Abtak Media Google News

ગાંધીનગર ખાતેથી અટલ ભૂજલ પખવાડિયાનો મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં શુભારંભ

જળસંચય અંગે જાગૃતિ માટેના પ્રચાર-પ્રસાર અને  લીલી ઝંડી : 6 જિલ્લાના  36 તાલુકાઓમાં થશે ઉજવણી

રાજ્ય સરકાર દ્વારા ‘અટલ ભૂજલ યોજના’ અંતર્ગત તા. 13 થી 27 ફેબ્રુઆરી,   દરમ્યાન ‘અટલ ભૂજલ પખવાડિયા’ની ઉજવણીનો શુભારંભ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ગાંધીનગર ખાતેથી કરાવવામાં આવ્યો હતો.

Advertisement

મંત્રી  કુંવરજીભાઈ બાવળીયાએ પખવાડીયાનો શુભારંભ કરાવતાં કહ્યું હતું કે, ભૂગર્ભ જળના વ્યયને અટકાવવા રાજ્ય સરકાર હરહંમેશ પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારે ગંભીરતા દાખવી જળ સમસ્યાઓને પહોચી વળવા આગોતરું આયોજન કર્યું છે. જળ વ્યવસ્થાપનના ભાગ રૂપે શું થઇ શકે અને શું કરી શકાય તે માટે આ યોજનાની શરૂઆત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જળ સંપત્તિના ભાગરૂપે પાણીની ગુણવત્તા પરીક્ષણ કીટ, ડિજિટલ પાણી સૂચક, અને પાણીનું ઓડિટ થાય તે માટે પણ સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં સૌએ સાથે મળીને ભૂગર્ભ જળના ઉપયોગની સાથે સાથે પાણીની બચત, વપરાશ અને ઓછા પાણીથી સિંચાઈ કેવી રીતે થઇ શકે તે માટે જળસમુદાયને ભાગીદાર બનાવવા પડશે. ખેડૂતો, ગામડાઓ સુધી જળવ્યવસ્થાપનની વાત લઇ જવી પડશે. આવનારા સમયમાં ભૂગર્ભજળના સંકટથી અસરગ્રસ્ત અન્ય વિસ્તારોને પણ આવરી લેવા સરકાર પ્રયત્નશીલ છે. સાથે સાથે પાણીનું બજેટિંગ અને જળ સલામતીનું આયોજન કરવું પડશે.

જળસંપત્તિ વિભાગના ખાસ સચિવ કે.બી. રાબડીયાએ જણાવ્યું હતું કે, અટલ ભૂજલ યોજના પેર્ફોર્મન્સ આધારિત યોજના છે. આ યોજના હેઠળ ભૂગર્ભ જળના સ્તરને ધ્યાને લઈ રાજ્યના જિલ્લાઓને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે: ક્રિટીકલ, સેમી ક્રિટીકલ અને ઓવર એક્સપ્લોઈટેડ.  આવા જિલ્લાઓમાં જળસંચય થકી પાણી પુરવઠાની સ્થિતિ સુધારવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળની દરેક ગ્રામ પંચાયત પોતાના વિસ્તારની સ્થિતિને અનુરૂપ ‘વોટર સિક્યુરિટી પ્લાન’ બનાવે મહત્વનું પાસુ છે. હાલમાં રાજ્યના 6 જિલ્લાઓના 36 તાલુકાઓની 1873 ગ્રામપંચાયતોમાં આ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે.

‘અટલ ભૂજલ પખવાડિયા’ની ઉજવણી અંતર્ગત જળસંચય અંગે જાગૃતિ માટે વિશેષ રીતે તૈયાર કરાયેલ પ્રચાર-પ્રસાર રથનું યોજના હેઠળના વિસ્તારોમાં પરિભ્રમણ કરાવવામાં આવશે. જે અંતર્ગત ગ્રામસમુદાયના તમામ લોકોને ભૂગર્ભ જળની જાગૃતિ મળે તે માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેમાં બાળકોની પ્રભાત ફેરી, શાળાઓમાં ચિત્ર, વકૃત્વ સ્પર્ધા, મહિલાઓની રેલી, મિટિંગ, રોડ ટુ રોડ કેમ્પેન, પ્રેરણા પ્રવાસ, શેરી નાટક જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન આ પખવાડિયા દરમિયાન કરવામાં આવ્યું છે.

રાજ્યના ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ એમ ગુજરાતના 6 જિલ્લાઓ, 36 તાલુકાઓની 1873 ગ્રામ પંચાયત હેઠળ આવેલા 2236 ગામડાઓ આવરી લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને રૂ. 756.76 કરોડની રકમ ફાળવવામાં આવી છે.

ગ્રામપંચાયતો દ્વારા જળ વ્યવસ્થાપન સમિતિ બનાવામાં આવી છે,  જેમાં જનસમુદાયને જોડી આ કાર્યક્રમ સફળ બને તેવો પ્રયાસો અમલમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.