Abtak Media Google News

ભારતના ઉર્જાના પોર્ટફોલિયોમાં હાલ કુદરતી ગેસનું યોગદાન 6 ટકા જેટલું છે. ભારતના  વડાપ્રધાન કુદરતી ગેસનો ઉપયોગ વર્ષ 2030 સુધીમાં વધારીને 15 ટકા જેટલો કરવાનું ધ્યેય ધરાવે છે. ભારત સરકાર સક્રિયતાથી સી.એન.જી.(કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) બિઝનેસ અને તેનો વ્યાપ વધારવાના પ્રયત્નોને પ્રોત્સાહન આપી રહી છે. સી.એન.જીના ભાવમાં સ્થિરતા જાળવીને સી.એન.જીવાહનોની ઈકોસિસ્ટમનો વિકાસ થાય તેવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. આ પ્રયત્નોના ભાગ રૂપે સરકારે એડમિનિસ્ટર્ડ પ્રાઈસ મિકેનિઝમ (એપીએમ)માં ફેરફાર કર્યા છે. તેને કારણે સી.એન.જીની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ પગલું સી.એન.જી ઈન્ડસ્ટ્રીને વધારે મજબૂત બનાવશે અને દેશમાં ઉર્જાના સ્વચ્છ અને ટકાઉ વિકલ્પોમાં વૃદ્ધિ કરશે.

ગેસ-આધારિત અર્થતંત્રના વિકાસ માટે કેન્દ્ર સરકારની પહેલ: 2023 સુધીમાં કુદરતી ગેસનો વપરાશ 1પ ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય

ભારત 2005ના સ્તરની સરખામણીએ વર્ષ 2030 સુધીમાં પોતાના સી.ડી.પી.(કુલ રાષ્ટ્રીય ઉપજ)માંથી કાર્બન ઉત્સર્જનની તીવ્રતા 45 ટકા જેટલી ઘટાડવા પ્રતિબદ્ધ છે. આ લક્ષ્ય પૂરુ કરવામાં અને હવાની ગુણવત્તા સુધારવાના પ્રયત્નોમાં સી.એન.જી સેગમેન્ટ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. દેશની પેટ્રોલિયમ તથા કુદરતી ગેસ મિનિસ્ટ્રીની એક પેનલે 2027 સુધીમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ડીઝલથી ચાલતા ફોર-વ્હીલર વાહનો પર પ્રતિબંધ મૂકવાનું સૂચન કર્યું છે. કિંમતની દૃષ્ટિએ જોઈએ તો પણ એ વાત ધ્યાન દોરે તેવી છે કે પેટ્રોલથી ચાલતા વાહનોને ચલાવવાનો ખર્ચ સી.એન.જી કરતા લગભગ બમણો આવે છે. ડીઝલથી ચાલતા વાહનોમાં આ ખર્ચ સી.એન.જી ની સરખામણીએ 1.4 ગણો છે.

રાજ્યમાં ઉર્જાના કુલ વપરાશમાં 25 ટકા ફાળો કુદરતી ગેસનો છે જે આખા દેશમાં સૌથી વધુ છે. ગુજરાતમાં 1002 સી.એન.જી સ્ટેશનો છે જે દેશના બીજા કોઈ પણ રાજ્યની સરખામણીમાં સૌથી વધુ છે. તેમાંથી રાજ્ય સરકારના એકમો  દ્વારા 705 સી.એન.જી સ્ટેશનો વિકસાવવામાં આવ્યા છે.

સી.એન.જી જેવા સ્વચ્છ ઈંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પહેલ હાથ ધરવામાં આવી છે. ભૂતકાળમાં રાજ્ય સરકારે ” સી.એન.જી સહભાગી યોજના”ને મંજૂરી આપી હતી. આ સી.એન.જી યોજનાઓએ રાજ્યમાં સી.એન્ડ.જી. નેટવર્કના વિકાસમાં મદદ કરી છે. આમ છતાં રાજ્યમાં પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડેલ આધારિત સી.એન.જી સ્ટેશન વિકસાવવાની જરૂર સતત વર્તાતી હતી.

ગુજરાતમાં પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડેલથી સી.એન.જી સ્ટેશનના ઝડપી વિકાસ માટે આદરણીય મુખ્યમંત્રી અને આદરણીય નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીએ પ્રસ્તાવિત સી.એન.જી સ્કીમને સ્વીકૃતિ આપી છે. આ યોજનાનો અમલ જી.જી.એલ અને એસ.જી.એલ. દ્વારા કરવામાં આવશે.

આ વ્યવસ્થામાં ઓનલાઈન સી.એન.જી સ્ટેશન: જી.જી.એલ. અને એસ.જી.એલ.  3050 કિ.મીના સ્ટીલ નેટવર્કથી કુદરતી ગેસ ડીલરના ઓનલાઈન સ્ટેશનને પહોંચાડશે, જે ડીલર ગ્રાહકને સપ્લાય કરી શકશે.

ડોટર બૂસ્ટર સી.એન.જી સ્ટેશન: ડીલરના લાઈટ, મીડિયમ અને હેવી કોમર્શિયલ વ્હીકલને સી.એન.જી પૂરો પાડવામાં આવશે જે ડીલર ગ્રાહક સુધી પહોંચાડી શકશે.

સી.એન.જી સ્ટેશન સેટ અપ કરવા માટે જમીનને લગતી મંજૂરી લેવાની, તેનો દસ્તાવેજ કરવાની સંપૂર્ણ જવાબદારી ડીલરની રહેશે. જી.જી.એલ. કે  એસ.જી.એલ. એ આપેલા સ્પેસિફિકેશન (સ્પષ્ટીકરણ) મુજબ સી.એન.જી સ્ટેશન સેટ અપ કરવાનું તેમ જ તેનું બાંધકામ, મિકેનિકલ કે ઈલેક્ટ્રીકલનું કામ ડીલરે કરાવવાનું રહેશે.

સી.એન.જી ઈક્વિપમેન્ટ માટે જરૂરી કોમ્પ્રેસર, કાસકેડ, સી.એન.જી ડિસ્પેન્સર, એસ.એસ. ટ્યુબિંગ્સ વગેરેને ખરીદવાની, બેસાડવાની અને ચાલુ કરવાની જવાબદારી ડીલરની રહેશે. આ યોજનાથી અર્થતંત્ર પર તેલ આયાતનું ભારણ ઘટશે.

ગેસ-આધારિત અર્થતંત્ર વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પહેલ

સ્વચ્છ અને હરિયાળા પર્યાવરણનું સપનુ સાકાર કરવા માટે ગુજરાત સરકાર વિવિધ પહેલ હાથ ધરી રહી છે. રાજ્ય સરકારે તેના માટે ગેસ-આધારિત ઈકોનોમીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જેમાં સમગ્ર રાજ્યમાં ગેસ ગ્રીડ નેટવર્ક ફેલાયેલું છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લા આ ગેસ નેટવર્ક સાથે જોડાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.