Abtak Media Google News
  • યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાધો તો મંગેતરે ઝેરી ટીકડા ખાઈ લેતા સારવાર દરમિયાન મોત

જૂનાગઢમાં એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં સગાઈ થયાં બાદ ભાવિ પતિએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા યુવાનનું મોત નીપજ્યું હતું. જે સમાચાર મળતાની સાથે જ મંગેતરે પણ ઝેરી ટીકડા ખાઈ મોત વ્હાલું કરી લેતા બે પરિવારોમાં ગમગીની ફેલાઈ છે.

પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢમાં ગત રાત્રે ભાવિ પતિએ ઝાડ સાથે લટકીને ગળેફાંસો ખાઈ લેતા મંગેતરે પણ ઝેરી ટીકડા ખાઈને જીવન ટુંકાવી લેતા બંનેના પરિવારમાં ગમગીની પ્રસરી ગઈ હતી. શહેરમાં બીલખા રોડ પર આવેલ આંબેડકર નગરમાં રહેતા હિરેન બાબુભાઈ ભાસ્કર ઉ. વ. 25 નામના યુવકે બુધવારની રાત્રે બીલખા રોડ ખાતેના ગેઇટ નજીક આવેલ જંગલની દિવાલ પાસે ઝાડ સાથે લટકીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

આ અંગેની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને યુવાનનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ યુવકની આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું ન હતું. વધુ તપાસ ભવનાથ પોલીસ ચલાવી રહી છે.

દરમિયાન શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતી પૂજાબેન અનિલભાઈ મારુ ઉ. વ. 18 નામની યુવતીએ રાત્રે 10:00 વાગ્યાના અરસામાં પોતાના ઘરે સેલફોસના ઝેરી ટીકડા ખાઈ લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આ અંગે મૃતક યુવતીના માતા જોશનાબેન અનીલભાઈ મારૂએ ડિવિઝન પોલીસને નોંધાવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, પોતે પતિ બે દીકરી અને એક દીકરો સહિતના પરિવાર સાથે આંબેડકરનગરમાં રહે છે. મૃતક દીકરી પૂજાની સગાઈ હિરેન બાબુભાઈ ભાસ્કર સાથે થઈ હતી. હિરેને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની જાણ થતા દીકરી પૂજાએ પણ ઝેરી ખાઈ લેતા તેનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. આ નિવેદનના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુ તપાસ એ ડિવિઝનના પીએસઆઇ એ. એ. પરમાર ચલાવી રહ્યા છે. આમ યુવક અને યુવતીના આત્મઘાતી પગલાથી બંનેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.