Abtak Media Google News

વિકાસ કામોના ખાતમૂહૂર્ત સાથે જ  લોકાર્પણની તારીખ પણ  નિશ્ર્ચીત કરવાની પ્રથા કેળવવા યુની. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરીની શીખ

રાજય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં  નગરપાલિકાઓ અને મહાનગરપાલીકાઓને વિકાસકામો માટે રૂ.38427 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું ગુજરાત  મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ વડોદરા ઝોનની 26 નગરપાલીકામાં વિકાસ કામોની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતુ.

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ડો. ધનસુખ ભંડેરીએ વડોદરા ઝોનની 26 નગરપાલિકાઓમાં ચાલી રહેલા વિકાસ કામોની  સમીક્ષા બેઠક  વડોદરા ખાતે સમાજકાર્ય ભવનના સભાગૃહમાં યોજી હતી. જેમાં તેમણે શહેરીજનોની સુખાકારીના કામોમાં બિનજરૂરી વિલંબ ટાળીને તેને બનતી ત્વરાથી પૂર્ણ કરવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં ડો. ભંડેરીએ જણાવ્યું કે, ગુજરાતમાં 2011ના વસતી ગણતરીના આંકડા મુજબ 42.58 ટકા લોકો શહેરોમાં વસે છે. તેથી શહેરીકરણની પ્રક્રીયામાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ અમૃત યોજના જેવી અનેક યોજનાઓ લોન્ચ કરીને શહેરી વિકાસને નવી દિશા આપી છે. તો ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે શહેરો અને ગામડાઓ, એમ બન્નેનો સુગઠિત અને સમતોલ વિકાસ થાય, એ બાબત ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

રાજ્યની નગરપાલિકાઓમાં નાગરિકોને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા ઉપલબ્ધ સેવાઓને વધુ સંગીન બનાવવા માટે આંતરમાળખાકીય સેવાઓ ઉભી કરવામાં આવી રહી છે. શહેરી ગરીબોનો સામાજિક અને આર્થિક વિકાસ કરીને તેમનું જીવન ધોરણ ઊંચુ લઇ જવા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નાણાંકીય સહાય પૂરી પાડી અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં બોર્ડ દ્વારા રાજ્યની નગરપાલિકાઓ અને મહાપાલિકાઓને કૂલ રૂ. 38427 કરોડની ગ્રાંટ ફાળવી છે. ચાલુ વર્ષનું બજેટ રૂ. 8462 કરોડનું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીના હસ્તે શહેરી વિકાસના કામો માટે રૂ. એક હજારના કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા છે.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આંતર માળખાકીય સુવિધાના કામો જેવા કે રસ્તા, ટ્રાફિક સર્કલ, ભૂગર્ભ ગટર, ટ્રાફિક સર્કલ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો માટે રૂ. 12207 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તે પૈકી રૂ. 12168 કરોડના 25126 કામો મંજૂર કરાયા છે. જ્યારે, રૂ. 6757 કરોડના 20960 કામો પૂર્ણ થયા છે. ખાનગી સોસાયટીના જનભાગીદારીના રૂ. 1588 કરોડના 33704 કામો પૂર્ણ થયા છે. જ્યારે,રૂ. 2963 કરોડના 34938 કામો મંજૂર કરાયા છે.

નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને શીખ આપતા ડો. ભંડેરીએ કહ્યું કે, જે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવે તે જ વખતે કામો પૂર્ણ કરવાની અને લોકાર્પણની તારીખ સુનિશ્ચિત કરવાની પ્રથા રાખવી જોઇએ. તેની સાથે કામની ગુણવત્તામાં નિયત ધોરણો જળવાઇ તે માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવવું જોઇએ. ગુણવત્તા માટે નિયમાનુસારની ખાતરી મળવી જોઇએ. તેમણે નગરપાલિકાઓના વીજ વપરાશનું ઓડિટ કરાવવા સૂચના આપી હતી.

બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી  બી.સી.પટણીએ વડોદરા ઝોન હેઠળની 26 નગરપાલિકાઓને ફાળવેલ ગ્રાન્ટ સંબંધિત કામોની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

વિભાગીય મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી પ્રશસ્તિ પારિકે સૌનો આવકાર કરતા જણાવ્યું કે રાજ્યમાં 42 ટકા ઉપરાંત વસ્તી શહેરોમાં વસવાટ કરે છે ત્યારે રાજ્ય સરકાર શહેરોના સર્વાંગી વિકાસ માટે સજાગ છે.મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા શહેરોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.