Abtak Media Google News

એક સપ્તાહ પૂર્વે પૈસાની લેતી-દેતીના પ્રશ્ને થયેલી બોલાચાલીના કારણે ત્રણ શખ્સો હત્યા કરી ફરાર

અમરેલીના ચક્કરગઢ રોડ પર રહેતા ટ્રક ચાલક યુવાનને એક સપ્તાહ પૂર્વે પૈસાની લેતી-દેતીના પ્રશ્ને થયેલી બોલાચાલીના કારણે નામચીન બુટલેગર સહિત ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ સરાગડા ગામના વતની અને અમરેલીના ચક્કરગઢ રોડ પર આંબેડકરનગરમાં રહેતા ટ્રક ચાલક મહેશ રતિલાલ ઝાલા નામના ૩૦ વર્ષના દલિત યુવાનને નામચીન બુટલેગર ચિરાગ ઠાકર સહિત ત્રણ શખ્સોએ દાનવ પાનના ગલ્લે બોલાવી છરીથી હુમલો કરી હત્યા કર્યાની રતિલાલ રામજીભાઇ ઝાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ડીવાય.એસ.પી. મોણપરા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

બે ભાઇમાં નાના મહેશ ઝાલા અને બુટલેગર ચિરાગ ઠાકર વચ્ચે એકાદ સપ્તાહ પૂર્વે પૈસાની લેતી-દેતીના પ્રશ્ને બોલાચાલી થઇ હોવાથી ગતરાતે ચિરાગ ઠાકરે ફોન કરી દાનવ પાનના ગલ્લે બોલાવ્યા બાદ છરીથી હુમલો કરી હત્યા કર્યાનું મૃતક મહેશ ઝાલાના મોટા ભાઇ દિપક ઝાલાએ જણાવ્યું હતું. મહેશ ઝાલા પર નામચીન બુટલેગર ચિરાગ ઠાકર અને બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યાની અને છરીથી હુમલો કર્યાના પોલીસને સીસીટીવી ફુટેજ મળી આવ્યા છે.

ગંભીર રીતે ઘવાયેલા મહેશ ઝાલાને પ્રથમ અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર માટે અહીની હોસ્પિટલમાં લાવતા વધુ પ્રમાણમાં લોહી વહી જતા રાજકોટ પહોચે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું.

અગાઉ અનેક વખત દારૂના ગુનામાં ઝડપાયેલા ચિરાગ ઠાકર સહિત ત્રણ શખ્સો સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.