Abtak Media Google News

કથા તુજ પ્રેમની

શ્રીમદ્ રાજચંદ્રજીનો સંગ, સત્સંગ અને સમાગમ પ્રાપ્ત થયા બાદ મુનિશ્રીને ચોકકસપણે એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે જેવી રીતે સાધુ જીવનનાં નિયમોનું પાલન તથા બાહ્યક્રિયાઓ જ‚રી છે પણ તેના કરતાય આત્મલક્ષી સાધના કરવી વિશેષ મહત્વું છે.

Advertisement

આથી જ હવે મુનિશ્રી આવી આત્મલક્ષી સાધના માટે જયાં જયાં શ્રીમદ્ રાજચંદ્રજી બિરાજતા હોય તેવા સ્થાનોમાં આતુર્માસ ગોઠવતા હતા અથવા શેષકાળનો સમય પણ તેવા સ્થાનોમાં વિતાવતા હતા.

વળી, મુંબઈ જેવી અનાર્ય ભૂમિમાં ચાતર્માસ કરવાનું કારણ પણ શ્રીમદ્ રાજચંદ્રજીના દર્શન અને સમાગમનો લાભ પ્રાપ્ત થાય તે જ હતું.

જયારે શ્રીમદ્ રાજચંદ્રજીને જાણ થઈ કે મુનિશ્રીને પેઢી પર આવવામાં કોઈ અવરોધ નડતો નથી, ત્યારે મુનિશ્રીને સત્સંગ અને સમાગમ અર્થે પેઢી પર બોલાવતા અને આગમ આદિ ગ્રંથોનું જ્ઞાન આપતા.

આ જ સમયે મુનિશ્રી વારંવાર ચિત્રપટની માંગણી કરતા હતા, આથી શ્રીમદ્ રાજચંદ્રજીએ ક‚ણાભાવે સમાધિશતક પુસ્તક પર મહામંગલકારી મંત્ર ‘આતમભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે’ લખી આપ્યો. મુનિશ્રીને અપાયેલ આ મંત્ર સર્વ મુમુક્ષુઓ માટે મહામંગલકારી જીવનમંત્ર બની ગયો. વળી, સુરતના ચાતુર્માસ દરમ્યાન મુનિશ્રીનું શરીર વ્યાધિગ્રસ્ત બનતા તેઓ ખુબ જ ચિંતિત થતા હતા કે સમકિત પ્રાપ્ત કર્યા વિના આ દેહ આમ જ છુટી જશે ? આવી ચિંતાથી તેઓ પરમકૃપાળુદેવને નમ્રતાપૂર્વક વિનંતી કરવા લાગ્યા, પરિણામે શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મજ્ઞાનનો ખજાનો પ્રાપ્ત થઈ જાય તેવી ઉતમ રચના ‘છ પદનો પત્ર’ લખીને મોકલાવ્યો.

સમ્યકત્વની પ્રાપ્તિની અદભુત વિચારણા ધરાવતો આ પત્ર પ્રાપ્ત થવાથી મુનિશ્રી ખુબ જ પ્રભાવિત થયા અને આ પત્રનો વારંવાર સ્વાધ્યાય કરવા લાગ્યા. આથી મુનિશ્રીનાં વૈરાગ્યભર્યા જીવનને નવી દિશા મળી. તેઓશ્રીની લૌકિક માન્યતાઓ દુર થઈ અને આત્મા પ્રત્યેનો પરમ લક્ષ વિશેષપણે બંધાયો.

હવે મુનિશ્રીની આત્મસ્થિત થવાની ઝંખના વધતી જતી હતી. હવે પરમ ઉપકારી પરમકૃપાળુદેવનો વિરહ સહેવાતો ન હતો. આથી જ ચરોતર ભૂમિના ચાતુર્માસ દરમ્યાન શ્રીમદ્ રાજચંદ્રજીના દર્શનાર્થે બાજુના ગામની સીમમાં પહોંચી ગયા, પરંતુ ચાતર્માસના નિયમનો ભંગ થતો હોવાથી શ્રીમદ્ રાજચંદ્રજીની આજ્ઞા ન મળતા મુનિશ્રી અપાર ખેદ અનુભવતા વિરહ વેદતા વેદતા પાછા ફરી ગયા.

બીજે દિવસે કૃપાંવત કરુણાના નાથ એવા શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા મુનિશ્રીને અપૂર્વ આનંદ થાય એવો સંદેશો પ્રાપ્ત થયો. આ સંદેશામાં આત્મકલ્યાણ થાય એવો મહામંત્ર ‘સહજાત્મસ્વ‚પ પરમગુરુ’ પ્રાપ્ત થયો. વળી, આ મંત્રની પાંચ માળા રોજ ગણવાની આજ્ઞા પણ પ્રાપ્ત થઈ. હવે મુનિશ્રીએ શાંતિનો અનુભવ કર્યો અને સાધના કરવા લાગ્યા.

આ સમય દરમ્યાન શ્રીમદ્ રાજચંદ્રજી સાથે મુનિશ્રીનો મેળાપ થતા મુનિશ્રીએ તેઓશ્રીના ચરણે મુહપતિ ધરતા કહ્યું કે હવે તમારો વિરહ નથી સહેવાતો. મને નિશદિન તમારા ચરણમાં રાખો. આ સાંભળી શ્રીમદ્ રાજચંદ્રજીની આંખોમાંથી અશ્રુપ્રવાહ વહેવા લાગ્યો. મુહપતિ પાછી આપતા સાંત્વના આપી ધીરજ બંધાવી.

આમ મુનિશ્રીને પોતાના ગુરુનું સાંનિધ્ય પામવા માટે મુનિનો વેષ કે સાધનો અડચણ‚પ નીવડે તો તેનો ત્યાગ કરવા માટે પણ તૈયાર હતા. અહીં આપણને મુનિવરની ઉત્કૃષ્ટ ભકિત જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.