Abtak Media Google News

ડેરા સચ્ચા સૌદાના વડા અને હાલમાં જેલવાસ ભોગવી રહેલા ગુરમીત રામરહીમની દત્તક પુત્રી હનીપ્રીત લાંબા સમય પછી જાહેરમાં દેખાઈ છે. ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં હનીપ્રીત તથા રામ રહીમને સંપૂર્ણપણે નિર્દોષ ગણાવ્યા હતા. હનીપ્રીતે જણાવ્યું હતું કે મારા અને મારા પાપા વચ્ચેના સંબંધ પવિત્ર છે.

આટલા લાંબા સમય સુધી તમે ક્યાં ગાયબ હતા ? એમ પૂછવામાં આવતાં હનીપ્રીતે જણાવ્યું હતું કે કાંઈ સમજાતું ન હતું. હું હરિયાણાથી યેનકેન પ્રકારે દિલ્હી ગઈ હતી. હવે હરિયાણા-પંજાબ કોર્ટમાં જઈશ. શરણે થવા વિશે પૂછવામાં આવતાં હનીપ્રીતે કહ્યું હતું કે તે આ મુદ્દે કાયદાકીય સલાહ લેશે.

આટલા દિવસો સુધી તમે ક્યાં હતા, એમ પૂછવામાં આવતાં હનીપ્રીતે જણાવ્યું હતું કે હું ખુબ જ ડરી ગઈ હતી. હું મારી માનસિક સ્થિતિ વિશે વર્ણન કરી શકતી નથી. મને કોઈ પ્રકારની પ્રક્રિયાની પણ જાણકારી ન હતી. કેટલાક લોકો પૂછે છે કે હું મારા પાપા સાથે હેલિકોપ્ટરમાં કેવી રીતે ગઈ હતી. આ અંગે હું કહીશ કે કોર્ટની પરવાનગી પછી આમ કરાયું હતું.

રમખાણો માટે ઉશ્કેરણી કરવાના આક્ષેપ અંગે હનીપ્રીતે જણાવ્યું હતું કે તમે કોઈ એક ક્લિપ એવી બતાવો કે જેમાં હું આમ કરતી હોઉં. આ સંપૂર્ણપણે જૂઠ છે. કેટલાક લોકોને ષડયંત્ર પ્રમાણે હિંસા આચરવા માટે મોકલાયા હતા તે તદ્દન ખોટું છે. ડેરામાંથી માણસોના કંકાલ મળ્યા હોવાની વાત કરનારાઓને હું પૂછીશ કે કેવા કંકાલ મળ્યા છે. જે બે છોકરીએ આરોપ મુકયા છે તે ક્યારેય સામે આવી નથી અને માત્ર પત્રોને આધારે દોષિત ઠરાવવામાં આવ્યા છે.

હનીપ્રીતે વધુમાં જણાવ્યું હતું કે તેમના અને રામ રહીમ વચ્ચેના સંબંધો ખુબ જ પવિત્ર સંબંધ છે. આ સંબંધ પિતા-પુત્રી જેટલા જ પવિત્ર છે. પિતા પુત્રીના માથે હાથ મુકી શકે નહીં, પુત્રી તેના પિતા સાથે લાડ લડાવી શકે નહીં. આ સમયે  પૂર્વ પતિ વિશે પૂછવામાં આવતાં હનીપ્રીતે જણાવ્યું હતું કે હું વિશ્વાસ ગુપ્તા વિશે વાત  નહીં કરું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.