Abtak Media Google News

યુવાને નાટક કર્યું અને સગીરાએ જીવ ગુમાવ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ

રાજકોટ શહેરના છેવાડે આવેલા કાળીપાટ ગામે પ્રેમી પંખીડાં સજોડે ઝેર ગટગટાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સગીરાનું મોત નીપજ્યું હતું તો બીજી તરફ સગીરાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે યુવાને ઝેર પીવાનું નાટક કર્યું અને પોતાની પુત્રીને મોત મળ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કાળીપાટ ગામમાં રહેતા સંજના અને રવિ નામના પ્રેમી પંખીડાએ આજે સજોડે ઝેરી દવાના ટીકડા ખાઇ લીધા હતા. આથી બન્નેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સંજનાનું મોત થયું હતું. આથી પોલીસે તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે રવિ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આજીડેમ પોલીસની પ્રાથમિક તપાસમાં સંજના અને રવિ છેલ્લા પાચ વર્ષથી એકબીજાના પ્રેમમાં હોવાનું જાણવા મળ્યું છે.

આજીડેમ પોલીસે આ ઘટનાને લઇને તપાસ હાથ ધરી છે. સંજના અને રવિએ ક્યા કારણોસર સજોડે ઝેરી દવાના ટીકડા ખાધા હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા બન્નેના પરિવારજનોના નિવેદનો નોંધવા તજવીજ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ સંજનાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે રવિએ આપઘાત કરવાનું નાટક કર્યું હતું અને સંજનાને ઝેર પીવડાવવા પ્રેરિત કરી હતી. જેના કારણે જ સગીરાનું મોત નિપજ્યું હતું.

તો બીજીતરફ આજીડેમ પોલીસ મથકના સ્ટાફે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથધરી છે. ખાનગી હોસ્પિટલમાં સારવારમાં રહેલા રવિને ભાન આવતા તેના નિવેદન પરથી ક્યાં કારણોસર બંનેએ આવું પગલું ભર્યું તેનું સચોટ કારણ જાણવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.