Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા અંતે 2 દિવસ બાદ રાજકોટને કોરોના વેક્સિનના ડોઝની ફાળવણી કરવામાં આવી છે. મહાપાલિકાની માંગણી મુજબ સરકારે કોવિશિલ્ડના 6000 ડોઝ રાજ્ય સરકારે ફાળવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કો-વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવ્યો નથી. કોવિશિલ્ડના બન્ને ડોઝ આપવાની વિચારણા ચાલી રહી છે. સાંજ સુધીમાં સેશન સાઈટ જાહેર કરવામાં આવશે.

છેલ્લા 2 દિવસથી રાજકોટને કોરોના વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવ્યો ન હોવા છતાં સ્ટોકમાં રહેલી વેક્સિનના આધારે હાલ વેક્સિનેશન ઝુંબેશ ચાલી રહી છે. આજે શહેરના અલગ અલગ 15 આરોગ્ય કેન્દ્રો પરથી લોકોને કો-વેક્સિન રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તમામ આરોગ્ય કેન્દ્રોને 200-200 ડોઝની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં બપોર સુધીમાં 18 થી 44 વર્ષના 1830 અને 45 થી વધુ ઉંમરના 836 નાગરિકો સહિત 2666 લોકોને કો-વોક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. બપોર પછી તમામ આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનેશનની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.

દરમિયાન હાલ એકપણ વેક્સિનેશન કેમ્પને મંજૂરી આપવામાં આવતી નથી. વેક્સિનના અભાવે વેક્સિનેશન ઝુંબેશ પર અસર પડી છે. ગત શનિવારે છેલ્લા મહાપાલિકાને 15000 ડોઝ ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ 2 દિવસમાં વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવ્યો નહોતો. આજે સવારે 11 વાગ્યે કોવિશિલ્ડ વેક્સિનના 6000 ડોઝ ફાળવવામાં આવ્યા હતા.

આવતીકાલે ક્યાં સાઈટ સેશન પરથી કોવિશિલ્ડની વેક્સિન આપવામાં આવશે અને પ્રથમ ડોઝ આપવો કે માત્ર બીજો ડોઝ આપવો તે અંગેની સત્તાવાર જાહેરાત સાંજ સુધીમાં મહાપાલિકા દ્વારા કરવામાં આવશે. દરમિયાન હાલ કો-વેક્સિનનો જથ્થો મહાપાલિકા પાસે લગભગ ખલાસ થવામાં છે ત્યારે આવતીકાલે માત્ર કોવિશિલ્ડના જ ડોઝ અપાય તેવી સંભાવના જણાય રહી છે. વેક્સિનની અછત ક્યારે પૂરી થશે અને વેક્સિનેશન ફરી પુરજોશમાં ક્યારે શરૂ થશે તે કહેવામાં અધિકારી અને પદાધિકારીઓ મોઢા છુપાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.