઓ વાણીયા લુવાણા અને ધોરાજી ઉપલેટાના મેમણો ખાસ મુસાફરી કરતા જેઓ મુંબઈ તરફથી અઢળક કમાણી કરીને આવતા હતા વાઘેલા જે દિવસે સૌરાષ્ટ્ર મેઈલમાં નિકળેલા તે દિવસે ફર્સ્ટ કલાસન ડબ્બામાં તેમના સિવાય કોઈ જ મુસાફર ન હતા. તેથી વાઘેલા આખા ડબ્બાને જ લોક કરી કુપેમાં સુઈ ગયેલા.

શિયાળાની કડકડતી ઠંડીમાં મધ્યરાત્રીએ સૌરાષ્ટ્રમેલ ઢસા લાઠી વટીને લુણીવાવ સ્ટેશનેથી રવાના થયો દરમ્યાન ફર્સ્ટ કલાસના ડબ્બાને થપથપાવવાના અને દરવાજો ખોલવા આજીજી કરતા સાદ કુપેમાં સુતેલા વાઘેલાને સંભળાયેલા આથી તેમણે ઉઠીને કુપેમાંથી બહાર આવીને જોયું તો ટ્રેન તો સડસડાટ જતી હતી પરંતુ ડબ્બાના દરવાજે બહારના ભાગે એક ગામડીયા જેવો માણસ ટીંગાયેલો હતો તેણે આજીજી કરી કે મહેરબાની કરીને દરવાજો ખોલો હું ઠરી જાઉ છું.

વાઘેલાએ કહ્યું કે આ તો ફર્સ્ટ કલાસનો ડબ્બો છે તારી પાસે ટીકીટ છે? આથી ટીંગાયેલા ઈસમે કહ્યું કે ભૂલથી અને ઉતાવળમાં આ ડબ્બે ટીંગાઈ ગયો છું આ ઠંડી હવામાં તો આગલુ સ્ટેશન આવતા સુધીમાં હું ગુજરી જઈ માટે દયા કરીને મારો જીવ બચાવો તેમ આજીજી કરતા માનવતાવાદી વાઘેલાએ ફર્સ્ટ કલાસનાં ડબ્બાનો દરવાજો ખોલ્યો પેલો અંદર આવ્યો વાઘેલા પાંચ હાથ પુરી ઉંચાઈ વાળા અને ગૌરવર્ણવાળા વળી નાઈટ ડ્રેસમાં તો તેમને કોઈ ઓળખી શકે નહિ વેપારી જ લાગે. વાઘેલાએ પેલા ઈસમ ને કહ્યું અહી કોરીડોરમાં જ બેસ અને બીજુ સ્ટેશન આવે ત્યારે ડબ્બો બદલી નાખે જ તેમ કહી તેઓ જાજ‚માં ગયા.

વાઘેલા જેવા જાજ‚માંથી બહાર આવ્યા ત્યાં પેલા ઈસમે નેફામાંથી છરો કાઢી તૈયાર જ રાખેલો તેના વડે સિધ્ધો જ વાઘેલા ઉપર હુમલો કરી પેટમાં છરાનો એક ઘા મારી જે કાંઈ દલ્લો હોય તે આપી દેવા માટે કહ્યું વાઘેલા એક તો પડછંદ પર્સનાલીટી વાળા પોલીસ અધિકારી અને વળી પાછા દરબાર પેલાનો સામનો કર્યો આથી ઝપાઝપી થતા પેલો ઈસમ મોત ભાળી જતા મરણીયો થઈ ને છરી વડે વાઘેલાને અન્ય ગંભીર ઈજાઓ કરી દીધી તે સમયે જ કુંકાવાવ સ્ટેશન આવી ગયું અને ટ્રેન ઉભી રહેતા પેલો હુમલાખોર ડબ્બામાંથી ઉતરી અંધારાનો લાભ લઈ નાસી છૂટયો.

કુંકાવાવ સ્ટેશન ઉપર અફડાતફડી બોલી ગઈ રેલવે પોલીસ આર.પી.એફ. તેમજ રજા ઉપર રહેલા પણ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક અન્ય પોલીસ અધિકારી ત્યાં આવી ગયા કમનસીબે વધુ સારવાર મળે તે પહેલા ડી.આઈ.જી. વાઘેલાનું મૃત્યુ થયું પોલીસ બેડામાં તો સન્નાટો થઈ ગયો. પોલીસ અધિકારીઓના ધાડેધાડા કુંકાવાવમાં ઉતરી પડયા પરંતુ અરોપી અંગે કોઈ અતો પતો લાગતો નહતો. છાપાઓમાં પોલીસ દળની ખુબજ ટીકાઓ થતી હતી કે જો આવા ઉચ્ચ પોલીસ અધિકારીના ખૂનનો ગુન્હોવણ શોધાયેલો રહેતો જનતાએ શું સમજવાનું? તે સમયની સરકાર માટે પણ આ પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બની ગયો હતો.

તેથી આ ખૂન કેસની તપાસ સી.આઈ.ડી. ક્રાઈમને સોંપાણી તે સમયનાં બહુ કાબેલ અને નામાંકિત આઈપીએસ પોલીસ અધિકારીઓએ ઉંડાણમાં તપાસ કરી અને એવું કાવત્રુ શોધી કાઢ્યું કે વાઘેલા જેલ સુપ્રિન્ટેન્ડેટ ના હોદા ઉપર હતા ત્યારે તેમણે ખૂબજ કડકાઈ વાપરેલી અને જેલમાં રહેલા ગુનેગાર જયંતી ખેરાજ અને પોરબંદરના ડોન સરમણ મુંજા અને તે સમયનાં જેલર પણ હાલ જૂનાગઢ જીલ્લા જેલના સુપ્રીન્ટેન્ડેન્ટ રહેલ છે. તેમણે એક સંપ કરી કાવત્રુ કરી વાઘેલાનું ખૂન કરાવેલ છે!

સીઆઈડી ક્રાઈમે તપાસ દરમ્યાન જ આ ખૂનનાં ગુન્હામાં ઈ.પી.કો. કલમ ૩૦૨ની સાથે કાવત્રાની કલમ ૧૨૦ બનો ઉમેરો કરી આ તમામ આરોપીઓની ધરપકડ કરેલી અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પરંતુ રજા ઉપરનાં પોલીસ અધિકારીને જે તે વખતે કુંકાવાવ સ્ટેશન ઉપર હાજર હોવા છતા આરોપી પકડી નહિ શકવા અંગે કસુરવાન ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવેલા.

આખરે કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા તમામ આરોપીઓ નિદોર્ષ છૂટી ગયેલા જયદેવે જેતે સમયે આ ખૂન કેસ અંગે ખૂબ ઉંડાણપૂર્વક અને રસપૂર્વક ચર્ચાઓ સાંભળેલી તે સમયે જયદેવ કોલેજમાં અભ્યાસ કરતો અને છાપાઓમાં આવતા તે અંગેનાં સમાચારો વિગતે વાંચેલા કેમ કે ડીઆઈજી વાઘેલા જયદેવના ગામ વરતેજના જમાઈ હતા સામાન્ય રીતે તાલુકા મથકો અને ગામડાઓમાં જયારે ફોજદારી કેસ બને ત્યારે લોકોમાં તે કેસની ખૂબજ ચર્ચા થતી હોય છે જેમાં બનાવ અંગે ફરિયાદીનો આરોપીઓ સાથે વાંધો તપાસમાં પોલીસની ભૂમિકા, આરોપીઓની વગ, રાજકારણનો રસ અને તે સિવાય અનેક કપોળ કલ્પીત ચર્ચાઓ થતી જ હોય છે. વળી ચર્ચામાં અમૂકતો પોતે દરેક બાબતનાં નિષ્ણાંત અને જાણકાર હોય તે રીતે મોટી મોટી ડંફાસો પણ મારતા હોય છે.

પછી તો જયદેવ ગ્રેજયુએટ થયા બાદ પોલીસ ખાતામાં જ ફોજદાર તરીકે દાખલ થયો અને જૂનાગઢ ખાતે પોલીસ ટ્રેનીંગ કોલેજમાં તાલીમ દરમ્યાન એક પોલીસ ઈન્સ્પે. પરમાર કે જેઓ તાલીમ કલાસમા પોલીસ મેન્યુઅલ જણાવતા હતા તેમણે એક દિવસ આ ડીઆઈજી વાઘેલા ના કુંકાવાવ ખૂન કેસની જ ચર્ચા ખોલી અને કહ્યું કે તેઓ બનાવ પછી સીપીઆઈ બગસરા તરીકે નિમાયેલા અને એક ચોરીના ગુન્હાની તપાસ દરમ્યાન વેડવા વાઘરીઓને પકડેલા અને તેમને બરાબર ગરમ કરીને ધબધબાવેલા તેથી એક જણે કબુલ્યું કે સાહેબ અગાઉ અમો ટ્રેનોમાં લૂંટ કરતા કેમકે ફર્સ્ટ કલાસના ડબ્બામાં તે સમયે વધુ પડતા પેસેન્જરો તરીકે ધોરાજી ઉપલેટાના વતની એવા મેમણ લોકો જ મુંબઈ બાજુથી કમાણી કરીને આવતા.

અને અમોને લૂંટમાં માલ પણ સારો મળતો. વળી આ લોકો મુંબઈ પાછા જવાની લાઈમા અને પોલીસ ખાતાની લપમાં નહિ પડવા માટે ફરિયાદ કરવાનું પણ ટાળતા હતા. પરંતુ એક વખત આરીતે લુણીવાવ સ્ટેશનેથી હું ફર્સ્ટ કલાસના ડબ્બે ટીંગાઈને ચાલુ ટ્રેને દરવાજો બંધ હોય ખખડાવી ને અંદર રહેલ મુસાફરને આજીજી કરી ખોલાવેલો ડબ્બામાં તે એક જ મુસાફર હતો. પણ તેનો બાંધો પડછંદ હતો. મેં છતા હિંમત કરી જે કાંઈ હોય તે આપી દેવા ધમકી આપતા તેણે મારો સામનો કરતા મેં તેને બે ત્રણ છરીના ઘા તેમને મારીને નાસી ગયેલો પરંતુ તે પછી ટ્રેનો અને સ્ટેશનો ઉપર પોલીસની તકેદારી અને દોડાદોડી ખૂબજ વધી જતા તે જોખમી ધંધો બંધ કરેલો.

ઈન્સ્પેકટર પરમારે કહ્યુ કે ડીઆઈજી વાઘેલાનું ખૂન તો ખરેખર ધોરાજી ઉપલેટાના મેમણ માનીને તે વેડવાએ લૂંટ કરવા પ્રયત્ન કરતા ઓચિંતુ કરેલું કેમકે ડીઆઈજી વાઘેલા એ વાઘરીનો સામનો કરેલો તેથી વધુ ઘાયલ થયેલા અને મૃત્યુ પામેલા પરંતુ કેસમા તો ભળતા જ ફીટ થઈ ગયેલા પરંતુ સમર્થ કો નહિ દોષ ગોંસાઈની માફક આ તપાસમાં મોટા અધિકારીઓ હોય તે બાબત ઢંકાઈ જ ગયેલી પણ જો તમે ફોજદારો આવું કરવા જશો તો ઘર ભેગા થશો કે જેલમાં જશો તેથી ધ્યાન રાખજો આમ ઈન્સ્પેકટર પરમારનો કહેવાનો આશય એવો હતો કે ગુન્હાની તપાસ સત્ય, ન્યાયીક અને તટસ્થ રીતે કરવી અને ખાસ તો એવા કોઈ કેસ કે જે હાઈ પ્રોફાઈલ હોય તેમાં જો રાજકીય કે ખાતાકીય દબાણ આવે તો પણ સત્ય અને વાસ્તવિકતાથી જરાપણ વિચલીત થવું નહિ કેમકે ન્યાયની અદાલતમાં તો દુધનું દુધ અને પાણીનું પાણી સ્પષ્ટ થઈ જતુ હોય છે.

આથી જયદેવે સાંજના સમયે જ આ બહુ ચર્ચિત ગુન્હા વાળી જગ્યા કુંકાવાવ રેલવે સ્ટેશનની વિજીટ કરી સ્થળ નિરીક્ષણ કર્યું આમ જયદેવ આરામથી દિવસો પસાર કરતો હતો ત્યાં એક દિવસ રાત્રીનાં બાર વાગ્યે બગસરા પોલીસ ઈન્સ્પેકટર ગજરાજ કુંકાવાવ વિશ્રામ ગૃહમાં આવ્યા અને જયદેવને કહ્યુંં ઉઠો નસીબદાર ઠાકુર તમારા માટે ખાસ સરપ્રાઈઝ લઈ ને આવ્યો છું જયદેવ ખાતાના અધિકારીઓની ખાસ કાર્યશૈલીથી દાઝેલો હોય કોઈ પ્રત્યાઘાત આપ્યા નહિ તેથી ગજરાજે કહ્યું બાપુ તમારી કાર્ય દક્ષતાની કદર રૂપે તમને ધારી પોલીસ સ્ટેશનમાં નિમણુંક આપવામાં આવેલ છે. ગજરાજે હંસતા હંસતા કહ્યું આ તો આવનારા ધારાસભાની પેટા ચૂંટણીઓની તૈયારી રૂપે તમારો ઉપયોગ રાષ્ટ્રીય પાર્ટીના યુવરાજે ઢાલ તરીકે કરવા આ ધારી થાણાનો હુકમ કરાવેલ છે. તમે રહ્યા કાયદેસર માણસ અમને કોઈ બોલાવતું પણ નથી અને ભાવ પણ આપતુ નથી આથી જયદેવે કહ્યું આપણે તો સત્ય મેવ જયતે નો નિયમ રાખ્યો છે. આથી ગજરાજ કાંઈક ઈર્ષાથી અને કાંઈક કટાક્ષથી હસ્યા

આમ તો જયદેવ ભાવનગર જિલ્લામાં બદલી થાય તેની રાહ જોતો હતો ત્યાં આ બે મહિનામાં જ ધારીનો હુકમ આવતા તેબીજે દિવસે બગસરાથી વિસ કિલોમીટર જ દૂરના ગીર જંગલના પ્રવેશ દ્વાર સમા ધારી ગામે જવા રવાના થયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.