Abtak Media Google News

બજારમાં ભારે કરેક્શનથી મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સની નેટ એસેટ વેલ્યૂમાં ટોચના સ્તરથી ૧૦થી ૧૧ ટકા ધોવાણ છતાં ૨૦૧૭ની બજારની તેજીમાં બીએસઇના મિડકેપ ઇન્ડેક્સ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં અનુક્રમે ૪૦ ટકા અને ૬૦ ટકા વળતર મળેલુ હોય, ભૂતકાળના દેખાવને આધારે ઘણા રોકાણકારો મિડકેપ ફંડ્સનો આગ્રહ રાખે છે

બજારમાં તાજેતરના કરેક્શનથી ઘણા મિડ અને સ્મોલ-કેપ શેરોમાં ૩૦થી ૫૦ ટકા સુધીનો ધરખમ ઘટાડો થયો છે, પરંતુ આવા શેરો પર બાજી લગાવતી મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમમાં એકસાથે મોટું રોકાણ કરવાનું કદાચ હજુ શ્રેષ્ઠ સમય નથી. વેલ્થ મેનેજર્સને મિડ અને સ્મોલ-કેપ ફંડ્સમાં રોકાણની ઇચ્છા વ્યક્ત કરતા ઘણા રોકાણકારોના કોલ મળી રહ્યા છે.

બજારમાં ભારે કરેક્શનથી મિડ-કેપ અને સ્મોલ-કેપ ફંડ્સની નેટ એસેટ વેલ્યૂમાં ટોચના સ્તરથી ૧૦થી ૧૧ ટકા ધોવાણ થયું છે. વેલ્યૂ રિસર્ચના ડેટા મુજબ HSBC મિડ-કેપ, DSP માઇક્રોકેપ, સુંદરમ SMILE અને આદિત્ય બિરલા સનલાઇફ પ્યોર વેલ્યૂ ફંડ જેવા મિડ-કેપ ઇક્વિટી ફંડ્સની NAVમાં તેમના ટોચના સ્તરથી ૧૦થી ૧૧ ટકા ધોવાણ થયું છે. ૨૦૧૭ની બજારની તેજીમાં બીએસઇના મિડ-કેપ ઇન્ડેક્સ અને સ્મોલ-કેપ ઇન્ડેક્સમાં અનુક્રમે ૪૦ ટકા અને ૬૦ ટકા વળતર મળ્યું હતું.

જીઇપીએલ કેપિટલના વડા (ડિસ્ટ્રિબ્યુશન) રૂપેશ ભણસાલી જણાવે છે કે, ગયા વર્ષના પ્રારંભમાં એક્ઝિટ કરનારા અને મિડ-કેપની તેજી ચૂકી જનારા ઘણા લોકો વિચારી રહ્યા છે કે તીવ્ર કરેક્શન બાદ તેમને ફરી તક મળશે કે નહીં. જોકે ઘણા નિષ્ણાતો માને છે કે લાર્જ-કેપ અથવા મલ્ટિકેપ ફંડ્સને વળગી રહેવાનું કદાચ વધુ હિતાવહ છે, કારણ કે મિડ-કેપ શેરોનું વેલ્યુએશન હજુ ઘણું ઊંચું છે. નિફ્ટી ૧૫૦ હાલમાં ૪૯ના પીઇ ટ્રેડ થાય છે, જે નિફ્ટીના ૨૫.૭૫ના પીઇ કરતાં ઘણું ઊંચું છે.

કોટક મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (ઇક્વિટીઝ) હર્ષ ઉપાધ્યાય જણાવે છે કે લાર્જ-કેપ કરતા મિડ-કેપ શેરોનું વેલ્યુએશન હજુ ઊંચું છે. અમે મિડ-કેપ કરતાં લાર્જ-કેપ શેરો વધુ પસંદ કરીએ છીએ.

ભૂતકાળના દેખાવને આધારે ઘણા રોકાણકારો મિડ-કેપ ફંડ્સની ખરીદી કરવા વિચારી રહ્યા છે. વેલ્યૂ રિસર્ચના ડેટા અનુસાર છેલ્લા એક વર્ષમાં મિડ-કેપ ફંડ કેટેગરીમાં ૨૪ ટકા અને સ્મોલ-કેપ કેટેગરીમાં ૩૧ ટકા વળતર મળ્યું છે. આની સામે નિફ્ટીમાં ૨૦ ટકા વળતર મળ્યું છે. ત્રણ વર્ષના સમયગાળામાં મિડ-કેપ ફંડ્સમાં ૧૪ ટકા વળતર મળ્યું છે, જ્યારે નિફ્ટીમાં ૬.૪ ટકા વળતર મળ્યું છે. એસબીઆઇ સ્મોલ અને મિડ-કેપ, એચડીએફસી સ્મોલ-કેપ અને એલ એન્ડ ટી ઇમર્જિંગ બિઝનેસમાં છેલ્લા એક વર્ષમાં ૪૦થી ૫૫ ટકા વળતર મળ્યું છે. પ્લાન અહેડ ફાઇનાન્શિયલ એડ્વાઇઝર્સના ચીફ ફાઇનાન્શિયલ પ્લાનર વિશાલ ધવન જણાવે છે કે, ઘણા રોકાણકારો ભૂતકાળના વળતરથી આકર્ષાય છે અને હાલની સ્થિતિમાં તેઓ ફસાઈ જાય તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.