Abtak Media Google News

લોકસભાની ચૂંટણીના આડે હવે સાતથી આઠ મહિના જેટલો સમય ગાળો બચ્યો છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ચુંટણી લક્ષી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક હાલ રાજયના પ્રવાસે છે.

ગઇકાલે તેઓએ એક અગત્યની બેઠક દરમિયાન રાજયની લોકસભાની ર6 બેઠકો માટે કોંગ્રેસના આઠ દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષ અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલને છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠક, જગદીશભાઇ ઠાકોરને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ર્ચિમ અને સાબરકાંઠા લોકસભા બેઠક, સિઘ્ધાર્થભાઇ પટેલને ખેડા, આણંદ, મહેસાણા લોકસભા બેઠક, અર્જુનભાઇ મોઢવાડિયાને બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢ અને કચ્છ લોકસભા બેઠક, ભરતસિંહ સોલંકીને પંચમહાલ, વડોદરા, નવસારી અને સુરત લોકસભા બેઠક, અમિતભાઇ ચાવડાને ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે, પરેશભાઇ ધાનાણીને ગાંધીનગર, પાટણ, પોરબંદર અને જામનગર લોકસભા બેઠકની જયારે સુખરામભાઇ રાઠવાને દાહોદ, બારડોલી અને વલસાડ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. લોકસભાની છેલ્લી બે ચુંટણીથી ગુજરાતમાં કોંગ્રેસને ધોબી પછડાટ મળી રહી છે.

વર્તમાન પ્રદેશ અઘ્યક્ષ શકિતસિંહ ગોહિલ ઉપરાંત જગદીશ ઠાકોર, સિઘ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને સુખરામ રાઠવાને અલગ અલગ બેઠક માટે જવાબદારી સોંપાય

એકપણ બેઠક કોંગ્રેસ જીતી શકી નથી. કારમી હારની હેટ્રીક ખાળવા કોંગ્રેસ આ વખતે ગંભીર બની તૈયારી કરી રહી છે.લોકસભા બેઠકોમાં તાત્કાલીક પ્રવાસ કરશે અને સ્થાનિક આગેવાનો સાથે લોકસભાની આગામી ચૂંટણી પ્રક્રિયા, સંગઠન, સ્થાનિક સામાજીક સમિકરણો અને સ્થાનિક પ્રશ્નો, પક્ષના કાર્યક્રમો, પ્રજાકીય આંદોલનો અંગે ગહન પ્રવાસ કરશે. ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખને સંપૂર્ણ અહેવાલ આપશે. રાજ્યની હાલની સ્થિતી અને લોકસભા ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સિનિયર આગેવાનોએ આગામી લોકસભાની ચૂંટણીને લઈ તેમના સૂચનો રજૂ કર્યા હતા.

ગુજરાતના કોંગ્રેસ સંગઠનના 33 જીલ્લા અને 8 શહેરોના પ્રમુખ સાથેની બેઠકમાં માર્ગદર્શન આપતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનીકજીએ જણાવ્યું હતું કે, શહેર-જીલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારીનું વિશેષ મહત્વ છે. પક્ષના કાર્યક્રમોને સફળ બનાવવા માટે નિરાશા ખંખેરીને આગળ વધવાનું છે. પક્ષના સંગઠનને વિસ્તૃત બનાવીને જવાબદારીની વહેંચણી કરવી પડશે. જીલ્લા-તાલુકા વચ્ચે સંગઠનમાં તાલમેલ જરૂરી છે.  શહેર-જીલ્લાના સંગઠનના વડા તરીકે સ્થાનિક મુદ્દાને લઈને જનસંપર્ક અભિયાનને પદયાત્રાના માધ્યમથી વેગવંતુ બનાવશો તો સફળતા નિશ્ચીત મળશે. પક્ષમાં નિષ્ઠાપૂર્વક કામ કરનારને મહત્વ મળશે અને જે લોકો સંગઠનમાં જવાબદારી હોવા છતાં પક્ષના કાર્યક્રમ માટે સમય આપી શકતા નથી અથવા તો આપવા માંગતા નથી તેઓને જવાબદારીમાંથી મુક્ત કરીને નવા લોકોને તક અપાશે. જવાબદારી સાથે જવાબદેહી પણ નક્કી કરાશે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સંગઠનમાં સોંપાયેલ વિવિધ જવાબદારી માટે સમયમર્યાદા નક્કી કરી છે. હાથ સે હાથ જોડો અભિયાનની સભ્ય નોંધણી ઝુંબેશ માટે સોંપાયેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવી જરૂરી છે. સ્થાનિક પ્રશ્નો સાથે વધુમાં વધુ જનસંપર્ક અભિયાન અસરકારક બનાવવા માટે પણ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. તાજેતરમાં નર્મદાના પુરથી નર્મદા, ભરૂચ અને વડોદરા જીલ્લામાં ભારે નુકસાન થયું છે. સરકારે નજીવી સહાય કરીને અસરગ્રસ્તોની મશ્કરી કરી છે ત્યારે અસરગ્રસ્તોને પુરતુ વળતર મળે તે માટે કોંગ્રેસ પક્ષ તમામ લડાઈ લડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.