Abtak Media Google News

તિરુવનંતપુરમ જિલ્લાના દક્ષિણ ભાગ અને અલપ્પુઝા, કોટ્ટાયમ, કન્નુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 54 ડિગ્રીએ પહોંચ્યું

દક્ષિણ ભારતમાં પણ ગરમી ઝડપથી વધી રહી છે. સૌથી ખરાબ સ્થિતિ કેરળની છે. કેરળના ઘણા વિસ્તારોમાં ગરમીનો પારો 54 ડિગ્રી સેલ્સિયસ જેવો અનુભવાયો છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભેજ અને 54 ડિગ્રી તાપમાન જેવી ગરમી અનુભવાઈ છે.

હવામાન વિભાગનું અનુમાન છે કે આ વર્ષે ખૂબ જ ગરમી પડવાની છે. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત ઉત્તર ભારતનાં ઘણાં રાજ્યોમાં ગરમી પહેલાંથી જ વધવા લાગી છે. આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. હીટ સ્ટ્રોકના કારણે મોતનો પણ ભય છે.

કેરળના તિરુવનંતપુરમ, અલપ્પુઝા, કોટ્ટયમ અને કન્નુર જિલ્લામાં 54 ડિગ્રી તાપમાન જેવી ગરમીનો અનુભવ થયો છે. જેના કારણે લોકો બીમાર પણ થઈ રહ્યા છે. હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે જો આ પ્રકારની ગરમી લાંબા સમય સુધી રહેશે તો લોકોને હીટ સ્ટ્રોક પણ થઈ શકે છે.

કેરળમાં કસરાગોડ, કોઝિકોડ, મલપ્પુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા અને એર્નાકુલમમાં સામાન્ય રીતે હીટ ઇન્ડેક્સ 40 થી 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. પરંતુ હવે વાતાવરણમાં આટલો ઝડપી ફેરફાર ઘાતક સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી તડકામાં રહેવાથી પણ તમે બીમાર થઈ શકો છો. જોકે, કેરળના ઇડુક્કી અને વાયનાડ જિલ્લામાં હવામાન સારું છે. અહીં હીટ ઇન્ડેક્સ માત્ર 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ કેરળમાં ભારે વરસાદ થયો હતો. આ પછી હવે એકાએક ગરમીના કારણે સંકટ વધુ ઘેરું બન્યું છે.

આ દરમિયાન ગોવામાં શિક્ષણ વિભાગે ગરમીના કારણે શાળાઓને બપોર પહેલાં બંધ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે હીટવેવની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે તમામ પ્રાથમિક, માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક શાળાઓ બપોરે 12 વાગ્યા પહેલાં બંધ કરી દેવી જોઈએ.

યુએસ એજન્સીની સતત ત્રીજા મહિને ભારત માટે આગાહી

અલનીનોની અસર ઓગસ્ટમાં થશે: ચોમાસું પણ પ્રભાવિત રહેશે

ભારતીય હવામાન વિભાગ એપ્રિલમાં સાચું ચિત્ર ઉપસ્યા બાદ સંભાવના જાહેર કરશે

યુએસ એજન્સીની સતત ત્રીજા મહિને ભારત માટે આગાહી કરી છે. જેમાં જાહેર કરાયુ છે કે ભારતમાં અલનીનોની અસર ઓગસ્ટમાં થશે.

ઉપરાંત તેનાથી ચોમાસુ પણ પ્રભાવિત થશે. બીજી તરફ ભારતીય હવામાન વિભાગ એપ્રિલમાં સાચું ચિત્ર ઉપસ્યા બાદ સંભાવના જાહેર કરશે.

આગામી ચોમાસા વિશે ચિંતાઓ વધી રહી છે. કારણકે યુએસ એજન્સીઓ સળંગ ત્રીજા મહિને અલ-નીનો સર્જાવાની ચેતવણી જાહેર કરી છે. અમેરિકી એજન્સી દ્વારા પેસીફીક સમુદ્રનાં તાપમાનની સ્થિતિનાં આધારે માર્ચ મહિનાનાં રીપોર્ટમાં એમ જણાવ્યું છે કે જુલાઈ-ઓગસ્ટમાં અલ-નીનોનો ઉદભવ થવાની શકયતા છે. ગત બે મહિનામાં રીપોર્ટમાં દર્શાવાયેલી શકયતા મુજબ જ બદલાવ થઈ રહ્યો છે.અમેરિકી એજન્સીઓ સળંગ ત્રીજા મહિનાના રીપોર્ટમાં અલ-નીનોની શકયતા દર્શાવતી ચિંતાજનક આગાહીને સાચી ઠરી રહી છે. જોકે, ભારતીય હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાંતો એવો સંકેત આપે છે કે પેસીફીક સમુદ્રનાં વસંત ઋતુના બદલાવોને લક્ષ્યમાં લેવાયા બાદ આવતા મહિને એપ્રિલમાં જ ચિત્ર સ્પષ્ટ થશે.પવનની દિશામાં બદલાવ સાથે પેસીફીકની દરીયાઈ સપાટીનાં ઉંચા તાપમાનથી અલ નીનો ઉદભવે છે. ભારત સહીત વિશ્ર્વના અનેક ભાગોમાં ચોમાસામાં પ્રભાવ સર્જે છે. રીપોર્ટમાં એમ કહેવાયું છે કે સળંગ ત્રણ વર્ષ સુધી લા-નીનાની સ્થિતિ હતી તે ખત્મ થઈ છે.લા-નીના અલ-નીનોથી તદ્દન વિપરીત છે. જે પેસીફીકની દરીયાઈ સપાટીને ઠંડી રાખે છે. જેનાથી ચોમાસામાં સારા વરસાદમાં મદદ મળે છે. લા-નીના ખત્મ થવા સાથે 2023 ના પ્રારંભીક મહિનાઓમાં ન્યુટ્રલ સ્થિતિ રહેશે અને ત્યારબાદ ઝડપથી અલ-નીનો જ ઉદભવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.