Abtak Media Google News

ચાર અઠવાડીયામાં તપાસ કરવા હુકમ: સગીરાએ કરેલી અરજીની સુનાવણીમાં પોલીસ ભીંંસમાં આવી

પાટડી તાલુકાના ગેડીયા ગામે દોઢ વર્ષ પહેલા 14 વર્ષના ભાઇ અને પિતાની પોલીસ દ્વારા ફેક એન્કાઉન્ટરમાં હત્યા કરાઇ હોવાના આક્ષેપ સાથે સગીરવયની પીડિતાએ કરેલી અરજીમાં હાઇકોર્ટે સુરેન્દ્રનગર ઉજઙ ને તપાસ કરવા અને તેનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ અને જસ્ટિસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે ઉક્ત આદેશ કરી સરકારને એફિડેવિટ કરવાનો આદેશ કર્યો છે.

Advertisement

આ કેસમાં સગીરાએ એડવોકેટ વિકી મહેતા મારફતે રિટ કરી છે. જેમાં સિનિયર એડવોકેટ યતિન ઓઝાએ જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરી છે કે, 9મી ડિસેમ્બર-2021ના રોજ પિતા અને તેના 14 વર્ષના ભાઇની પોલીસે એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામ ખાતે પોલીસ એન્કાઉન્ટરમાં અરજદાર સગીરાના પિતા હનીફખાન મલેક અને ભાઇની હત્યા કરાઇ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસનો એવો દાવો છે કે, હનીફખાન નામચીન ગેંગસ્ટર હતો અને તેના પર 86 ક્રિમિનલ કેસો હતા.

રિટમાં મૃતકની સગીરવયની પુત્રીએ એવા આક્ષેપો કર્યા છે કે, ’પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એન. જાડેજા અને અન્યો એક ખાનગી વાહનમાં તેમના ઘરે આવ્યા હતા અને તેના પિતાને ખેંચીને વાહનમાં લઇ ગયા હતા. પોલીસની અમાનુષી કાર્યવાહીનો વિરોધ કરતાં પિતાની પાછળ એનો ભાઇ પણ ગયો હતો ત્યારે જાડેજાએ તેના ભાઇની છાતીમાં ગોળી ધરબી દીધી હતી. પુત્રને ગોળી વાગતા પિતા પણ રઘવાયા બન્યા હતા અને તેની તરફ દોડી ગયા ત્યારે પોલીસે તેમને પણ ગોળી મારી હતી. તેમના ઉપર ગમે એટલા ક્રિમિનલ કેસો પેન્ડિંગ હતા, પરંતુ એનો અર્થ એવો ક્યારેય પણ થતો નથી કે પોલીસ તેમને ફેક એન્કાઉન્ટરમાં મારી નાખવાનો પરવાનો મળી જાય છે.’

આ કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને હાઇકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે,’આ મામલે અત્યાર સુધીમાં શું પ્રગતિ થઇ છે. શું કોઇની સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.’ સરકારનું કહેવું હતું કે,’મેજિસ્ટેરિયલ તપાસ કરવામાં આવી હતી અને હ્યુમન રાઇટ કમિશનને એ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, એ રિપોર્ટ સીલ કવરમાં હોવાથી એમાં શું છે એ અમને અત્યારે ખબર નથી. આ કેસમાં જે વ્યક્તિનું એન્કાઉન્ટર થયું છે એ હિસ્ટ્રીશીટર હતો.’કુખ્યાત ગેંગસ્ટર અને તેના સગીર પુત્રના એન્કાઉન્ટર કેસ:સુરેન્દ્રનગર ઉજઙ ને તપાસ કરી હાઇકોર્ટમાં સોગંદનામું ફાઈલ કરવા આદેશ આપવામાં આવ્યા છે

સરકારી તરફથી રજુઆત થઈ હતી કે હનીફખાને પહેલા પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. તેને પોલીસ પકડીને ગાડીમાં બેસાડીને લઈ જઈ રહી હતી ત્યારે તેનો સગીર પુત્ર મદિન ખાન ધારીયું લઈને પોલીસની પાછળ પડ્યો હતો. તેણે પીએસઆઇ જાડેજા સહિત કેટલાક પોલીસ કર્મીઓને ઘાયલ કર્યા હતા. ઉપરાંત આસપાસના લોકો પણ પોલીસ પર તૂટી પડ્યા હતા. પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા. પોલીસે આ કામગીરી સ્વબચાવમાં કરી હતી. જેમાં મૃતકનો સગીર પુત્ર પોલીસની સામે પડ્યો હતો.

હાઇકોર્ટમાં સોગંદનામું ફાઈલ કરવા હુકમ આ કેસની તપાસ સુરેન્દ્રનગર પોલીસ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની દેખરેખમાં કરવામાં આવી હતી. ત્યારે અરજદારના વકીલ દ્વારા યોગ્ય ઓથોરિટીને આ કેસની તપાસ સોંપવાની માંગ કરાતા. હાઇકોર્ટ દ્વારા સુરેન્દ્રનગર પીએસઆઇને 04 અઠવાડિયામાં તપાસ કરીને. હાઇકોર્ટમાં સોગંદનામું ફાઈલ કરવા હુકમ કર્યો છે. આ અંગે વધુ સુનવણી 24 ઓગસ્ટના રોજ હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.