Abtak Media Google News

નરેશભાઇ પટેલના હસ્તે પદયાત્રાનું કરાયું પ્રસ્થાન: માતાજીના રથની આગેવાનીમાં માતાજીના ગરબા ગાતા માઇ ભકતો પહોંચ્યા ખોડલધામ

નવરાત્રી દરમિયાન દરરોજ માતાજીના અલગ-અલગ શણગાર, હવન અને ધ્વજારોહણ કરી ભક્તો કરશે માતાજીની આરાધના

નવરાત્રી પર્વ માતાજીની આરાધના કરવા માટેનો સર્વશ્રેષ્ઠ  સમય હોય છે. ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના થયા બાદ વર્ષ ૨૦૧૧થી આસો મહિનાના પહેલા નોરતે ખોડલધામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રથમ નોરતે સવારે ૮ કલાકથી કાગવડ ગામથી નરેશભાઇ પટેલે પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગળ માતાજીનો રથ સાથે ભકતો માતાજીના ગરબાનું ગાન કરતા ખોડલધામ પહોચ્યા હતા. ખોડલધામ ખાતે ભકતો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ માતાજીને ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી.

નવરાત્રીના પ્રથમ નોરતે કાગવડ ગામથી સવારે ૮-૦૦ કલાકથી ખોડલધામ સુધીની પદયાત્રાનો પ્રારંભ થયો હતો. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના લોકો સહભાગી બન્યા હતા. ખોડલધામ પદયાત્રામાં માતાજીના રથની આગેવાની પાછળ ભાવિકો કાગવડ ગામથી ખોડલધામ પહોંચ્યા. ખોડલધામ પહોંચ્યા બાદ માઇ ભક્તો માટે ફરાળ અને નાસ્તાની વ્યવસ્થા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. કાગવડ ગામથી લઇને ખોડલધામ સુધીના પદયાત્રાના આખા રુટ પર સેવા આપવા સ્વયંસેવકો ખડેપગે રહ્યા હતા.

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સતત સાત વર્ષથી આસો મહિનાની નવરાત્રિના પહેલા નોરતે પદયાત્રા નીકળે છે. આ વખતે પણ કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની બે કિલોમીટરની પદયાત્રા નીકળી હતી. પદયાત્રા સમયે સમસ્ત કાગવડ ગામ અને પદયાત્રાનો માર્ગ શણગારમાં આવ્યો હતો. નોરતાની પ્રથમ આરતીમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ અને ટ્રસ્ટીઓ તથા લેઉવા પટેલ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

પ્રથમ નોરતે સવારે ૯ વાગ્યેથી નરેશભાઇ પટેલના અધ્યસ્થાને યજ્ઞશાળામાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી દરમિયાન દરરોજ ખોડલધામ પરિસરના હવનકુંડમાં હવન કરાશે. તથા ભકતો દ્વારા દરરોજ ધ્વજારોહણ કરવામાં આવશે. પદયાત્રાની વ્યવસ્થા જેતપુર, ધોરાજી, ગોંડલ, ઉપલેટા, રાજકોટ, જામનગર, અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ ખોડલધામ સમિતિના સ્વયંસેવકોએ સંભાળી હતી.

ખોડલધામ ટ્રસ્ટે ૨૦૧૧ થી આસો મહિનાના પહેલા નોરતે ખોડલધામ સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. જે ક્રમ આ વર્ષના આસો મહિનાના પહેલા નોરતે પણ ચાલુ રહયો હતો. નવરાત્રીના નવે-નવ દિવસ દરમ્યાન માતાજીને અવનવા શણગાર કરવામાં આવશે અને સાથો સાથ મંદિર પરીસર લાઇટીંગથી ઝળહળી ઉઠશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.