Abtak Media Google News

રક્ષાબંધનના દિવસે જ ૫૯ વર્ષીય માતા અને ૨૮ વર્ષીય બહેનને મોતને ઘાટ ઉતારી પોતે પણ આપઘાતનો કર્યો પ્રયત્ન 

સુરતના ચીકુવાડી વિસ્તારની સહજાનંદ સોસાયટીમાં રક્ષાબંધનના શુભ દિવસે જ સામૂહિક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. ડોક્ટર દીકરીએ માતા અને પુત્રીને ઝેરના ઈન્જેક્શન આપી પોતે ઉંઘની ગોળીઓ પી લીધી હતી. જેમાં માતા અને એક ટીચર પુત્રીનું મોત થઈ ચૂક્યું છે. જ્યારે ડોક્ટર પુત્રીની હાલત ગંભીર છે. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ડોક્ટર દીકરીએ જ માતા અને બહેનને ઝેરી દવાના ઈન્જેક્શન આપી પોતે પણ ઈન્જેક્શન માર્યું હતું. જ્યારે દીકરી દર્શના સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ડી.જી. ચાવડા (એસીપી)એ જણાવ્યું હતું કે, ડોક્ટર દીકરી દર્શના જીવનથી કંટાળી ગઈ હતી. માતા અને બહેન તેમની પર ડિપેન્ડન્ટ અને લાગણીથી જોડાયેલા હતા. તેમની સાથે એમના ભાઈ-ભાભી રહેતા હતા. પરંતુ ત્રણ દિવસથી ભાઈ-ભાભી બહાર હતા. જેથી સાથે આપઘાતનું પગલું ભર્યું હતું. ડોક્ટર દીકરી દર્શનાએ માતા અને બહેનને ઝેરી દવા સાથેનું ઈન્જેક્શન આપી પોતે ઉંઘની ગોળીઓ પીધી હતી. હાલ ચોકબજાર પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

રક્ષાબંધનના તહેવારના દિવસે જ આ પ્રકારની ઘટનાને લઇને અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. ૫૯ વર્ષીય માતા મંજુલાબેન કાંતિભાઈ સોડાંગર અને ૨૮ વર્ષીય ફાલ્ગુનીનું મોત નીપજ્યું છે. ફાલ્ગુની વ્યવસાયે ટીચર હોવાનું જાણવા મળ્યું છે. દર્શના જે ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તેની સ્થિતિ હાલ નાજૂક છે.રક્ષાબંધનના દિવસે જ બનેલી આ કરુણાંતિકાને લઈને સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક સાથે ત્રણ મહિલાઓએ આપઘાતનું પગલું ઉપાડતા સૌ કોઈ સ્તબ્ધ થઇ ગયા છે.

ડો. દર્શનાએ ડાઈંગ ડેક્લેરેશનમાં કહ્યું કે, અમે ત્રણેય માતા-પુત્રીઓ લાગણીથી એટલા જોડાયેલા હતા કે એક બીજા વગર થોડા સમય માટે પણ જીવી શકીએ એવું નથી. ડો. દર્શનાએ બહેન- માતાને ઇંજેક્શન આપી હત્યા કરી હતી.ત્યાર બાદ પોતે ગોળીઓ ખાઈ આપઘાતની કોશિશ કરી હતી. તેણીએ સુસાઈડ નોટ પણ લખી હતી. હાલ કિરણ હોસ્પિટલમાં ડાઈંગ ડિક્લેરેશનમાં મેજીસ્ટ્રેટ સમક્ષ લખાવ્યું હતું તે તેનાજ શબ્દોમાં, હું મારી માતા અને બહેન સાથે લાગણીથી જોડાયેલી છું.

અમે ત્રણેય જણા એકબીજા વગર થોડા સમય માટે પણ જીવી શકીએ એવું નથી. મારે અંગત કારણોસર આત્મહત્યા કરવી હતી. પરંતુ મે વિચાર્યું કે મારા વગર મારી માતા-બહેનનું શું થશે.તેઓ મારા વગર કેવી રીતે જીવશે તેથી તેમને મારી નાખવાનું નક્કી કર્યું હતું. બહેનની તબિયત થોડી સારી ન હતી અને માતાને શરીર દુખતું હોવાથી રાત્રે ૧૨:૩૦ વાગે ઉંઘની દવાનું ઇન્જેક્શન આપીને તેમની હત્યા કર્યા બાદ મે ઉંઘની ૨૭ ગોળી ખાઈ લીધી હતી.તેણીએ સુસાઈડ નોટમાં પણ એવું જ લખ્યું છે કે, હું મરીશ તો મારી બહેન અને માતાનું શું થશે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.