Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ અને ધારા દોશી  દ્વારા 360 વાલીઓ પર સર્વે કર્યો: ઉછેરશૈલીની બાળકના વ્યક્તિત્વ પર થતી અસર વિશે જણાવવામાં આવ્યું

વ્યક્તિના વર્તનનો વિકાસ બાળપણથી શરૂ થાય છે.  આ તે સમય છે જ્યારે બાળકોમાં મૂલ્યો, યોગ્ય વર્તન અને સંવેદનશીલતાના બીજ રોપાય છે. આજે ઘણા માતા પિતાને ફરિયાદ છે કે બાળકની સાથે કેમ રહેવું, શુ સમજાવવું વગેરે. એ વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ અને ધારા દોશી  દ્વારા 360 વાલીઓ પર સર્વે કર્યો.

ઉછેરશૈલીની બાળકના વ્યક્તિત્વ પર થતી અસર વિશે જણાવવામાં આવ્યું. બાળકોનો ઉછેર સરળ નથી.  દરેક મા-બાપ ઈચ્છે છે કે તેમનું બાળક સંસ્કારી બને અને સારું વર્તન કરે, પરંતુ જ્યારે બાળક ખરાબ વર્તન કરવા લાગે છે,અવળે રસ્તે ચાલવા લાગે તો તેને સંભાળવું સહેલું નથી.  આવી સ્થિતિમાં, માતાની જવાબદારી ખાસ કરીને તેના બગડતા બાળકને સાચા માર્ગ પર લાવવાની વધી જાય છે, કારણ કે માતા ભાવનાત્મક રીતે પુત્રની નજીક હોય છે.બગડેલા યુવાનને સંભાળવા એ પણ એક કળા છે.  પુત્ર પુત્રી સાથે માતાનો વ્યવહાર મૈત્રીપૂર્ણ હોવો જોઈએ.

પુત્ર પુત્રીની જે ખોટી આદત તે સુધારવા માંગે છે, તેણે પહેલા તેની સાથે તે વિષય પર વાત કરવી જોઈએ.  પછી તેના મનમાં શું છે તે જાણવાનો પ્રયાસ કરવો.  બાળકે એ ખોટું વર્તન કેમ અપનાવ્યું?  તેને ખરાબ ટેવ કઈ રીતે પડી?  જેના કારણે તેણે કોઈ નિષેધક કૃત્ય કર્યું હતું.  વાતના મૂળ સુધી પહોંચવું એ માતા માટે જરૂરી છે કારણ કે આ પછી પુત્ર કે પુત્રીને સમજાવવામાં અને સુધારવામાં સરળતા રહેશે.

તારણો

  • ધનાઢ્ય પરિવારના બાળકોમાં માનવતા હોતી નથી એવું 81% વાલીઓનું માનવું છે.
  • અતિશય લાડને કારણે બાળકો બગડે છે એવું 63% વાલીઓનું માનવું છે.
  • રૂપિયા રળવાની લાયમા ઘણા માતાપિતા સંતાનોનો યોગ્ય ઉછેર કરવામાં નિષ્ફળ જાય છે એવું 88% લોકોનું માનવું છે.
  • રૂપિયાનો પાવર પચાવી ન શકનાર વાલીઓ પોતાના બાળકોનું ધ્યાન રાખતા નથી એવું 77% લોકોનું માનવું છે.
  • કોઈ ધનકુબેર ના દીકરા દીકરીઓ નુકશાન કરે તો તેની ભરપાઈ સરકારે નહિ પણ તેની સંપત્તિ માંથી કરવી જોઈએ એવું 94% લોકોનું માનવું છે.
  • પૂરતી માવજત ના અભાવે કિશોરો અને યુવાનો બગડે છે એવું 71% લોકોનું માનવું છે.
  • અમદાવાદ જેવી અન્ય ઘટના ન બને તે માટે માત્ર સરકારે નહિ પર ઘર, પરિવાર અને કુટુંબે સજાગ થવું જરૂરી એવું 91% લોકોનું માનવું છે.
  • ઘરડા ઘર કે વૃદ્ધાશ્રમમાં અતિ ધનવાન લોકોના માતાપિતા જ હોય છે એવું 90% લોકોએ જણાવ્યું.

Rty

બાળપણને ખૂબ સંભાળવાની જરૂર છે

આ તે સમય છે જ્યારે તેમના શારીરિક વિકાસની સાથે માનસિક વિકાસ પણ ઝડપથી થાય છે.  નવી વસ્તુઓનું આકર્ષણ, જિદ્દી હોવું, વડીલોની આજ્ઞાનું પાલન ન કરવું વગેરે આવી ઘણી બાબતો છે, જેની આદતો બાળપણમાં જ સુધારી શકાય છે.  આમાં માતાપિતાની ભૂમિકા બહુ મોટી છે. તેઓ બાળકને ભવિષ્ય માટે તૈયાર કરે છે.  બાળકોનું વર્તન કેવી રીતે આકાર લે છે અને કઈ દિશા તેમને ભવિષ્ય માટે તૈયાર કરશે.

હંમેશા બાળકને આધારિત રાખવા જરૂરી નથી

બાળકોને દરેક સમયે મદદ કરવી એ પણ તેમને બગાડે છે.  બાળકોને હોમવર્કમાં મદદ કરવી, મિત્રો બનાવવામાં મદદ કરવી, કોયડાઓ ઉકેલવામાં મદદ કરવી, રડવાના ડરથી તેમને ગેમ્સમાં જીતાડવા, તેમને નાના ગણીને તેમને ગેમમાં બીજી તક આપવી વગેરે તેમની આદતો બગાડે છે.  તેમજ નાની નાની બાબત માટે તેમની પાસે જવું કે મદદ કરીને તેમની જરૂરિયાત પૂર્ણ કરવી તેમને નિર્ભર બનાવે છે.  આને કારણે, બાળકને મુશ્કેલ કામને મુલતવી રાખવાની આદત પડી જાય છે કેમકે તેમને એવું હોય છે કે માતા પિતા આ કામ ચોક્કસ પૂર્ણ કરી દેશે.

વધુ રક્ષણ મુશ્કેલીઓ વધારશે

માતાપિતા હંમેશા બાળકો પર ધ્યાન આપે છે.  તેમને એકલા નથી છોડતા, તેમની સાથે રમત રમે, હંમેશા ખાવા-પીવામાં ધ્યાન રાખે છે.  બાળપણમાં પણ આ જરૂરી છે, પરંતુ બાળકોના મોટા થતાની સાથે આ આદતોને પણ બદલવી જરૂરી છે.  જો માતા પિતા હંમેશા બાળકની ચિંતા કરશે, તો તેને આદત પડી જશે.  તે માતાપિતા વિના અસુરક્ષિત અનુભવશે.  તેથી, વધુ પડતી કાળજી બાળકના ભવિષ્ય માટે પણ અવરોધ બની શકે છે.

શક્ય સમાધાન

  • હરહંમેશ તેમને જીતાડવાની કોશિશ ન કરવી, હાર જોવી પણ જરૂરી છે.
  • જો બાળકોને કોઈ કાર્ય સોંપવામાં આવે છે તો તેમને કહેવું કે તેઓએ તે જાતે કરવાનું રહેશે.
  • મદદ માટે દરેક સમયે ઉપલબ્ધ ન રહેવું.
  • જો બાળક મદદ માટે કહે અને લાગે કે બાળકે કોઈ જ પ્રયત્ન નથી કર્યો તો મદદ કરવી નહીં.
  • સીધેસીધું ના કહેવું પણ ક્યારેક અઘરું હોય છે. માટે કોઈ કામનું બહાનું કાઢવું.હા, જો ખરેખર જરૂર હોય તો મદદ કરવી પરંતું સ્પષ્ટ કરવું કે તે કામ તેમણે ભવિષ્યમાં જાતે જ કરવાનું રહેશે.
  • બાળકોની સંભાળ રાખવી જરૂરી છે, પરંતુ ઉંમર સાથે તેને થોડી ઓછી કરવી પણ જરૂરી છે, જેથી બાળકોને પોતાની સંભાળ લેવાની આદત પડે.
  • ખોરાક લઈને પાછળ દોડવાને બદલે, તેમને પોતાને ભોજન પીરસવા અને ખાવાનું કહેવું.
  • બાળકોને પૈસાનું મહત્વ સમજાવવું ખૂબ જ જરૂરી છે. તેમને ખબર હોવી જોઈએ કે શું જરૂરી છે અને શું નથી.  સમયાંતરે માતા-પિતા બાળકને જરૂરી વસ્તુ ખરીદી આપે તે યોગ્ય છે પણ નકામી વસ્તુઓ માટે સ્પષ્ટપણે ના પાડી દેવી અને ‘ના’ પર વળગી રહેવું જરૂરી છે.
  • જો બાળક નિરાશ થઈને બેઠું હોય, તે પણ માત્ર એટલા માટે કે માતા પિતાએતેના મનનું કામ ન કર્યું, તો તેમાં કોઈ વાંધો નથી. તેમને પ્રેમથી સમજાવો અને પરિસ્થિતિથી વાકેફ કરવા.
  • બાળકને મોબાઈલ ની ટેવ ન પાડો.
  • તેમના મિત્રો કોણ છે તે ચકાસતા રહો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.