Abtak Media Google News

માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ સર્જાયેલા અંધાપાકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા મોતિયાના ઓપરેશન કરતી તમામ ખાનગી, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં સુવિધાઓનું મોનીટરીંગ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં આવેલ ટ્રસ્ટ સંચાલિત રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનને પગલે બનેલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આકરૂં વલણ અપનાવ્યું છે.

ચેક લીસ્ટ માટેની ગાઇડ લાઇન બનાવવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની તાકીદ

મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદની એમ.એન્ડ.જે. હોસ્પિટલમાં દાખલ અસરગ્રસ્ત તમામ દર્દીઓની રૂબરૂ મુલાકાત કરીને સ્વાસ્થ્ય પૃચ્છા કરી હતી.

આ ઘટનાને પગલે મીડિયાને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, માંડલમાં બનેલ આ ઘટનાની સચોટ, નિષ્પક્ષ અને ત્વરિત તપાસ માટે 9 નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી છે.

આ કમિટીના સભ્યોએ  સ્થળ પર જઇને ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

મંત્રીએ આ મુદ્દે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કમિટીના રીપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી જણાશે તો કડકમાં કડક ઉદાહરણરૂપ કાર્યવાહી કરાશે.

વધુંમા માંડલની રામાનંદ હોસ્પિટલમાં બનેલ ઘટનાની ગંભીરતાને પારખીને મંત્રી ઋષિકેશ પટેલે મોતિયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ ખાનગી, સરકારી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓનું મોનીટરીંગ કરવા સૂચના આપી છે.

મોતીયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ હોસ્પિટલ્સમાં જરૂરી ચેક-લિસ્ટ માટેની ગાઇડ લાઇન બનાવવા પણ તેમણે આદેશ કર્યાં છે.

હાલ માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બંધ કરવા કડક સૂચના અપાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.